Saturday, December 26, 2020

#શહિદ વીર ઉધમસિંહની વિરગાથા...

                  આમ તો ભારતને અંગ્રેજોથી આઝાદી અપાવવામાં ઘણાં ક્રાંતિકારી મહાપરુષોનો ફાળો રહ્યોં છે. ભારત દેશને ઘડવામાં જેમને જ્યાં યોગ્ય લાગ્યું ત્યાં પોતાનું અમૂલ્ય યોગદાન અને બલિદાન આપ્યું.
કોઈએ બંદૂક ગોળી ખાઈને,
કોઈએ ફાંસીએ ઝુલીને,
કોઈએ આજીવન જેલવાસ વેઠીને.
તો કોઈએ દેશમાં વૈચારીક ક્રાંતિ ઉભી કરીને,
આ બધાં મહાપુરુષોની કોઈ જ્ઞાતિ નહતી, કોઈ જાતિ નહતી.

            એ બધા માત્રને માત્ર ભારતીય હતાં. કદાચ એ મહાપુરુષોમાં વૈચારિક મતભેદ જરૂર હશે. પણ એકબીજા પ્રેત્યે આદર સત્કાર ભારોભાર હતો. કોઈ પણ ભેદભાવ વગર દેશનાં ક્રાંતિકારીઓએ પોતાનું બલિદાન આપ્યું પરંતુ કોઈ ચોક્કસ જ્ઞાતિનાં ઈતિહાસકારોએ જરૂર એ વીર મહાપુરુષો અને ક્રાંતિકારીઓ સાથે ભેદભાવ કર્યો. એ ભેદભાવનો ભોગ દેશનાં ઘણાં મહાપુરુષો થયાં છે. ગંગુ માતર જેવાં વીર ક્રાંતિકારીઓનું તો ક્યાંક નામોનિશાન નથી ઈતિહાસમાં. હા, અંગ્રેજોના ચોપડે જરૂર એમનો ઈતિહાસ જોવા મળે. કેવી હીન માનસિકતા હશે એ કે જેમાં દેશને પોતાનું યોગદાન આપનાર ક્રાંતિકારીઓને પણ જ્ઞાતિ, જાતિના કારણે ભેદભાવ કરી એમના મહાન બલીદાનને અવગણવામાં આવ્યો હશે !?

            આવા જ એક ક્રાંતિકારી વીર યોદ્ધા એટલે ઉધમસિંહ...
                   ઉધમસિંહનો જન્મ પંજાબમાં થયેલો. એટલે વીરતા તો એમનામાં જન્મ સિદ્ધ હતી તે સમજી શકાય !
કેમ કે મારા ખ્યાલથી દેશમાં પંજાબ એક એવું રાજ્ય અથવા વિસ્તાર છે જ્યાંથી અન્યાય, અત્યાચાર સામે પ્રથમ વિદ્રોહ શરૂ થાય છે. કદાચ પંજાબની માટીની આ અસર હશે ! ઈતિહાસમાંથી બહુજન મહાપુરુષોનાં નામના પન્ના ફાડી નાખવામાં આવ્યાં હોય એવું લાગે છે. પરતું ઈતિહાસ છુપાવી શકાય એમ નથી હોતો. એવું જ એક નામ એટલે ઉધમસિંહ..
             
                  બહુજન સમાજમાંથી આવતાં દરેક મહાપુરુષે સમાનતાની વાત કરી છે. ઇ.સ. 1907 પછીની સમય ગાળો ઉધમસિંહ માટે કપરો સાબિત થયો કેમ કે માતા પિતાના અવસાન બાદ તેમણે મોટાભાઈ સાથે અમૃતસરનાં અનાથાશ્રમમાં રહેવું પડેલું. જોકે થોડા સમય પછી મોટાભાઈનું પણ અવસાન થયું. ઉધમસિંહ સાવ અનાથ થઈ ગયાં. જાણે દુઃખોનો પહાડ તૂટી પડ્યો.પરંતુ દુઃખી થયાં વગર તેમણે પોતાનું સમગ્ર ધ્યાન દેશની સ્થિતિ તરફ કેન્દ્રિત કર્યું. અને અનાથાશ્રમમાંથી નીકળી સમગ્ર જીવન દેશ માટે સમર્પિત કરવાનો નિર્ણય લીધો. ઉધમસિંહનું બાળપણનું નામ શેરસિંહ હતું. નામ પ્રમાણે નિડર, નિર્ભય જેવાં ગુણો તો ખરા જ ! પરંતુ જેલવાસ દરમ્યાન તેમને પોતાનું નામ "રામ મોહમ્મદ સિંહ આઝાદ" રાખેલું. એમનું આ નામ તેમનાં "સર્વ ધર્મ સમ ભાવ" ના પ્રતીક સમાન હતું. તેઓ દેશનાં સર્વ ધર્મને સમાન આદર આપતાં. પરંતુ એ વીર ક્રાંતિકારીની જ ઇતિહાસકારોએ નોંધ ન લીધી એ કેવી કરુણ વાસ્તવિકતા !!

