Friday, April 1, 2022

.

न्याय चाहिए तो शासक बनो
-मान्यवर कांशीराम 


આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??
             હાલ નીલમ મકવાણા આમરણાંત ઉપવાસ ઉપર છે.પરંતુ સરકાર અને મીડિયા અવગણી રહ્યાં છે. ગ્રેડ પે માટે પોલિસ મિત્રોની માંગણી સરકાર સ્વીકારશે કે કેમ તે જોવું રહ્યું. બીજું ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકો પણ જૂની પેંશન યોજના માટે હવે મેદાને આવ્યાં છે.બેન્કનાં ખાનગીકરણના વિરોધમાં તો બેંક કર્મચારીઓ હડતાળ અને માંગણી કરી જ છે. ત્યારે ફિક્સ પગાર મુદ્દે પણ કોણ ચૂપ છે ફિક્સ પગારમાં નોકરી કરતાં દરેક કર્મચારીઓ વિરોધમાં જ છે ગુજરાત સરકારની.

              કર્મચારીઓ તો ખરાં જ ! પણ સરકારી નોકરી માટેની પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ તો હવે રીતસરનો વિદ્રોહ કરી રહ્યાં છે.હમણાં હમણાં પત્રકારો પર સરેઆમ હુમલાના વિરોધમાં પત્રકારોના સંગઠનોએ એ સરકારને પ્રશ્ન કર્યો હતો કે હવે તો અમેય સુરક્ષિત નથી. મેડિકલ વિભાગમાં પણ આવું જ છે.
પોલીસ હોય,
શિક્ષક હોય,
તલાટી હોય,
બેંક કર્મચારી હોય,
તબીબી વિભાગમાં નોકરી કરતા કર્મચારીઓ હોય,
દરેકે પોતાને મળતાં લાભ કે પગાર માટે આંદોલનો કરવા છે પણ કર્મચારીઓના હિતમાં કામ કરે એવી સરકાર બનાવવાના કોઈ પ્રયાસો નથી કરવા.
ગ્રે પેડ વધારવા માટે આંદોલન,
વય મર્યાદા વધારવા માટે આંદોલન,
બેન્કના ખાનગીકરણ સામે આંદોલન
જૂની પેંશન યોજના લાગુ કરવા આંદોલન
ફલાણા ફલાણા પગાર પંચમા સામેલ કરવા આંદોલન,
ફલાણા ફલાણા ભથ્થા ચૂકવવા માટે આંદોલન,
હંગામી કર્મચારીઓનું કાયમી થવા આંદોલન 

                 આમ માત્ર આંદોલનો કરીને સંતોષ મેળવવો છે.પરંતુ કોઈ નક્કર આયોજન નથી કરવું. જો માત્ર આંદોલનો જ કરવા છે તો કશુ નહીં મળે અને વળે. 
કાંશીરામ સાહેબ કહેતા કર્મચારી માટે સરકાર છે, સરકાર માટે કર્મચારી નથી. જો કર્મચારીનું શોષણ થતું હોય તો તેને પૂરો હક છે વિરોધ કરવાનો, પોતાના હક અધિકાર મેળવવાનો. જરુરત છે માત્ર કર્મચારીઓનું ભલું વિચારી શકે તેવી સરકારની. પણ તેના માટે મોટા ભાગના કર્મચારીઓ ઉદાસીન હોય છે.તેઓને કોઈ સરકાર સામે કશું વાંધો નથી જો તે સરકાર તેમને પગાર વધારો કે પેન્શન કે ભથ્થું વધારી આપે, પણ પોતાના પગ ઉપર ઘા આવે એટલે આંદોલનો કરે ! આમ તો મારું સ્પષ્ટ માનવું છે કે કોઈ પણ સરકારી કર્મચારી આંદોલન કરે છે તો તે માત્રને માત્ર પોતાના અને પોતાના પરિવાર માટે, એમની માંગણી પરિવાર અને પોતાના પૂરતી હોય છે, સામાજિક નહીં, જો સામાજિક હોત તો તેઓ તેમની સમસ્યાઓ માટે આંદોલન નહીં, યોગ્ય સરકારનો વિકલ્પ પસંદ કરેત. 

                     માન્યવર કાંશીરામે સૌથી મોટું સરકારી કર્મચારીઓનું સંગઠન ઉભું કરેલ. અને તેના આર્થિક સહયોગથી સરકાર બનાવેલી. તે સરકારે સરકારી કર્મચારીઓ માટે શું શું લાભો આપેલા અથવા તેઓના હિતમાં શું કામ કરેલું તે કુમારી માયાવતી બહેનજીના મુખ્યમંત્રી કાળમાં કરેલ કાર્યોની યાદી જોશો તો સમજાઈ જશે. કાંશીરામ સાહેબે સરકારી કર્મચારીઓને વિશ્વાસમાં લઈને તેમનો સહયોગ લીધેલો. હાલ, પરિસ્થિતિ વિપરતી છે. કાર્યકરો અથવા પાર્ટીના નેતાઓ સરકારી કર્મચારીઓનો  યોગ્ય વિશ્વાસ નથી જીતી શક્યાં. પરંતુ કર્મચારીઓ જો ઈચ્છે તો તેઓ મળીને પણ કોઈ યોગ્ય નેતૃત્વ પસંદ કરી યોગ્ય સરકાર બનાવવા પીઠબળ પૂરું પાડી શકે છે. અને પોતાના અધિકારો અને હક આપી શકે એવી સરકાર નિર્માણ કરે તો એમને અને એમની આવનારી પેઢીને આંદોલનો નહીં કરવા પડે.

- રાહુલ વણોદ

Sunday, March 6, 2022

ઘર..


