ઈતિહાસ જાણવો મારો શોખ રહ્યોં છે. શોપિંગ મોલમાં કે ફિલ્મ થિયેટરમાં જવું એના કરતાં ઐતિહાસિક સ્થળોએ જવાનું વધારે પસંદ કરું છું. ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવાની એક અલગ જ મજા છે. એમાંય ખાસ ભારતીય ઇતિહાસ રોમાંચિત છે. ભારતનો ઇતિહાસ બીજું કશું નહીં, શ્રમણ અને બ્રાહ્મણ સંસ્કૃતિનો સંઘર્ષ ! પરંતુ આ ઈતિહાસ ધરબાઈ દેવામાં આવ્યો છે,દાટી દેવામાં આવ્યો છે. પરંતુ અંગ્રેજોના આગમન બાદ કેટલાક વિદ્વાન અને અભ્યાસુ અંગ્રેજ અધિકારીઓએ આ ઈતિહાસને ઉજાગર કર્યો બાકી અંગ્રેજો ભારતમાં ન આવ્યાં હોત તો આપણને શ્રમણ અને બ્રાહ્મણ સંસ્કૃતિ વચ્ચેનો સ્પષ્ટ અને તટસ્થ ઈતિહાસ મળવો મુશ્કેલ હતો.
એ પછી સમયે સમયે એમાં નવા નવા તથ્યો ઉમેરાતા ગયાં. વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાં ભારતની સિંધુ સભ્યતા પણ એક છે. આ સભ્યતા એટલે મૂર્તિ પૂજા વિના પ્રકૃતિના સાનિધ્યમાં નિર્માણ પામેલી સંસ્કૃતિ. આ સંસ્કૃતિને તથાગત ગૌતમ બુદ્ધે આગળ વધારી, ત્યારબાદ મૌર્ય સામ્રાજ્યમાં તે વધુ મજબૂત થઈ. પરંતુ એ પછીનો ઈતિહાસ બૌદ્ધ ધમ્મનાં પતનનો છે. પરંતુ આજેય બુદ્ધ ધમ્મની ભવ્યતા ભારતના શિલા લેખો અને પથ્થરોની ગુફાઓમાં જળવાયેલી છે અને સદીઓ સુધી રહેશે પરંતુ શરત માત્ર એટલી કે આપણે તે ભવ્યતાને સાચવવી પડશે. પરંતુ તેમાં આપણે ક્યાંક ઉણા ઉતરીએ છીએ. તેનો તાજો દાખલો છે ઢાંકની બૌદ્ધ ગુફાઓ.
ઢાંક ગામ ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે. સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં પ્રાચીન બૌદ્ધ ગુફાઓ મળી છે તેમાનું એક આ સ્થળ છે. ઝવેરચંદ મેઘાણીએ પણ આ સ્થળનો ઉલ્લેખ પોતાના પુસ્તક "સૌરાષ્ટ્રની રસધાર" માં કર્યો છે. ઉપરાંત ઈતિહાસમાં આ સ્થળ વિશે અનેક તર્ક વિતર્કો જોવા મળે છે. મારી સાથે
બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય અને મારા મિત્ર
જયદીપ મૌર્ય,
વિજયચંદ્ર મૌર્ય,
કનિષ્ક મોર્ય. હતાં. ઉપરાંત ત્યાંના સ્થાનિક મિત્ર કેલ્વિનભાઈ અને તેમના પિતા પણ હતાં. ઢાંક ગામની બાજુમાં નાની નાની પર્વત માળાઓ છે. આમ તો ભાણવડ તાલુકાનું કૃષ્ણગઢ ગામ કે જ્યાં વિશનભાઈ કાથડ સાહેબનો ભીમ ભજન કાર્યક્રમ હતો. એ કાર્યક્રમમાં હાજરી આપી અમે ઉપલેટાનાં ઢાંક ગામે રોકાયા હતાં. ત્યાં બૌદ્ધ ગુફાઓ આવેલી છે એ જાણ થતાં અમે ત્યાં જવાનું વિચાર્યું. ઢાંક ગામથી કાચો રસ્તો છે ગુફાઓ સુધી જવાનો. ગુફાઓ સુધી પહોંચતા વચ્ચે ઝાડી ઝાંખરા, અને પથરાળ જમીન પરથી થઈ જવું પડે. ગામથી આશરે ચાર, પાંચ કિલોમીટર પર્વતીય વિસ્તારમાં જવું પડે. ગુફાઓએ પહોંચતા જ જાણે ઈતિહાસ નજર સમક્ષ તરવરી ઉઠે. ખડકોમાંથી ખોતરીને પ્રથમ દસ ગુફાઓ બનાવવા આવી છે ત્યારબાદ અન્ય મોટી ગુફાઓ અને તેની સામે મોટો પડથાર. કેટલાક પુરાતત્વવિદોનું કહેવું છે કે આ ગુફાઓ સાતમી સદી દરમિયાન બનાવવા આવી છે. તો કેટલાકનું કહેવું. છે કે આ ગુફાઓ ચોથી સદી પહેલા બનાવવામાં આવી છે.
જાળવણીનાં આભાવે ગુફાઓની સ્થિતિ ખૂબ ખરાબ છે. પુરાતત્વ વિભાગ તરફથી ઓરમાયું વર્તન ઉંડીને આંખે વળગે છે. પરંતુ બૌદ્ધસંસ્થાઓ, સંગઠનો કે વ્યક્તિઓએ પણ અત્યાર સુધી આ ગુફાઓની જાળવણી માટે કોઈ ખાસ પગલાં નથી લીધા તેનું દુઃખ થયું.ગુફાઓની અંદર હાડકા અને ચામચીડિયા જોવા મળ્યાં. ગુફાઓની કેટલીક જગ્યાએ પ્રેમી પંખીડાઓએ પોતાના નામ કોતર્યા છે. આજુબાજુ માટી અને પથ્થરોનું ઉત્ખનન મોટા પાયે ચાલુ છે. ગુફાના એક- બે પીલ્લરો છેક પર્વતની નીચે ખંડિત અવસ્થામાં પણ જોવા મળ્યાં હતાં. ગુફાઓની આસપાસ મંદિરો બનાવી દેવામાં આવ્યાં છે કદાચ કોઈ જઈને ગુફાઓમાં ધજા લગાવી અંદર કોઈ દેવી દેવતાની મૂર્તિ મૂકી દે તો નવાઈ નહીં !
સૌ ચિંતકો, બુદ્ધિજનો અને સામાજિક કાર્યકરતાઓને નમ્રતા ભર્યો આગ્રહ છે કે આપણે સૌએ આ બૌદ્ધ ગુફાઓને રક્ષણ પૂરું પાડવું જોઈએ. આ ગુફાઓ આપણો વારસો છે. તેનું જતન આપણે નહીં કરીએ તો કોણ કરશે !?? આ ગુફાઓ વિશે વધું સંશોધન થાય તેવું ઇચ્છનીય છે. પરંતુ તે પર્વતીય વિસ્તારમાં સ્થાનિકોનાં કહ્યા મુજબ હરણા, રોઝ, વરુ જેવા જંગલી પ્રાણીઓ જોવા મળે છે. ઉપરાંત દીપડા જેવા હિંસક પ્રાણીઓ પણ કદી કદી દેખા દે છે તેથી ત્યાં જનારને ચેતીને રહેવું જરૂરી છે.
લેખન - રાહુલભાઈ વણોદ
મો. 8000739976
તારીખ :- 16/01/2022