                        દેશનો એ ગોઝારો દિવસ કોણ ભૂલી શક્યું છે આજ સુધી જ્યારે રોલેટ એક્ટનાં વિરોધમાં 13 એપ્રિલ 1919 માં પંજાબનાં અમૃતસરનાં જલિયાંવાલા બાગમાં જેમ આભમાંથી પાણીનો વરસાદ થાય એમ અંગ્રેજોની બંદૂકોમાંથી ગોળીઓનો વરસાદ થયો હતો. અને ઘડીભરમાં એ જલિયાંવાલા બાગની ધરતી લોહી લુહાણ થઈ ગઈ હતી. દેશનાં કેટલાંય બાળકો, યુવાનો, આધેડનાં જીવન ફૂલો મુરઝાઈ ગયાં હતાં. કેટલાંય દેશવાસીઓ અંગ્રેજોની ગોળીયે વિધાયા, પીખાયા. 
કેટલાં મૃત્યું પામ્યાં ?
કેટલાં ઘવાયાં ?
              એ બધી આંકડાની માયાજાળમાં નહીં પડું. તમે ગૂગલમાંથી શોધી શકો છો. જલિયાંવાલા બાગમાં તો અમર શહીદોની સૂચિમાં  388 નામ છે. જોકે આથી પણ વધારે શહીદો હશે. એવું મારું દ્રઢ પણે માનવું છે. અંગ્રેજ જનરલ ડાયર અને 90 જેટલાં અંગ્રેજ સૈનિકોએ નિર્દય થઈ જેમ કીડી મંકોડા મારે એમ ધડાધડ બાગમાં ભેગાં થયેલ લગભગ 5000 દેશવાસીઓ પર અંધાધૂંન ગોળી બાર કરવા લાગ્યા હતાં. થોડીવારમાં તો અફરાતફરી મચી ગઇ. ભાગો... ભાગો... ની બુમો સંભળાવવા લાગી. બાગનો મુખ્ય પ્રવેશ દ્વાર જરા સાંકડો તેથી એક સાથે ભીડને નીકળવાનો અવકાશ ઓછો. એ બધાં વચ્ચે માત્ર 20 વર્ષનો યુવાન આ બધું જોઈ રહ્યોં હતો. એ યુવાન કિશોરાવસ્થામાંથી માંડ હજુ યુવાનીમાં પગ મુકું મુકું હતો. મૂછનો દોરો માંડ ફૂટ્યો હતો. થોડી વારમાં બાગમાં નિરવશાંતિ પથરાઈ ગઈ. ચીખવા, ચિલ્લાવાનનાં દર્દ નાક અવાજો શાંત થઈ ગયાં. પણ 20 વર્ષનાં યુવાનનાં કાનોમાં જાણે એ દર્દનાક અવાજો હજુય પડઘાતાં હતાં. સંભળાતા હતાં. દેશવાસીઓની લોહીથી લથબથ લાશો આંખો સામે પડી હતી. કેટલાંય ગોળીઓથી ઘાયલ હતાં. બાળકો, મહિલાઓ આક્રંદ કરી રહ્યા હતાં. રૉલેટ એક્ટનો વિરોધ કરવા અહિંસક રીતે  ભેગા થયેલાં પ્રદર્શનકારીઓ પર 10 મિનિટમાં લી-એનફીલ્ડ રાયફલ્સ દ્વારા 1650 રાઉન્ડ ગોળીઓ છોડવામાં આવી હતી. આ દર્દનાક હત્યાકાંડને પ્રત્યક્ષ નિહાડનાર એ 20 વર્ષનો યુવાન એટલે ઉધમસિંહ. પથ્થર જેવાં હૈયાને પણ હચમચાવી મૂકે એવાં આ સામુહિક હત્યા કાંડને જોઈ યુવાન ઉધમસિંહનું હૃદય દ્રવી ઉઠ્યું. પરંતુ થોડી જ વારમાં એ જ હૃદયમાંથી વિદ્રોહ જાગ્યો. અને ઉધમસિંહએ મનોમન નક્કી કરી નાખ્યું કે આ સામુહિક હત્યાકાંડનાં જવાબદાર ડાયરને મોતને ઘાટ ઉતારવો એ જ જીવનનું અંતિમ લક્ષ. પરંતુ જનરલ ડાયરનું ઈ.સ.1927 માં મૃત્યુ થઈ ગયું હતું એમવામાં ઉધમસિંહનો આક્રોશનો ભોગ  માઈકલ ડાયર બન્યો જેણે આ જલિયાંવાલા હત્યાકાંડને ઉચિત ઠેરવ્યો હતો.

                    માઈકલ ડાયરને કંઈ રીતે મોતને ઘાટ ઉતારવો એ જ ઉધમસિંહનાં જીવનું લક્ષ હતું. તે લક્ષમાં કઈ રીતે સફળતા મેળવવી  તેના વિશે તેઓ યુક્તિઓ કરવા લાગ્યાં. પરંતુ છેક 21 વર્ષ પછી ઉધમસિંહએ પોતાનો સંકલ્પ પૂરો કર્યો અને છેક લંડન જઈને ઉપરાઉપરી બે ગોળીઓ માઈકલ ડાયરની છાતીમાં ધરબી દીધી. ઉધમસિંહની ભારતથી લંડન સુધીની સફર પણ એટલી જ રસપ્રદ છે. માઈકલ ડાયરને મારવા માટે પિસ્તોલ પણ તેમણે પુસ્તકમાં રાખી હતી. એક જાડા પુસ્તકના પાનાં પિસ્તોલ આકારે કાપીને તેમાં પિસ્તોલ મૂકી હતી. માઈકલ ડાયરની હત્યા બાદ ઉધમસિંહ ભાગ્યા નહીં પણ આત્મસમર્પણ કરી દીધું. મુકદમો ચાલ્યો અને 31 જુલાઈ 1940 માં પેટન્ટવિલે જેલમાં તેમને ફાંસી આપવામાં આવી હતી. તેઓ હસતાં મુખે ફાંસીએ લટકી ગયાં અને પોતાના પ્રાણોનું સર્વોચ્ચ બલિદાન દેશને નામ કરી ગયાં. આવા વીર સદીઓ એકવાર જ જન્મે..
ભારત દેશ તેમનાં આ બલિદાનને ક્યારેય નહીં ભૂલી શકે..

લેખન - રાહુલ વણોદ
   મો.8000739976

Wednesday, December 23, 2020

#ઝરૂખો

#ઝરૂખો

એક સમયે ઐતિહાસિક બાંધકામમાં ઝરૂખો જોવા મળતો. જોકે હાલ તો ઝરૂખા લુપ્ત થતાં જાય છે. ઝરૂખાનું બાંધકામ મુખ્ય બે પ્રકારે થતું.
એક લાકડાનો ઝરૂખો
બે પથ્થરનાં બાંધકામમાંથી કોતરકામ કરી બનાવેલો ઝરૂખો.
       
               ઝરૂખાનો મતલબ લાકડાં કે પથ્થરનાં બાંધકામમાં બારી બહાર કાઢેલું ઝઝૂમતું બાંધકામ અથવા છજુ, આજે ઝરૂખનું સ્વરૂપ બદલાયું છે. હવે ઝરૂખાનું સ્થાન અગાસી અથવા બારી લીધું છે. ઝરૂખાનું મહત્વ સમય પ્રમાણે ઘટતું ગયું.
           ઝરૂખો લાકડાનો હોય કે પથ્થરોનો હોય એમાં સ્ત્રીઓ, ઘોડાઓ, સિંહ, દેવો અથવા વિવિધ ભાતનું વિસ્મય પમાડે એવું અદ્ભૂત કોતરણી કામ જોવા મળતું. કોઈ સારા સંશોધક દ્વારા ઝરૂખા ઉપરનાં ચિત્રોથી ઈતિહાસની લિપિ ઉકેલી શકાય છે. 