માણસ દુનિયાથી થાક્યો પાક્યો પોતાના ઘરે આવે એટલે એને હાશકારો થાય. 
પણ જો પોતાના ઘરમાથી જ માણસને માન સન્માન ન મળે તો માણસ ક્યાં જાય !?  પોતાનામાં ખોવાયેલા વ્યક્તિને બધું અજબની જ લાગે છે.  "સાગર" નામના એક ઉર્દુ  કવિ લખે છે,

આદમી ખુદ સે બીછડ જાયે અગર,
અજનબી અપના હી ઘર લગતા હૈં.

પોતાનું ઘર જ ન ગમે તો સમજવું આપણે આપણી જાતથી વિખુટા પડી ગયા છીએ. દુનિયાના જખમો ઘરે આવતા જ જાણે શમી જતાં હોય છે માણસને સૌથી મોટો મોહ મોતના ઘરનો હોય છે. પોતાનું ઘર કે ગામ છોડને જવું કોને ગમે !!?? જે જવાનો ભૂમિ રક્ષા દળમાં ફરજ બજાવે છે અથવા દેશ પરદેશ કામ ધંધાર્થે ગયાં છે. અથવા મજબૂરી વશ કોઈને કોઈ કારણથી ઘર પરિવારથી દૂર રહેવું પડે છે તેઓને કઇ કેટલાંય વિચાર આવતાં હશે.

અબ ઘર ભી નહીં ઘર કી તમન્ના ભી નહીં હૈં,
મુદ્દત હુઈ સોચા થા કિ ઘર જાયેગે એક દિન.
- સાકી ફારૂકી

બે વખ્ત અગર જાઉંગા સબ ચોંક્ પડેગે,
એક ઉંમ્ર હુઈ દિન મેં કભી ઘર નહીં દેખા.

બીજો એક શેર યાદ આવેછે.

કૈફ પરદેશ મેં મત યાદ કરો આપના મકા,
અબ કે બારીશને ઉસે તોડ ગીરાયા હોગા

હમને ઘર કી સલામતી કે લિયે,
ખુદ કો ઘર સે નિકાલ રખા હૈં
- અજહર અદિબ

ઘર એક એવી જગ્યા છે જ્યાં દરેકે પોતાના બાળપણના દિવસો વિતાવ્યા હોય છે.એમાંય જો નવું મકાન બન્યું હોય તો જૂના મકાનનો દરેક ખૂણો આંખોમાં કેદ થઇ ગયો હોય છે. ઘર પરિવાર જ વ્યક્તિ માટે સુખનું સરનામું હોય છે. એટલે જ તો શેખાદમ આબુવાલા લખે છે.

અહીં છે એવો સરંજામ નથી મળવાનો
તુટ્યો ફૂટ્યો ત્યાં કોઇ જામ નથી મળવાનો
લાખ જન્નત તું દેશે મને મારા ખુદા
મારા ઘર જેવો ત્યાં આરામ નથી મળવાનો

જન્નત કરતાંય વિશેષઘરનું મહત્વ આંકયું છે. પરંતુ ઘણાને તે સુખ ક્યાં નસીબમાં હોય છે.ઘણાનું ફુટપાથ જ ઘર હોય છે.

સુના હૈં શહર કા નક્શા બદલ ગયા મહફુજ,
તો ચલ કે હમ ભી જરા અપને ઘર કો દેખતે હૈં,

કોઈ શાયર તેના ઘરનું સરનામું કહેતાં સામેના વ્યક્તિને કહે છે કે, શહેરમાં નવી બનેલી સડકની બાજુમાં સૌથી કાચું અને જૂનું મકાન મારુ છે"

ખલીલ ધનતેજવી જેથી જ તો લખે છે.

ઘર સુધી તું આવવાની જીદ ન કર,
ઘર નથી, નહિતર હું ના પાડું તને…
 
કેટલું વેધક !! સરનામાં વિનાના વ્યક્તિઓની વ્યથા ખલીલ સાહેબે પોતાના આ શેરમાં ઝીલી છે. ભારત પાકિસ્તાનના ભાગલા વખતે પોતાના ઘર જેવા ઘર છોડીને જવું એ વેદના હૃદયને લોહી લુહાણ કરી નાખે. અનિલ શર્મા નિર્દેશિત ફિલ્મ "ગદાર - એક પ્રેમ કથા" માં પોતાનું ઘર છોડીને હંમેશા માટે અલવિદા થતાં વ્યક્તિઓની વ્યથા કથાને આબેહૂબ ચિત્રિત કરી છે. પરંતુ સિયાસત કરનાર લોકોને શું પડી છે !!? યુક્રેનમાં જન સામાન્યની સ્થિતિ હાલ કફોડી છે. હજારો લોકો બેઘર થયાં છે. ઘણાંના પરિજનો છે પણ ઘર નથી, ઘણાંને ઘર છે પણ પરિજનો નથી બશીર બદ્ર સાચે જ કહે છે.

"લોગ તૂટ જાતે હૈં એક ઘર બનાને મેં,
તુમ તરસ નહીં ખાતે બસ્તિયા જલાને મેં."

એક એક સળી ભેગી કરીને પંખી માળો કરે છે અને માણસને એક સેકન્ડ થાય છે સળી કરીને માળો તોડી પાડવામાં. 

ખેર આપણે તો એટલું જ શીખવું રહ્યું કે જો આપણું ઘર કાચનું હોય તો બીજાના ઘર ઉપર પથ્થર ના નંખાય..
પણ આજકાલ તો કાચના મકાનોમાં પથ્થર સમા માણસો રહે છે.

- રાહુલ વણોદ

Monday, January 17, 2022

જૂનાગઢ : ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ.