               ઝરૂખો મુખ્યત્વે મકાન કે રાજા રાજવાડાની હવેલીમાં નગરનાં મુખ્ય રસ્તેથી બહાર પડતો બનાવવા આવતો. જેથી ઝરૂખે ઊભાં રહી રસ્તામાં નિકળતા લોકો અથવા વારે તહેવારે ઉજવાતા પ્રસંગો, ઘટનાઓ ઝરૂખે ઉભા રહી જોઈ શકાય. ઐતિહાસિક મકાનોમાં ઝરૂખા વિશેષ જોવા મળતાં. ઝરૂખો મુખ્યત્વે રાજાઓની રાણી, મહારાણીઓને માટે બનાવવામાં આવતાં. ક્યાંક રાજાઓ માટે પણ બનાવવા આવતા. જેથી રાજા ઝરૂખેથી ઉભા રહી રાજ્ય વહીવટી કાર્ય કરી શકે અથવા નજારો જોઈ શકે. અન્ય પણ ઉમેરી શકાય.
       
             રાજા મહારાજાઓના સમયમાં ઝરૂખાનું વિશેષ મહત્વ હતું. આજથી સો બસો કે તેથી વધું વર્ષ જુના મકાનો અથવા રાજા રજવાડાનાં સમયનાં લાકડાં કે પથ્થરનાં કેટલાંક બાંધકામ જોશો તો તેમાં પણ ક્યાંક ક્યાંક હજુ ભગ્નાવસ્તામાં ઝરૂખા જોવા મળશે. આજે ઝરૂખા નામશેષ થતાં જાય છે. આજના સમયે હવે એવા અદ્ભૂત ઝરૂખા બની શકે એમ નથી. આમ તો શાયરોની ભાષામાં ઝરૂખાને ઇનજાર કરવા માટેનો ઓરડો કહી શકાય. આજે પણ આપણને પણ ઘણી વાર દિલને ઉદાસી ઘેરી વળે ત્યારે અથવા કોઈ પ્રસંન્નતાના સમયે બારી કે અગાસીએ ઊભા રહી બહારનું દ્રશ્ય જોવું ગમે. ફરક માત્ર એટલો કે આજે ઝરૂખાનું સ્થાન બારીએ કે અગાસીએ લીધું છે. 

              ઝરૂખાની વાત આવે એટલે સૈફ પાલનપુરીની ઝરૂખાને અમરત્વ બક્ષતી "શાંત ઝરૂખે.." મનહર ઉધાસનાં સુરીલા કંઠે ગવાયેલી અમર ગઝલ યાદ આવ્યાં વિના ન જ રહે ! તો જવાહર બક્ષી કાવ્યત્મકતાથી ઝરૂખાને પોતાની ગઝલનાં શેરમાં આ રીતે મૂકે છે કે,

બધાં વિકલ્પ પુરા થઈ ગયાં છે કિલ્લામાં,
ફર્યા કરે છે એકલો સંબંધ ઝરૂખામાં.

તો ઈ.સ.1978  માં હિન્દી ચલચિત્ર "અખિયો કે ઝરૂખે સે.." નામનું એક ફિલ્મ પણ આવેલું જેમાં શિર્ષક ગીત "અખિયો કે ઝરૂખે સે.." લોકોને બહુ પસંદ આવેલું. આજે પણ ગુજરાતની જો વાત કરીએ તો અમદાવાદ, રાજકોટ જેવા મોટા શહેરોની પોળોમાં અને પાલનપુર જેવાં કેટલાંક અન્ય શહેરોમાં ઐતિહાસિક પથ્થરો અને લાકડાનાં બાંધકામો જે સમયકાળ સામે ઝઝૂમી રહ્યાં છે. ત્યાં ઝરૂખા ક્યાંક ક્યાંક દેખાય છે.
           
         એ ઝરૂખાઓ તે સમયની ભવ્ય ગાથા ગાય છે. એક સમયે રસ્તેથી વરઘોડો નીકળે ત્યારે આવા ઝરૂખા યૌવનથી છલકાઈ ઉઠતાં અને જીવંત બનતાં. બાકી તો આજે નામશેષ કહી શકાય.સૈફ પાલનપુરીની ભાષામાં કહીએ તો

વર્ષો બાદ ફરીથી આજે
એ જ ઝરૂખો જોયો છે.

ત્યાં ગીત નથી, સંગીત નથી,
ત્યાં પગરવ સાથે પ્રીત નથી,
ત્યાં સપનાઓનાં મહેલ નથી,
ને ઉર્મિઓનાં ખેલ નથી.

વધું ઉમેરણ આવકાર્ય...

સંકલન - રાહુલ વણોદ 
     મો.8000739976

Tuesday, October 27, 2020

"સંતોનું સમાનતા આંદોલન..." ✍️◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆



ભારત વર્ષમાં સિંધુ સભ્યતાનાં ઉદય પછી ક્રમિક રીતે માનવ સભ્યતાનાં વિકાસ બાદ ભારતમાં બે આંદોલનો પ્રવર્તમાન રહ્યાં છે. જે એક જ ધર્મમાં હોવા છતાં તેમાં બે ફાટા શરૂઆતથી જ ચાલતાં આવ્યાં છે. તે આંદોલન છે હિન્દૂ સમાજમાં સમાનતાનું આંદોલન. આ આંદોલનનું સ્વરૂપ અને પ્રવાહ સમયે સમયે બદલાતો રહ્યોં છે. પરતું આ આંદોલન વણથર્ભ્યુ સતત ચાલ્યું છે. ક્યારે આ આંદોલન સંતોએ ચલાવ્યું છે તો ક્યારેક મહાપુરુષોએ ચલાવ્યું તો ક્યારેય સામાન્ય માણસે આ આંદોલનને સમય સાથે ચાલતું અને ધબકતું રાખ્યું છે. પરંતું ક્યારેક આ આંદોલનને રૂઢિગત પરંપરા અને શાસ્ત્રોનાં ભાર નીચે દબાવવા આવ્યું અથવા હોમ હવનની આગમાં લપેટવામાં આવ્યું તો ક્યારેક આ આંદોલનના પ્રણેતાઓ અને મહાપુરુષોનાં કત્લે આમ કરવામાં આવ્યાં અથવા તે મહાપુરુષો અને સંતોની જીવની અને તેમની વિચારધારાને દૂષિત કરવા લાખો પ્રયત્નો કરવામાં આવ્યાં. પરંતું આટ આટલા પ્રયત્નો છતાં તે આંદોલન સંપૂર્ણ વૃક્ષ માફક ઊગી નીકળ્યું છે. તે સત્ય સુરજ જેવું છે. અને આ આંદોલને ભારતમાં સામાજિક, રાજનૈતિક અને ધાર્મિક એમ ત્રણેય ક્ષેત્રે મહત્વની ઉથલ પાથલ કરી. પરંતુ આપણી પાસે 28 માં તથાગત ગૌતમ બુદ્ધ પહેલાનો સંપૂર્ણ ઈતિહાસ અપ્રાપ્ય છે. તેથી માત્ર અનુમાન અને અર્થનાં જોરે ઈતિહાસની આંટીઘૂંટી ઉકેલવાનાં પ્રયાસો કરી શકાય. બુદ્ધ પહેલાં 28 બુદ્ધની થિયરી જગજાહેર છે. તે 28 બુદ્ધોએ સનાતન ધર્મનો પાયો નાખ્યો હશે અને ધાર્મિક અને સામાજિક આંદોલનનાં મૂળિયા મજબૂત કર્યા હશે એમ માનીએ તો કહી શકાય કે આ સમાનતાનાં આંદોલનનાં મૂળિયા અહીંથી નખાયા હશે. એ સિવાય પણ ગૌતમ બુદ્ધનાં સમય પહેલાં આજીવકો અને સિધ્ધોએ જાતિગત ભેદભાવ, વર્ણવ્યવસ્થા અને કર્મ કાંડો રહિત નિર્ગુણ ભક્તિ પરંપરા ચલાવેલી જેમાં સરહપા જેવાં સિધ્ધોનું નામ મોખરે છે.
કાશીના રામાનંદજીએ પોતાનાં શિષ્ય ગણમાં દરેક જાતિના લોકોને આવકારીને જાતિના મહત્વને નકારી ભક્તિને હથિયાર બનાવી સમાનતાનાં આંદોલનને ટેકો આપેલો. 
આ સમાનતાનું આંદોલન સામાજિક આંદોલનથી ઉપર ઉઠી ધાર્મિક ઐક્ય અને એકતાં માટેનું આંદોલન બની રહ્યું. અને તેથી સમગ્ર ભારત વર્ષમાં આ આંદોલન વીજળીનાં ઝબકારાની જેમ વ્યાપી ગયું. આ સમગ્ર આંદોલને પરંપરાગત પૂજાપાઠ, કર્મ કાંડ, જટિલ શાસ્ત્રો, બાહ્યાડંબર, નિરર્થક કર્મકાંડો અને જાતિગત છુઆછૂત દૂર કરી સમાજમાં એકતા સ્થાપાવા માટે અલખની ધૂણી ધખાવેલી.
આ આંદોલનને વેગવંતુ બનાવવા અનેક સંતોએ મહત્વનો ભાગ ભજવ્યો જેમાં રાજસ્થાનનાં રાજર્ષિ પીપા અને ધન્ના જાટે તથા મેવાડની કુળવધુ મીરાનો પણ સમાવેશ કરી શકાય. મેવાડની રાણી ઝાલી રૈદાસની શિષ્યા હતી. તેણે પોતાનાં દીકરાના વિવાહનાં દિવસે સંત રૈદાસને ભોજન માટે મહેલમાં આમંત્રણ આપેલું. સમાજ સુધારક સંત રૈદાસ જ્યારે મહેલ પધાર્યા ત્યારે રાની ઝાલીએ રૈદાસનું ભવ્ય સ્વાગત કરેલ આ જોઈ રૂઢિવાદી બ્રાહ્મણોએ જબરદસ્ત વિરોધ કરેલો. છતાં રાણી ઝાલીની ગુરુ ભક્તિમાં ઓટ નહીં આવેલી. રાણી ઝાલીની આ ગુરુ ભક્તિ જોઈને ઉચ્ચ કુળમાં જન્મેલી મેવાડની રાણી મીરાએ પણ "પ્રભુજી તુમ ચંદન હમ પાની" કહેનાર સમાજ સુધારક અને સંત રૈદાસને ગુરુ માની લીધાં. રાજસ્થાનનાં જ બાબા રામદેવપીરે પણ ગામડે ગામડે ફરી લોક ચેતના અને સમાનતાનું વાતાવરણ ઉભું કર્યું. અને કહ્યું સૌ એક છે. બાબા રામદેવની સમાજ સુધારાની પ્રવુતિઓને કારણે જ તેઓ અછૂત સમાજમાં સંત તરીકે ઓળખાયા અને ઇસ્લામ ધર્મમાં પીર તરીકે પ્રસિદ્ધ થયાં. આ બાજુ તામિલનાડુમાં પણ ભક્તિ માર્ગે સમાનતાનું આંદોલન વહેતુ રહ્યું નમ્માલવાર, તિરુપપ્પાન આલવાર, મુનિવાહન આલવાર વગેરે અછૂત સમાજમાંથી આવતાં હતાં છતાં તેમની વિદ્વતા અને જ્ઞાન જોઈ સવર્ણ બ્રાહ્મણો પણ તેમનાં શિષ્ય બન્યાં હતાં. તો શિવભક્ત નાયન્મારોએ પણ જાતિગત ભેદભાવને નકાર્યો હતો. અન્ય એક સંત નંદવારે પણ નાતજાતના ભેદભાવ સામે સમાનતાનું આંદોલન ચલાવ્યું હતું. તો ઓરિસ્સામાં પણ પંચસખા પરંપરા અને ભક્ત ભીમ ભોઈએ સામાજિક ભેદભાવ દૂર કરવા ભક્તિનો આસરો લીધેલો. બંગાળમાં પણ નદિયા જિલ્લાનાં તરુણ સન્યાસી ચૈતન્ય મહાપ્રભુએ સામાજિક જાતિભેદનો વિચ્છેદ કરતાં કહ્યું કે,

"જેઈ ભજે સેઈ બડો, અભક્ત હીન છાર,
કૃષ્ણ ભજને નહીં જાતિ કુલ વિચાર."