જૂનાગઢ  એક  સમયે ગુજરાતનું મહત્વનું બૌદ્ધ ધમ્મનું કેદ્ર રહ્યું હશે. કેમ કે જૂનાગઢમાં ઘણી બધી જગ્યાએ ગુફાઓ મળી આવી છે. એવી જ ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ છે. પૂરાત્વવિદોનું માનવું છે કે મહાન સમ્રાટ અશોકનાં સમયમાં આ ગુફાઓ બનાવવામાં આવેલ છે. આ ગુફાઓનું માળખું જોતા તે સમયના બાંધકામ વિશે આપણને આશ્ચર્ય લાગે ! એ સમયની એન્જીનીયર કળા પણ કેટલી અદ્ભૂત અને વિકસિત !! બૌદ્ધ સાધુઓ અહીંયા વર્ષા વાસ માટે આવતા હશે. 
              પુરાતત્વ વિભાગની દેખરેખ હેઠળ ગુફાઓ સ્વચ્છ અને ક્ષતિ રહિત જોવા મળે છે.આ ગુફાઓ જોજો મિત્રો આપણાં ભવ્ય વારસા પર ગર્વ થશે.
- રાહુલભાઈ વણોદ
મો.8000739976
   17/01/2022

Sunday, January 16, 2022

ઉપલેટા તાલુકાનાં ઢાંક ગામની બૌદ્ધ ગુફાઓ.."


                   ઈતિહાસ   જાણવો  મારો શોખ  રહ્યોં છે.  શોપિંગ મોલમાં કે     ફિલ્મ  થિયેટરમાં  જવું   એના    કરતાં   ઐતિહાસિક સ્થળોએ   જવાનું   વધારે  પસંદ   કરું  છું.   ઐતિહાસિક સ્થળોની   મુલાકાત   લેવાની  એક  અલગ  જ  મજા  છે. એમાંય  ખાસ   ભારતીય ઇતિહાસ રોમાંચિત છે. ભારતનો ઇતિહાસ બીજું કશું નહીં, શ્રમણ અને બ્રાહ્મણ સંસ્કૃતિનો સંઘર્ષ !    પરંતુ  આ  ઈતિહાસ  ધરબાઈ  દેવામાં   આવ્યો છે,દાટી દેવામાં આવ્યો છે. પરંતુ અંગ્રેજોના આગમન બાદ કેટલાક વિદ્વાન અને અભ્યાસુ અંગ્રેજ અધિકારીઓએ આ ઈતિહાસને  ઉજાગર   કર્યો   બાકી   અંગ્રેજો  ભારતમાં  ન આવ્યાં  હોત  તો  આપણને  શ્રમણ અને બ્રાહ્મણ સંસ્કૃતિ વચ્ચેનો   સ્પષ્ટ  અને  તટસ્થ   ઈતિહાસ   મળવો   મુશ્કેલ હતો. 

                 એ   પછી  સમયે સમયે એમાં નવા નવા તથ્યો ઉમેરાતા ગયાં. વિશ્વની  પ્રાચીનતમ સંસ્કૃતિઓમાં ભારતની સિંધુ સભ્યતા પણ એક છે. આ સભ્યતા એટલે મૂર્તિ પૂજા વિના  પ્રકૃતિના  સાનિધ્યમાં  નિર્માણ  પામેલી સંસ્કૃતિ. આ સંસ્કૃતિને  તથાગત ગૌતમ બુદ્ધે આગળ વધારી, ત્યારબાદ મૌર્ય  સામ્રાજ્યમાં   તે વધુ મજબૂત થઈ. પરંતુ એ પછીનો ઈતિહાસ  બૌદ્ધ  ધમ્મનાં  પતનનો છે.  પરંતુ  આજેય બુદ્ધ ધમ્મની   ભવ્યતા   ભારતના  શિલા લેખો  અને   પથ્થરોની ગુફાઓમાં  જળવાયેલી  છે અને સદીઓ સુધી રહેશે પરંતુ શરત   માત્ર   એટલી   કે આપણે  તે  ભવ્યતાને  સાચવવી પડશે. પરંતુ   તેમાં   આપણે   ક્યાંક ઉણા ઉતરીએ છીએ. તેનો  તાજો  દાખલો  છે ઢાંકની બૌદ્ધ ગુફાઓ.

                  ઢાંક ગામ ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે. સૌરાષ્ટ્રમાં  જ્યાં જ્યાં  પ્રાચીન  બૌદ્ધ ગુફાઓ મળી છે તેમાનું  એક  આ  સ્થળ છે.  ઝવેરચંદ મેઘાણીએ પણ આ સ્થળનો  ઉલ્લેખ  પોતાના પુસ્તક  "સૌરાષ્ટ્રની રસધાર"  માં કર્યો  છે.  ઉપરાંત  ઈતિહાસમાં આ  સ્થળ વિશે અનેક તર્ક વિતર્કો  જોવા  મળે છે.  મારી સાથે
બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય અને મારા મિત્ર 
જયદીપ મૌર્ય, 
વિજયચંદ્ર મૌર્ય, 
કનિષ્ક મોર્ય.       હતાં.   ઉપરાંત   ત્યાંના   સ્થાનિક   મિત્ર કેલ્વિનભાઈ   અને   તેમના  પિતા  પણ હતાં.  ઢાંક ગામની બાજુમાં નાની નાની પર્વત માળાઓ છે. આમ તો ભાણવડ     તાલુકાનું      કૃષ્ણગઢ      ગામ   કે    જ્યાં      વિશનભાઈ  કાથડ સાહેબનો  ભીમ ભજન કાર્યક્રમ હતો. એ કાર્યક્રમમાં હાજરી આપી અમે ઉપલેટાનાં ઢાંક ગામે રોકાયા હતાં. ત્યાં બૌદ્ધ ગુફાઓ  આવેલી છે એ જાણ થતાં અમે ત્યાં જવાનું વિચાર્યું. ઢાંક ગામથી કાચો રસ્તો છે ગુફાઓ સુધી જવાનો. ગુફાઓ  સુધી પહોંચતા વચ્ચે ઝાડી ઝાંખરા, અને પથરાળ જમીન  પરથી થઈ  જવું  પડે.  ગામથી  આશરે ચાર, પાંચ કિલોમીટર   પર્વતીય   વિસ્તારમાં  જવું  પડે.  ગુફાઓએ પહોંચતા  જ  જાણે  ઈતિહાસ નજર  સમક્ષ  તરવરી ઉઠે.  ખડકોમાંથી  ખોતરીને  પ્રથમ દસ  ગુફાઓ બનાવવા આવી છે ત્યારબાદ  અન્ય  મોટી  ગુફાઓ  અને તેની  સામે  મોટો પડથાર.  કેટલાક  પુરાતત્વવિદોનું કહેવું છે કે આ ગુફાઓ સાતમી સદી  દરમિયાન  બનાવવા  આવી છે. તો કેટલાકનું કહેવું.    છે   કે    આ   ગુફાઓ  ચોથી     સદી      પહેલા  બનાવવામાં આવી છે.

                       જાળવણીનાં આભાવે ગુફાઓની સ્થિતિ ખૂબ ખરાબ છે.  પુરાતત્વ વિભાગ તરફથી ઓરમાયું વર્તન ઉંડીને આંખે વળગે છે.  પરંતુ  બૌદ્ધસંસ્થાઓ, સંગઠનો કે વ્યક્તિઓએ પણ અત્યાર સુધી આ ગુફાઓની જાળવણી માટે કોઈ ખાસ પગલાં નથી લીધા તેનું દુઃખ થયું.ગુફાઓની અંદર  હાડકા  અને  ચામચીડિયા  જોવા મળ્યાં. ગુફાઓની કેટલીક  જગ્યાએ  પ્રેમી  પંખીડાઓએ પોતાના નામ કોતર્યા છે.   આજુબાજુ   માટી   અને   પથ્થરોનું   ઉત્ખનન  મોટા પાયે  ચાલુ છે. ગુફાના  એક- બે પીલ્લરો છેક પર્વતની નીચે ખંડિત  અવસ્થામાં  પણ  જોવા  મળ્યાં  હતાં.   ગુફાઓની આસપાસ  મંદિરો  બનાવી  દેવામાં  આવ્યાં  છે કદાચ કોઈ જઈને  ગુફાઓમાં  ધજા લગાવી અંદર કોઈ દેવી   દેવતાની મૂર્તિ મૂકી દે તો નવાઈ નહીં !

     સૌ ચિંતકો, બુદ્ધિજનો અને  સામાજિક કાર્યકરતાઓને નમ્રતા  ભર્યો   આગ્રહ   છે   કે  આપણે  સૌએ  આ બૌદ્ધ ગુફાઓને    રક્ષણ   પૂરું  પાડવું   જોઈએ.  આ   ગુફાઓ  આપણો વારસો છે.   તેનું   જતન  આપણે નહીં કરીએ તો કોણ કરશે !??  આ ગુફાઓ  વિશે  વધું સંશોધન થાય તેવું ઇચ્છનીય છે. પરંતુ તે પર્વતીય વિસ્તારમાં સ્થાનિકોનાં કહ્યા મુજબ  હરણા, રોઝ, વરુ જેવા  જંગલી  પ્રાણીઓ જોવા મળે   છે. ઉપરાંત  દીપડા  જેવા હિંસક પ્રાણીઓ પણ કદી કદી દેખા દે છે તેથી ત્યાં જનારને ચેતીને રહેવું જરૂરી છે.

લેખન - રાહુલભાઈ વણોદ
મો. 8000739976
તારીખ :- 16/01/2022

Wednesday, November 3, 2021

"JAI BHIM" જોવા જેવું ફિલ્મ.

        કાલે રાત્રે "JAI BHIM" ફિલ્મ (ચલચિત્ર) નિહાળ્યું. ખૂબ ગમ્યું. ફિલ્મ વિતરણ કર્તા એમેઝોન પ્રાઈમ છે. ફિલ્મ નિર્માણકર્તા ટી. જે. જ્ઞાનવેલ સાહેબ છે. ચલચિત્રમાં મુખ્ય અભિનેતા સૂર્યા અને પ્રકાશ રાજ, રાજીયા વિજયન, લિજોમોન જોસ, રાવ રમેશ અને કે. મણીકંદન જેવા સાથી સહાયક કલાકારોએ પણ પોતાના અભિનયમાં જીવ રેડી (ચલચિત્ર)ફિલ્મને ચાર ચાંદ લગાવ્યા છે. આ ચલચિત્ર વિશેની સ્ટોરી નથી લખતો. તમે જાતે જ નિહાળશો તો મજા આવશે તેથી.પણ મને આ ચલચિત્રમાં એક નવીનતા દેખાઈ એ એ છે કે અન્ય ચલચિત્રમાં ન્યાય, બંધુતા, સમાનતા વગેરેના પ્રતીક રૂપે બાબા સાહેબ કે બુદ્ધનું ચિત્ર, બુદ્ધ વિહાર, તેમના નામના સ્થળો વગેરે ઘણું બતાવવામાં આવે છે. જ્યારે આ ફિલ્મમાં એવું કશું નથી. નિર્માણકર્તાએ આવા કોઈ આડંબર વિના ફિલ્મ રજૂ કરી છે. 