ચૈતન્ય મહાપ્રભુનો સમય ગાળો ભારતીય અધ્યાત્મનાં ઇતિહાસની વિલક્ષણ ક્ષણ હતી. એ સમયનાં સંતો તમામ જાતિના લોકો સાથે મળી ભજન કીર્તન કરતાં ત્યાં જાતિનું કોઈ મહત્વ ન હતું. એ સમયે ભક્તિ દ્વારા જ સામાજિક એકતાનો પ્રસાદ વહેંચાતો હતો. ચૈતન્ય મહાપ્રભુનાં શિષ્યો પૂર્વાચલની આદિજાતિઓમાં ભક્તિ અને જનજાગૃતિનો વ્યાપક પ્રચાર કરેલો. સ્વામી પ્રણવાનંદજી 'નમ શુદ્ર' નાં ઘરે જઈને જમતાં. તો રામકૃષ્ણ પરમહંસ પણ કહેવાતી સાવ નિન્મ જાતિ વાલ્મિકી સમુદાયનાં ઘરનો ઓટલો વાળવા જતાં.
વળી પાગજ્યોતિષનાં શ્રીમંત શંકરદેવ પણ સંત કબીરની નિર્ગુણ ભક્તિથી પ્રેરાઈને આસામમાં જઈને ઢોંગ, બાહ્યાડંબર, નિરર્થક કર્મકાંડો વગરની નિર્મળ ભક્તિનો પ્રચાર કર્યો. આસામમાં છુઆછૂત, સામાજિક જાતિગત ભેદભાવ દૂર કરવા શંકરદેવ અને તેમનાં શિષ્ય માધવદાસની ભૂમિકા અહમ રહી છે. અને તે કારણે જ આસામમાં ભેદભાવ વગરનાં સમાજનું નિર્માણ થવાની શરૂઆત થઈ.
આ સમાનતાનું આંદોલન માત્ર જાતિગત ભેદભાવ દૂર કરવાનું ન હતું પરંતુ ધર્મ કે સમાજમાં સ્ત્રી પુરુષના ભેદભાવને પણ દૂર કરી સૌને સમાનતા આપવાનું હતું. અને તેથી જ તો બીબી નારીચયાર મુસલમાન હતાં તે છતાં મેલુકોટનાં મંદિરમાં સ્થાન મેળવી શકી. ઉપરાંત મુક્તા બાઈ,  વારકરી સંપ્રદાયની મહાન સંત જનાબાઈ, કર્ણાટકની અકકમહાદેવી, તો કાશ્મીરની વાલ્મીકિ સમુદાયમાં જન્મેલી લલ્લેશ્વરી, મહારાષ્ટ્રની સંત બહિણા બાઈ, ઉત્તરપ્રદેશમાં રામાનંદજીની શિષ્યાઓ પદ્માવતી અને સુરસરી બાઈ, બાબરી પંથની બાબરી સાહિબા રાજસ્થાનની સહજો બાઈ અને દયા બાઈ, ગુજરાતની લિરલ બાઈ, સતી તોરલ, પાનબાઈ વગેરે મહિલાઓ મહાન સંત તરીકે ખ્યાતિ પામી. 
આ સમાનતાનાં આંદોલનમાં ગુજરાતમાં ચૌદમી પંદરમી સદીમાં નરસિંહ મહેતા જેવા સંતે પણ અછૂત ગણાતા સમાજમાં ભજન માટે જતાં અને અછૂત ગણાતા સમાજના લોકોનાં હાથનો પ્રસાદ પણ ગ્રહણ કરતાં. તેથી રૂઢિવાદી લોકોએ તેમનો સખત વિરોધ દર્શાવ્યો પણ તેમની તરફ નરસિંહ મહેતાએ ધ્યાન ન આપ્યું અને સમાનતાની ધૂણી ધખાવી અને ભક્તિના માર્ગે સૌ સમાન તેવી અલખ જગાવી. તો કચ્છમાં પણ મેકરણ દાદા જેવાં મહાન સંતોએ હિન્દૂ ધર્મ ચાલતા આડંબર, અંધશ્રદ્ધા સામાજિક છુઆછૂત સામે બંડ પોકારતાં કહ્યું છે કે

કુળદેવી કરતાં કુતરી ભલી, જટ દઈને જગાડે,
બેઠી દેવ બોલે નહીં,પેલી ભસીને ભગાડે.

દાદા મેકરણે ન માત્ર સામાજિક છુઆછૂત અને અંધશ્રદ્ધા દૂર કરવાં પ્રયાસો કર્યા પરંતુ જીવ દયાનો એક અદ્ભૂત સંદેશ પણ આપ્યો. તેઓ કૂતરો અને ગધેડો પાળતા. કહેવાય છે કે સંત મેકરણ દાદાનો કૂતરો કચ્છનાં રણમાં ભુલા પડેલાં માનવીઓને રસ્તો બતાવતો.
આ સંત પરંપરાનાં ફળ સ્વરૂપે ગુજરાતમાં સંત પરંપરાનો ઉદય થયો જેમાં મહાપંથ, નાથપંથ, કબીરપંથ, રવિભાણ સંપ્રદાય, નિરાંત સમુદાય, સૂફી સંપ્રદાય, દાદુ સંપ્રદાય, પ્રણામી સંપ્રદાય, પીરણા સંપ્રદાય, પાશુપત સંપ્રદાય ઇત્યાદિ દલિત સંત સમુદાયો અઢારમી અને ઓગણીસમી સદીમાં અસ્તિત્વમાં આવ્યાં. આ સમુદાયોના સંતો પ્રભુ ભક્તિ સાથે સાથે સામાજિક કુરિવાજો નષ્ટ કરવા, ઢોંગ પાખંડ, અંધશ્રદ્ધા અને જાતિગત ભેદભાવ રહિત સમાજ નિર્માણ માટે  સંકલ્પ બધ્ધ હતાં.
દલિત સમુદાયના સંતોએ પોતાની વાણી, ભજન સાહિત્ય અને પોતાના અનુભવો થકી હંમેશા દંભ, પાખંડ, અંધશ્રદ્ધા અને સમાજના અનિષ્ટો કુરિવાજો પર પ્રહારો કર્યા છે અને તેને ખુલ્લા પાડી એને જાકારો આપ્યો છે. અને નિર્ગુણ ભક્તિ પરંપરાનો ધોધ વહેતો કર્યો છે. જેમાં તેમણે સામાન્ય જન સમુદાયને જ્ઞાન, સાધના, સંયમ શીખવ્યો છે અને સાચા ધર્મની સ્થાપના કરી છે. દરેક સમાજમાં જન્મેલ સંતે માનવીય મૂલ્યોની હિફાજત કરી છે. સંતોએ સમયે સમયે દેશ અને સમાજને એક નવો રાહ ચીંધ્યો છે. 
પરતું વર્તમાન પેઢીમાં જેમ જેમ સભ્યતા અને નવી સંસ્કૃતિનો ઉદય થતો ગયો. તેમ તેમ સંત અને સાહિત્યનું મૂલ્ય વિસરાતું ગયું. આપણી આવનાર પેઢીને આ મહાન સંત પરંપરાથી અવગત રાખવા આપણે પ્રયત્નો કરવા જ રહ્યાં.

પ્રસ્તુતકર્તા - રાહુલ વણોદ
           મો. 8000739976

માહિતી સ્ત્રોત - ડો. શિવરામ શ્રીમાળી લિખિત પુસ્તક "ઉત્તર ગુજરાતના દલિત સંત ભક્ત કવિઓ" માંથી

Monday, August 17, 2020

#સંગઠન, #નેતા અને #નેતૃત્વ..

લેખન - રાહુલ વણોદ

મો.8000739976


             (એક સંગઠનનાં સભ્યો અને એ સંગઠનનું નેતૃત્વ કરતાં વ્યક્તિઓ માટે મેં બે દિવસ પહેલાં એક આર્ટિકલ લખ્યો હતો એના કેટલાંક અંશો અહીં મુકું છું.)