            ફિલ્મમાં મુખ્ય અભિનેતાને ડો. આંબેડકરના વિચારોને સીધા જ અનુસરતા બતાવ્યા છે. ફિલ્મમાં ન કોઈ "જય ભીમ" કે અન્ય કોઈ નારા કે ના કોઈ વાદળી રંગનું પ્રતીક. સીધા જ માનવતા અને સત્યને કેન્દ્રમાં રાખી ફિલ્મ રજૂ કરવામાં આવી છે અને આ બંનેનો વિજય એટલે "જય ભીમ." માથે લાબું તિલક તાણનાર અને મિનિટે મિનિટે "નમ: શિવાય" કહેનાર પણ માનવતાના વિરોધીઓ હોય એવું દર્શાવી નિર્માતાએ ઈશ્વરવાદીઓ ઉપર સીધું નિશાન તાક્યું છે. ફિલ્મમાં ડાયલોગ ઓછા છે પણ ધારદાર છે. અહીં ધ્યાન કેન્દ્રિત કરવા જેવી વાત છે કે સાપ અને ઉંદર પકડનાર વાદી અને આદિવાસી સમુદાયોની  વ્યથા અને પીડાને રજૂ કરી છે.

    આઝાદીના આટલા વર્ષો પછીય અમુક લોકો મતાધિકારથી વંચિત છે એ ફિલ્મમાં વંચિત સમુદાયો પાસે ચૂંટણી કાર્ડ ન હોવું એની નિશાની દર્શાવી છે. કોઈ પણ જાતિ કે સમુદાયનાં દર્શકો ફિલ્મ નિહાળતી વખતે સત્યના પક્ષે રહી શકે એવું વાતાવરણ ફિલ્મમાં નિર્માણ કરવામાં આવ્યું જેથી ફિલ્મ સંપાદક પણ ધન્યવાદને પાત્ર છે.અહીં અડવાથી કે પાણી પીવાથી રાખતી અસ્પૃશ્યતાની વાત નથી. અહીં આધુનિક અને પહેલા કરતા પણ વધુ ધારદાર અને મજબૂત બનેલી સામંત અને રૂઢીવાદીઓની દલિતો, આદિવાદીઓ પ્રેત્યેની માનવીય મૂલ્યોને છીંન્ન ભિન્ન કરતી માનસિકતા અને ચિત્કાર કરતી હિંસા, કનડગત, અન્યાય અને શોષણની વાત નિર્માતાએ મૂકી છે.બોલિવૂડની ફિલ્મોમાં પોલીસને હીરો બનાવીને રજૂ કરવાની પ્રથા ચાલી આવે છે પરંતુ સમાજ,સરકાર અને પોલીસને અરીસો બતાવાનું કાર્ય આ ફિલ્મે કર્યું. ફિલ્મમાં દ્રશ્ય કે કલાકારના ચહેરા પર કોઈ પણ મેકઅપના થોથા વગર ફિલ્મ રજૂ થઈ  છે જે ફિલ્મને કુદરતી વાતાવરણ બક્ષે છે.

       જોકે ફિલ્મમાં એક વાત મને જરૂર ખટકે એવી લાગી કે ફિલ્મમાં બે ત્રણ વાર કાલમાર્ક્સની એક મોટી મૂર્તિ બતાવવામાં આવે છે અને ડો. બાબા સાહેબ આંબેડકરના  વિચારો કોમ્યુનિટ્સો સાથે સુસંગત થતાં નથી. કાલમાર્કસની મૂર્તિની જગ્યાએ જો ડો. આંબેડકરની મૂર્તિ ફિલ્મમાં બતાવી હોત તો સારું હતું.

- રાહુલ વણોદ

Friday, May 14, 2021

ચેલા માસ્તરને આદરંજલી...

વાત છે 2017-18 ની..

હજુ ઝાઝો સમય નથી થયો. 
                વઢીયારના શંખેશ્વરમાં કોલેજ ચાલુ એ સમય દરમ્યાન. મારા ગામથી શંખેશ્વર આશરે 30-35 કિમી દૂર. વાયા દસાડા થઈ અપડાઉન કરવું પડતું. કોલેજ જવા સરકારની બસમાં જતો. પરંતુ આતો સરકારી ખાતું. અને એમાંય સુરેન્દ્રનગર જિલ્લાનો છેવાડાનો અમારો દસાડા તાલુકો. બસ આવે ન આવે. કોલેજનો પ્રથમ લેક્ચર તો ચુકાઈ જ જતો. ક્યારેક ક્યારેક એકાદ લેક્ચર બાકી હોય અને પોહચું. પછી આવ્યાનો અફસોસ થાય. બીજા છોકરાઓની જેમ મોજ મજા કરવા કોલેજમાં આવવાનું હોય તો ચાલે પણ પ્રથમ લેક્ચર ડો. મુકેશ સર ભણાવતા. ગુજરાતી "જબરું" ભણાવતા. તેથી તેમને સાંભળવાની તાલાવેલી રહેતી. પણ અપડાઉનના કારણે કોલેજમાં સમયસર પોહચી ન શકતો. તેથી વિચાર આવ્યો કે શંખેશ્વરમાં જ રહેવા મળે તો કેવું સારું ! સમય બચે અને કોલેજમાં નિયમિત આવી શકું તેથી ત્યાં શંખેશ્વરમાં જ કોઈ હોસ્ટેલની તપાસ કરી.

               હોસ્ટેલ તો ન મળી પણ હોસ્ટેલ જેવું છે એવું સાંભળ્યું. પૂછપરછ કરી તો માલુમ પડ્યું કે એક માણસ છે તેઓ ત્યાં છોકરાઓને રાખે છે. મહિને જમવાનું અને રહેવાનું ભાડું આપવું પડે. તે માણસને મળ્યો. તેમણે થોડા પ્રશ્નો કર્યા. એમાં પેલો પ્રશ્ન તો જરૂર હતો. "તમે કેવા છો ?" બસ પછી તો અપેક્ષા હતી એ જ થયું. બે દિવસ પછી તે માણસને મેં ફોન કર્યો તો મને કહ્યું, ભાઈ રૂમમાં જગ્યા નથી. તમે બીજે ક્યાંક વ્યવસ્થા કરી લેજો. મને નિરાશા સાંપડી.

  પછી ત્યાંના જ મારા એક મિત્રને મેં વાત કરી કે ભાઈ અહીં કોઈ હોસ્ટેલ અથવા રૂમ મળશે ? મારે કોલેજ ચાલુ છે ત્યાં સુધી જોઈએ છે. અપડાઉનમાં વાંચન લેખન માટે સમય નથી રહેતો.

એ મિત્ર નજીકના હતાં
 મને કહ્યું, રાહુલ અહીં વાણીયાઓ માટે ધર્મ શાળાઓ છે. સાવ ખાલી જ છે. પણ એ તમને રહેવા ન આપે. હું સમજી ગયો. મને ત્યારે બાબા સાહેબની વ્યથાનો અહેસાસ થયો કે બાબા સાહેબને પણ જ્યારે વડોદરાની ધર્મ શાળામાંથી બહાર કાઢ્યા હશે ત્યારે તેમને કેટલું દુઃખ થયું હશે ? પછી એ મિત્ર એ મને એક ફોન નંબર આપ્યો અને કહ્યું આ નંબર પર વાત કરજો. તમારા સમાજના જ છે. સારા માણસ છે કદાચ એ વ્યવસ્થા કરી આપશે. શુભ કાર્યમાં વાર શુ કામ કરવી? મેં તરત ફોન કર્યો. અને તેમને મળવા પોહચી ગયો. આધેડ વયના એ માણસ, એકદમ સ્વચ્છ કપડાં વાળ સફેદ હતાં. વૃદ્ધા વસ્થાના એંધાણ હતાં. નિવૃત શિક્ષક. શંખેશ્વરમાં બધાં તેમને ચેલા માસ્તર કહે,  મને બેસાડ્યો, ચા આપી. ચા પીતા પીતા મેં મારી વાત કરી. કે સાહેબ મને જાણવા મળ્યું છે આપ હોસ્ટેલ ચલાવો છો. તો મારે જરૂર છે હોસ્ટેલમાં રહેવા માટે. આપ મને એડમિશન આપી શકશો આપની હોસ્ટેલમાં? 

             સાહેબે ચા પી, ખાલી ચા ની પ્યાલી એક બાજુ મૂકી બોલ્યાં. જો બેટા, નિયમ પ્રમાણે હોસ્ટેલમાં માત્ર 12 ધોરણ સુધીના છોકરા રાખી શકાય કોલેજ વાળાને ન રાખી શકાય. પણ તારે જો ખરેખર અભ્યાસ માટે રહેવું જ હોય તો હું વ્યવસ્થા કરી આપું. તું આજે જ તારો સામાન લઈને મારા ઘરે રહેવા આવી જા. મારા ઘરે રહેજે. અને અભ્યાસ કરજે. મેં કહ્યું સાહેબ આપના ઘરે !? હજુ તો આજે જ  તમને મળ્યો હું. તમે મારા વિશે કશું જાણતા પણ નથી. અને પોતાના ઘરે રહેવાનું કહો છો? એક અજાણ્યા વ્યક્તિને આમ પોતાના ઘરે રાખવો !?
મારી વાત અચાનક વચ્ચે અટકાવી સાહેબે કહ્યું,

              બેટા હું નિવૃત શિક્ષક. મેં કેટલાય બાળકોને ભણાવ્યાં. સમાજને શક્ય એ મદદ કરી. હજુય આનંદ થાય મને જો તારી જેવા છોકરાઓને શિક્ષણ બાબતે મદદરૂપ થવાનો અવસર મળે તો. મને આનંદ થયો. બીજા દિવસે જ તેમના ઘરે રહેવા આવી ગયો. થોડાં દિવસો વિત્યા. ઘરના સભ્યો પણ મને બહુ સારું રાખતા. પ્રથમ મને અને હોસ્ટેલના  છોકરાઓને જમાડે પછી બધાં ઘરના સભ્યો જમે. ઘરના ઉપરના માળે હોસ્ટેલ ચાલે. સાહેબ ઘરે હોય ના હોય ત્યારે એમની ગેરહાજરીમાં છોકરાઓની હાજરી પુરવી, જમાડવા, ટાઈમે શાળાએ મોકલવા, વાંચવા લખવા બેસાડવા વગેરે કામ હું કરતો
સાથે સાથે મારા અભ્યાસ લેખનનો સમય પણ ફાળવતો. છોકરાઓ સાથે કદી નાના છોકરા બની જવામાં જ જીવનનો અસલી આનંદ છે તેવું મને છોકરાઓ સાથે મસ્તી કરતાં લાગતું.