             નેતૃત્વ કંઈ રીતે કરાય નેતૃત્વ એટલે શું ? આવા સવાલોનાં જવાબ હજુ હું તો શોધી રહ્યોં છું.

 સૌ પ્રથમ તો હું જવાબ મેળવવા પ્રયાસ કરી રહ્યોં છું કે

નેતૃત્વ એટલે શું ?

નેતૃત્વની કોઈ વ્યાખ્યા હોઈ શકે  ખરી ??

મારા ધ્યાને અને વાંચવામાં આવ્યું છે અને મેં જેટલું સાંભળ્યું છે એ કહું તો નેતૃત્વ એટલે દોરવણીનું કાર્ય કરવું. સંગઠનના અન્ય સભ્યોને સંગઠનના ધ્યેયો, એના બંધારણ અને સંગઠનની વિચારધારા પ્રમાણે સંગઠનના સભ્યોને દોરવા એટલે નેતૃત્વ..

મારા ખ્યાલથી સંગઠનના નેતા કે એડમીન પાસે વધારાની સત્તા હોવાથી નેતૃત્વથી અન્યની કારીગીરીને યોગ્ય દોરવણી આપી અસરકારકતા લાવી શકે. નેતૃત્વ કરવું એટલે સમગ્ર સંગઠનનું સંચાલન કરવું. નેતૃત્વ કરનાર વ્યક્તિને આપણે સૂત્રધાર, સંચાલક, માર્ગદર્શક કે સહાયક પણ કહી શકાય.

મારા ખ્યાલથી સંગઠનના નેતા અથવા ગ્રુપ એડમીન એ સંગઠનનો જ એક ભાગ છે.છતાં નિર્ણય, માર્ગદર્શન અને અમલીકરણ બાબતે તે સમુહથી અલગ પડે છે. આટલી સમજ મને નેતા કે ગ્રુપ એડમીન વિશે છે. કદાચ અધૂરી કે અધકચરી અથવા અપૂર્ણ હોઈ શકે.

અને હવે વાત આવે નેતૃત્વની..

નેતૃત્વ કરવા માટે કેવો વ્યક્તિ પસંદ કરવો જોઈએ..

નેતૃત્વ એટલે શું આ પ્રશ્ન પણ મને સહજ થયો. જોકે નેતા અને નેતૃત્વના ગુણ વિશે ઘણું વાંચ્યું તેથી નેતૃત્વ વિશે થોડુંક લખીશ.

મારા ખ્યાલથી કોઈ પણ સંગઠનનાં સમૂહને દોરવણી આપનાર પોતાની આગવી લાક્ષણિકતાથી અલગ તરી આવે છે.અને નેતૃત્વનું પ્રવાહન કરે છે.આજ સમયમાં સંગઠનના નેતૃત્વ કરવામાં માટે લક્ષણો  આપણે તારી શકીએ છીએ..

સામાન્ય તઃ સંગઠન કે સમૂહના નેતા કે ગ્રુપ એડમીનમાં 

બુદ્ધિજન્ય લક્ષણો,

સર્વોપરિતા,

આત્મવિશ્વાસ,

ઉત્સાહ,

પ્રવૃતિમયતા અને 

સાહસિકતા જેવા ગુણો હોવા જરૂરી છે.

આગળ કહું તો બુદ્ધિ, સમજ, ખંત, મહત્વકાંક્ષા અને આશાવાદ જેવા લક્ષણો પણ હોવા જરૂરી છે.ઉપરાંત માનવીય શક્તિ પારખવાની આવડત, શુદ્ધ માનવ વ્યવહાર, સારા વ્યવહાર માટેના કૌશલ્યો પણ એટલા જ જરૂરી છે.આ નેતા કે ગ્રુપ એડમીનનાં બધાં જ ગુણો કે લક્ષણો ગ્રુપના કે સંગઠનના સભ્યોને, સાથીઓને પ્રેરવા, દોરવા અને કાર્યરત રાખવાની શક્તિ આપે છે. પરિસ્થિતિને સમજવાની સૂઝ, આવતી કાલની ભીતરમાં ડોકિયું કરી ભવિષ્યને કળી લેવાની આવડત, સમજ અને શક્તિ આપે છે. પરંતુ એ બધામાં સૌથી મહત્વનો ગુણ સંગઠનના નેતા કે ગ્રુપમાં હોવો જોઈએ તે એ છે કે નેતૃત્વ કરવા માટે પોતાનાં વ્યક્તિત્વની આહુતિ આપવી પડે છે. "હું" પણું સાથે રાખનાર વ્યક્તિ ક્યારેય કોઈ સંગઠન કે ગ્રુપનું સંચાલન કે નેતૃત્વ ન કરી શકે. બીજુ એ કે સંગઠન કે સમૂહના નેતા કે ગ્રુપ એડમીને અશક્ય લાગતાં નિર્ણયો લેવા પડે. એથી આગળ કહું તો ત્વરિત નિર્ણય શક્તિ ગ્રુપ એડમીનમાં હોવી ફરજીયાત છે. એનાં વગર નેતૃત્વ કરવું અશક્ય છે.

ડો. સોમૈયા કહે છે કે 

"સંગઠનમાં બે ચાર પ્રભાવ શાળી નેતા ના ચાલે. સંગઠનના સભ્યો જ નહીં પણ સંગઠનના નેતા કે ગ્રુપ એડમીને પણ સંગઠનનાં નીતિ નિયમો અનુસાર ચાલે ત્યારે જ સનગઠનના સંકલ્પો બધાં વાસ્તવમાં સાકાર પામે છે.

આપણે સંગઠનાત્મક સમજણને સફળતાનો શ્રેય વહેંચીને અન્ય નેતાની કદર કરીને અન્ય નેતાઓના કાર્યને સન્માન આપીને અને શાણપણ પૂર્વક કામ કરીએ તો અવશ્ય એ સંગઠન અને એ નેતા સમાજમાં પોતાનું પ્રદાન નોંધાવી શકે છે."

લાઓત્ત્સે પોતાના એક પુસ્તકમાં નેતાના પાંચ પ્રકાર જણાવે છે.

1.લોકોના ધ્યાનમાં ન આવે 

2.જેને લોકો પૂજે

3.જેનાથી લોકો ડરે 

4.જેને લોકો ધિક્કારે 

અને 

5. એવો નેતા કે ગ્રુપ એડમીન જે સંગઠન સિદ્ધિ મેળવે તો બધા સભ્યોને શ્રેય આપે. કેમ કે શ્રેષ્ઠ નેતા જ સંગઠનને તારે છે,

દોરે છે,

અને સિદ્ધિ અપાવે છે.