              સાહેબ સાથે અવારનવાર વાતચીત થતી. મને કહેતા તું છે એટલે મને હાશકારો રહે છે. હું જોઉં છું છોકરાઓ હવે તોફાન ઓછા કરે છે. નિયમિત વાંચન લેખન કરે છે. તું બેઠો હોય એટલે એય તારી સાથે બેસી જાય છે. વાંચવા લખવા. મારે તો તને જ અહીં ગૃહપતિ( છાત્રાલયનું કામકાજ અને છોકરાઓને સંભાળનાર ) તરીકે રાખવાનો વિચાર છે.
સમય વિવવતો ગયો.સાહેબનું કાર્ય મારાથી અછાનું ન રહ્યું. તેમનામાં સમાજ પ્રેત્યેની ભાવના ઉત્તમ હતી. પરિવાર કરતાં સમાજ અને બાળકોના શિક્ષણને વધુ મહત્વ આપતા તેઓ. સ્વભાવ પણ એકદમ શાંત કામ સિવાય બહુ બોલવાનું નહીં, માનવ સ્વભાવને ખૂબ સારી રીતે ઓળખતાં.માનવ સ્વભાવ અને ગુણો વિશે તેમણે એક પુસ્તક પણ લખેલું.

             જોત જોતા મારે કોલેજ પૂર્ણ થવા આવી. કોલેજમાં સારા ગુણ સાથે સ્નાતક થયો તેનો શ્રેય ચેલા માસ્તર (સાહેબ)ને જાય છે. ત્યાંથી નીકળતાં સમયે બાબા સાહેબનું એક પેઇન્ટિંગ ભેટ આપ્યું સાહેબને. તે પછી અવારનાવર શંખેશ્વર જાઉં એટલે સાહેબને જરૂર મળું. સાહેબ કહેતાં તું હોસ્ટેલના વોર્ડન તરીકે રહ્યોં હોત તો સારું હતું. પણ હું જાણું છું તારે આગળ અભ્યાસ કરવાનો બાકી છે. પણ બેટા કોઈ પણ છોકરો કે છોકરી તને યોગ્ય લાગે કે આ સારું ભણશે અને એને મદદની જરૂર છે તો મને જણાવજે. હું એના ખાવા પીવાનો,રહેવાનો અને ભણવાનો બધો જ ખર્ચ ઉઠાવીશ. જોકે તેઓ આજીવન સમાજના છોકરાઓને શિક્ષણ બાબતે મદદરૂપ થતાં હતાં. હમણાં એક અઠવાડિયા પહેલાં સમાચાર મળ્યાં કે તેઓ આ દુનિયામાં નથી રહ્યાં તો દુઃખ થયું. હોસ્ટેલ નોંધારી થઇ ગઇ. તેઓ હજુ જીવતા રહ્યાં હોત તો હજુ મારા જેવાં ઘણા છોકરાઓ અને સમાજને મદદરૂપ થયાં રહ્યાં હોત. આજે એમના સુપુત્ર સાથે વાત કરી. અને સાહેબ વિશે જૂની સ્મૃતિઓ વાગોળી. તેમનાં સુપુત્રએ મને જે સાહેબ વિશે કહ્યું એ તેમના જ શબ્દોમાં કહું,

 પપ્પા હવે નથી રહ્યાં. થોડાં સમયથી બીમાર રહેતાં. હું અને પરિવારજનો અવારનવાર કહેતા કે તમે આરામ કરો પણ તેઓ સમાજનું કામ આવે એટલે પોતાની તબિયત પણ ન જોતાં.
ઘરમાં પૈસાની જરૂર હોય તો પણ કોઈ છોકરાને અભ્યાસ માટે જરૂર પડે તો ઘરમાંથી કાઢી આપી દેતાં. સમાજનું કામ પરિવારથી પણ વિશેષ હોતું તેમના માટે. તેમણે જે કામ કર્યું એ અમે તો ન જ કરી શકીએ.

- રાહુલ વણોદ
મો.8000739976


Tuesday, April 20, 2021

લોક વિચાર ઘડવામાં લેખકો અને વર્તમાન પત્રો ખૂબ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે.



                                 લેખન-  રાહુલ વણોદ
                                 મો.8000739976


          હમણાં 18 એપ્રિલે રમેશ ઓઝા નામક વ્યક્તિએ ભારતીય બધાંરણમાં બાબા સાહેબની ભૂમિકા અને મહત્વ ઓછું આંકતો એક લેખ વર્તમાન પત્રમાં પ્રસારિત કરેલો. સ્વાભાવિક છે કે સંદેશ, દિવ્ય ભાસ્કર અને ગુજરાત સમાચારમાં અવારનવાર વૈદિક અને હિંદુ ધર્મના હિમાયતી અને મનુવાદી જેવી હલકી માનસિકતા વાળા કુલેખકો દ્વારા લખવામાં આવેલ લેખો છાપવામાં આવે છે. અને ડો. આંબેડકરના અનુયાયીઓની લાગણીને ઠેસ પોહચાડવાનું દુસાહસ કરતાં રહે છે.જોકે આ પ્રથમ વખત નથી. અવારનવાર ઉજળિયાત વર્ગના લેખકો દ્વારા આ પ્રકારની કુચેષ્ઠા કરવામાં આવે છે. અથવા આમ કરાવવામાં આવે છે. ડો. આંબેડકર જીવતા હતાં ત્યારે પણ મનુવાદી છાપાઓના તંત્રીઓ ડો. આંબેડકર વિશે પોતાની હલકી માનસિકતા પ્રદર્શિત કરવાનો કોઈ મોકો છોડતા નહતા.