સંગઠનમાં નેતા વગર ચાલે જ નહીં

લાઓત્ત્સે કહે છે. આગળ કહે છે. કે,

"સંગઠન વ્યાપક હોય,

સંગઠનનું  ધ્યેય મહાન હોય,

સંગઠનનું નેતૃત્વ કરનાર વ્યક્તિમાં શ્રેષ્ઠ ગુણોના સમનયવ વાળું હોવું જોઈએ

શ્રેષ્ઠ નેતૃત્વ એટલે નેતાઓમાં સંગઠનના બંધારણના દિશા નિર્દેશન અનુસાર એકમેકના મગજને જોડીને બધાં માર્ગદર્શનને, સુચનોને ધ્યાનમાં રાખીને ત્યાગ, સમર્પણ અને નિષ્ઠા પૂર્વક નિરંતર કાર્ય કરતાં રહે અર્થાત ટિમ વર્ક સાથે સંગઠનના બંધારણને સમર્પિત રહી સતત સાથે રહીને કાર્ય કરવું એટલે શ્રેષ્ઠ નેતૃત્વ."

શ્રેષ્ઠ નેતૃત્વ અને શ્રેષ્ઠ નેતા થકી જ મહાન ધ્યેય હાંસલ કરી શકાય છે. માટે વ્યાપક રીતે વિસ્તારાયેલાં વિશાળ સંગઠનોના નેતાઓમાં લોકશાહી માનસ હોવું જોઈએ. માત્ર એક જ નેતા નિર્ણય લે અને અન્ય નેતાઓ પાસે સરમુખત્યારની જેમ કામ લે અને અન્ય નેતાઓના નિર્ણયની સહમતી આપવા દબાણ કરે તેવું નેતૃત્વ ન ચાલે. સંગઠન કોઈ બે ચાર સરમુખત્યાર શાહી વલણ ધરાવતાં નેતાના ઈશારે ન ચાલવું જોઈએ. કારણ કે તેમાં બંધારણ અને સંઘ ભાવનો ક્યાંકને ક્યાંક છેદ ઉડે છે. અને સંગઠન દીર્ઘ કાલીન ન ચાલી શકે. તે વિશાળ મહાન ઉદ્દેશ્યોને સિદ્ધિમાં રૂપાંતરીત ન કરી શકે. સંગઠન વિશાળ હોય ધ્યેય મહાન હોય  તો લોકશાહી નેતૃત્વ જ સફળતાનાં લક્ષ્યોને સાકાર કરાવી શકે. જો કોઈ નેતા મેલી મુરાદ વ્યક્ત કરે. સંગઠનને અવળી દિશામાં લઈ જવા દબાણ કરે, પ્રવાહિત કરે ત્યારે અન્ય નેતાઓએ એને સબક શીખવાડવો જોઈએ. ઘણાં સંગઠનોમાં તો એવું બને છે કે નેતાઓ સંગઠનાત્મક સત્યનો પક્ષ લે તો તેમને ષડયંત્ર થકી કુટિલ નેતાઓ દ્વારા સંગઠનમાંથી દૂર કરી દેવામાં આવે છે.જોકે આ બધું બહુમતી જોરે કરવામાં આવે છે.

શ્રેષ્ઠ નેતા તો એ છે કે પોતાની વાત સંઘની વાત ન માનનાર અન્ય નેતાઓ સભ્યોને તર્ક દ્વારા સત્ય હકીકતની પ્રતીતિ કરાવી ભૂલનો અહેસાસ કરાવી સાથે એનું મન હૃદય જીતી એમને બેવડા વેગથી કાર્ય કરતાં કરી દે અને તેથી જ મહાન ચિંતક મુકોલ્ડ કહે છે.

"મધ્યમ કક્ષાના નેતાઓ વાતો કરે છે.

સારા નેતાઓ સમજાવે છે. જ્યારે મહાન નેતાઓ પ્રેરણા આપી સંગઠનની પ્રક્રિયાને વેગવંતી બનાવે છે." પણ જ્યારે વર્ચસ્વ નેતા પોતાની વાત ન માનનાર નેતાને એનકેન પ્રકારે સંગઠનમાંથી દૂર કરે છે. ત્યારે સંગઠનાત્મક શક્તિ નાશ માપે છે. જ્યારે સંગઠનના તમામ નેતાઓની મનમાનીનું કેન્દ્રીય કરણ થઈ જાય છે ત્યારે  સંગઠન સિદ્ધિને વરે છે

પરંતુ જ્યારે જ્યારે પ્રત્યેક નેતાની મનની શક્તીઓનું વિકેન્દ્રિત કરણ થાય છે. ત્યારે સંગઠનની શક્તિ નબળી પડે છે.માટે સંગઠનના નેતાઓ વચ્ચે પરસ્પર ઊંડી સમજણ, શ્રદ્ધા સમન્વય પૂર્વકનું સહમત થવાનું શાણપણ હોવું જોઈએ. જો સહઠનના નેતા માત્ર ઉચ્ચ શિક્ષિત હોય અને તેમાં શાણપણનો અભાવ હોય તો સંગઠનને અસાધારણ સફળતા અપાવી શકતાં નહીં. માટે નેતામાં સંસ્કાર, સમજ અને શાણપણ અને સમર્પણ જેવાં સદગુણો હોવા ખૂબ જરૂર નહીં પરંતુ અનિવાર્ય છે. સંગઠન સંઘર્ષ કાળે કે કપરા કાળે સુરક્ષિત રહે તે માટે જ્યોર્જ બુશે કેટલાક સિદ્ધાંતો તારવ્યા છે.

જ્યોર્જ બુશનાં મતે "કોઈ પણ બાબતે ઉગ્ર સંઘર્ષ થાય તો તેને અંત ગણવો નહીં,

સતત ગૃહકાર્ય કરો નહીં તો તમારી વાત અન્યને સમજાવી શકશો નહીં. સંગઠનાત્મક પ્રક્રિયા કૈક આપીને મેળવવાની છે.માટે સમજાવીને કામ લો,નહીં કે ધમકાવીને. તમારા સંગઠનમાં દરેક કાર્યકરો અને સભ્યો મહત્વના છે. છેલ્લામાં છેલ્લી વ્યક્તિની જરૂરીયાત સમજો."જો આપણે સંગઠનાત્મક શક્તિ કેળવીને સફળતાનો શ્રેય વહેંચીને સંગઠન દરેક સભ્યોની કદર કરીને,અન્ય સભ્યોના કાર્યોને સન્માન આપતા રહીને શાણપણ પૂર્વક કામ કરીએ તો અવશ્ય અસાધારણ નેતા બની શકીએ. સ્ટીફન કોવિના શબ્દોમાં કહું તો "પરસ્પરની સમજણ અને સન્માન હોય. તો મતભેદો પણ નબળાઈને બદલે શક્તિમાં રૂપાંતર પામે છે."