           આવું હજુ પણ થતું રહેશે એમાં નવાઈ નથી એ લોકોના લોહીમાં જ છે કે ઉજળિયાત વર્ગ સિવાયના અન્ય વર્ગમાંથી આગળ આવેલ મહાપુરુષોના મહત્વને ઓછું આંકવું.બહુજન મહાપુરુષોની જન્મ જયંતિ હોય, મોહોત્સવ, સભા, રેલી કે અન્ય કોઈ કાર્ય હોય તેને આ મનુવાદીઓ વૈદિક સંસ્કૃતિના હિમાયત કરતાં લોકોએ અવગણના જ કરી છે. ગયાં વર્ષે આપણાં એક કેન્દ્રીય  સંસદ સભ્ય મૃત્યુ પામ્યાં તેની નાની એવી નોંધ સુદ્ધા પણ ન લીધી મીડિયાએ. પણ જો એજ કેન્દ્રીય મંત્રી કહેવતી ઉચ્ચ જ્ઞાતિનો હોત તો  એકાદ બે લેખ તો જરૂર છાપ્યા હોત. એમાં જન્મથી માંડી સંસદ સભ્ય સુધીની સફર વિશે લખ્યું હોત. માયાવતીજી કે લાલુજી ના જીવન સંઘર્ષ વિશે મહત્વની વાતો પણ કદી મીડિયા બતાવશે નહીં,હા બહુજન મહાપુરુષો વિશે કશું ઉતરતી કક્ષાનું  કે અપમાનિત કરતું કશું લખવું હોય તો કોઈ કસર નહીં છોડે આ દલાલ મીડિયા. કાંશીરામ સાહેબ વિશે પણ બહુ ઓછું મીડિયામાં બતાવતાં.

ભૂતકાળ પણ "અમદાવાદ સમાચાર", "ગુજરાત મિત્ર", જેવા સામયિકો અને વર્તમાન પત્રો એ પોતાની રૂઢિવાદી માનસિકતા છતી કરી છે. ગુજરાતી વર્તમાન પત્રોએ સમયે સમયે પોતાની રૂઢિવાદી માનસિકતા છતી કરી છે. અને અસ્પૃશ્યો  અને તેમના નાયકોને ઉણા ચિતરતા લખાણો અવારનવાર પોતાનાં સામયિકોમાં છાપાતા રહ્યાં છે.

 સવાલ એ થાય છે કે આપણે એમને વળતો જવાબ શી રીતે આપીએ છીએ !!? સોશ્યલ મીડિયામાં એકાદ બે પોસ્ટ મુકીશું, થોડી ઘણી ચર્ચા કરીશું બસ..એટલું જ.
અહીં સુધી જ મર્યાદિત છે. આપણો ગુસ્સો. આપણે કોઈ સબળ માધ્યમ વિકસાવવું જોઈએ. આપણો ગુસ્સો અને અવાજ માત્ર સોશ્યલ મીડિયા પૂરતો સીમિત ન રાખવો જોઈએ. રમેશ ઓઝાએ વર્તમાન પત્રમાં પોતાની ગંદી માનસિકતા રજૂ કરી છે તો આપણે પણ ઇટનો જવાબ ઇટથી આપવો જોઈએ. પરંતુ આપણી પાસે મર્યાદિત સ્ત્રોત છે સોશ્યલ મીડિયા સિવાય. હાલ કેટલાક પ્રકાશકો અને આપણાં લેખકોએ રમેશ ઓઝા જેવા કેટલાય મનુવાદીઓને પુસ્તકો, લેખો લખી કરારો જવાબ આપ્યો છે. તેમને ધન્યવાદ દેવા પડે. પરંતુ હજુ મીડિયા અને પત્રકારત્વ ક્ષેત્રે જેટલું જોઈએ તેટલું બહુજન સાહિત્યનું ખેડાણ નથી થયું. આપણે બહુજન સમાજનું મીડિયા ઉભું કરવામાં ક્યાંક ને ક્યાંક ઉણા ઉતર્યા છીએ. બહુજન મીડિયા વિકસાવવામાં આપણી ઉદાસીનતા ઉડીને આંખે વળગે એવી જરૂર છે.

              પત્રકારત્વ ક્ષેત્રે આગળ ડગ માંડવામાં આવે તો ઓઝા, વોરા અને સંઘવી જેવાઓને જવાબ આપવામાં સરળતા રહે. સમાજનું ખુદનું સાહિત્ય અને મીડિયા જરૂરી છે. અને સાથે સાથે એમાં કામ કરતાં પત્રકારો અને તંત્રીઓને આવકનો સ્ત્રોત મળી રહે તે પણ અગત્યનું છે. યુવાનો એ પણ પત્રકારત્વ ક્ષેત્રે અને વાંચન, લેખન પરત્વે રસ રુચિ દાખવવા જોઈએ. જેથી બહુજન મીડિયાનો પાયો મજબૂત બને. કેમ કે જે સમાજમાં લેખકો અને વર્તમાન પત્રો જેટલાં મોડા પેદા થાય છે તે સમાજ ઉન્નતિ અને પ્રગતિમાં એટલો જ પાછળ રહે છે.

             મને નેપોલિયન બોનાપાર્ટે કહ્યું છે તે વાક્ય યાદ આવે છે કે, "મને આ બંદૂકનો ડર લાગતો નથી, જેટલો એક વર્તમાન પત્રનો ડર લાગે છે." કહેવાય છે કે હિટલર, પોતાના હાથ નીચે વર્તમાન પત્રોને કારણે સત્તા સુધી પોહચ્યો હતો. સત્તા રૂઢ થવા માટે મીડિયા બ્રહ્માસ્ત્ર સાબિત થાય છે. લોકવિચાર ઘડવામાં ખૂબ મહત્વની ભુમિકા અદા કરે છે મીડિયા. ઉપરાંત શિક્ષણ અને જ્ઞાન આપવાનું કાર્ય પણ કરે જ છે.જોકે આંબેડકરવાદી પત્રકારો અને સામયિકો હવે ઉગતા જાય છે એનો આનંદ છે.


.

न्याय चाहिए तो शासक बनो -मान्यवर कांशीराम  આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??...