સંગઠનને શિક્ષિત નેતાઓ નહીં પણ શાણપણ નેતાઓ સિદ્ધિઓ અપાવે છે.શાણપણ એ નેતૃત્વની આધારશીલા છે.

ડો. બાબા સાહેબનું એક કથન મને યાદ આવે છે. કે "મુજે ન બીકને વાલે કાર્યકર ચાહિયે.." જ્ઞાન ઔર સાધન કી કમી મેં પૂર્ણ કર દુગા.."

સંગઠનમાં એવાં કાર્યકરો અથવા સમૂહ કે ગ્રુપમાં એવાં સભ્યો અને ખાસ નેતાઓ કે ગ્રુપ એડમીન હોવા જોઈએ જે પોતાનાં કાર્ય પ્રેત્યે સમર્પિત અને નિષ્ટાવાન હોય.

Tuesday, August 4, 2020

⚫ જીવનમાં પુસ્તકો અને વાંચનનું મહત્વ.. 📚📖


લેખન - રાહુલ વણોદ
  મો.8000739976

                                         કાલે મારા એક સન્માનનીય મિત્રએ કહ્યું કે રાહુલ ભાઈ એક આર્ટીકલ લખો ને મે કહ્યુ ક્યાં વિષયને લઈને ? એમણે મને કહ્યું કે જીવનમાં પુસ્તકનાં મહત્વ વિશે.. એમની ઉમદા ભાવના અને આર્ટીકલ વિશેની મહત્તાને જોઇને મને લાગ્યું કે ખરેખર એ વિષય પર આર્ટિકલ લખવો જોઈએ. હાલ જ્યારે ઇન્ટરનેટ અને કોમ્પ્યુટરનો જમાનો છે ત્યાં પુસ્તકોનું મહત્વ ભુલાતું જાય છે. પુસ્તકો અને વાંચન માત્ર અભ્યાસ કાળ પૂરતા જ જાણે સીમિત થઇ ગયાં છે. ત્યારે આપણે પુસ્તકોને એક બાજુએ મૂકી દીધાં છે. હું તો માનું છું કે પુસ્તક વગરનું ઘર એ જંગલ  જેવું છે. આજના જમાનામાં માણસ માનસિક તણાવનો ભોગ બન્યો છે એવામાં પુસ્તકને જો પોતાનાં મિત્ર બનાવતા આવડે તો ઘણું ઘરું ટેન્શન અને તણાવ ઓછો થઈ શકે છે. પુસ્તક અને વાંચનનું મહત્વ દરેક વ્યક્તિના જીવનમાં હોવું જ જોઈએ. વાંચન વગર બોધિક વિકાસ શક્ય જ નથી.

                      સારા પુસ્તકો જીવનમાં અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે. સારું પુસ્તક જો વાંચવામાં આવે તો એ તમારા વિચારો બદલશે, વિચારો બદલશે એટલે તમારો સ્વભાવ બદલશે અને તમારો સ્વભાવ બદલશે એટલે તમારું આખું વ્યક્તિત્વ બદલશે જેથી તમારા વ્યક્તિત્વ લથી પ્રેરાઈને અન્ય વ્યક્તિઓ બદ લલાશે એમ કુટુંબ અને કુટુંબથી દેશના વૈચારિક પરિવર્તન આવી શકે છે. ઘણાં બા બાપ પોતાની દીકરીને પરણાવવા માટે છોકરામાં અનેક બાબતો જોશે, ઘર બાર બેંક બેલેન્સ જમીન જાયદાત વગેરે પરંતુ એ નહિ જુએ કે એ છોકરામાં બોદ્ધિક લેવલ કેટલું છે ?
એનાં ઘરમાં પુસ્તકો કેટલાં છે? દરેક માં બાપે પોતાની દીકરી એવાં ઘરમાં પરણાવવી જોઈએ જે ઘરમાં સારા પુસ્તકો જોવા મળતાં હોય જે ઘરમાં સારા પુસ્તકો વસાવવામાં અને વાંચવામાં આવતા હોય. કેમ કે સારા પુસ્તકો વાંચનાર વ્યક્તિમાં અન્યને સમજવાની શક્તિ અને સમજાવવાની શક્તિ રહેલી હોય છે ઉપરાંત પુસ્તકો અને વાંચનમાં રસ ધરાવનાર વ્યક્તિ પોતાની વિવેક બુદ્ધિના આધારે કોઈ પણ નિર્ણય લેશે.

                            પરંતુ આજકાલ આ ઇન્ટરનેટના આક્રમણ વચ્ચે ક્યાંક પુસ્તકો પરાસ્ત થતાં દેખાય છે. લોકોમાં વાંચન ભૂખ ઓછી થતી જાય છે અને લોકો સારા પુસ્તકોથી વિમુખ થતાં જાય છે જે ચિંતાજનક છે. પરંતુ જીવનમાં જેટલું વધું વાંચશો તેટલું વધું જાણશો અને જેટલું વધુ જાણશો તેટલું વધું ફરશો અને આ જાદુ માત્ર પુસ્તકો જ તમને કરાવી શકે છે. ઘણી વાર આપણે કોઈ જગ્યાએ ફરવા ગયાં હોય અને ત્યારે એનાં વિશેનો ઇતિહાસ જો તમે પહેલાથી જ વાંચેલો હશે તો એ સ્થળે ફરવાની અને એ સ્થળ જોવાની કૈક અલગ જ મજા પડી જશે. પુસ્તકો માત્ર કાગળિયા કે પૂંઠા નથી પરતું કોઈ પુસ્તક તમે હાથમાં લેશો તો ખબર પડશે કે પુસ્તકોમાં કોઈ મહાપુરુષના વિચાર જીવે છે, એમાં હજારો વર્ષોનો ઇતિહાસ ધબકતો છે.
એમાં કોઈનો અનુભવ બોલતો હશે,
એમાં વિજ્ઞાન પડ્યું છે.
એમાં ઈશ્વરીય તત્વ પડ્યું છે. જે તમને એક અલગ જ વ્યક્તિ બનાવી શકે છે. સારા પુસ્તકનો કોઈ એક વિચાર તમારા જીવનને એક નવી દિશા આપી શકે છે.
આજે વિજ્ઞાનની જે પણ શોધ ખોળ થઈ છે એને પેઢી દર પેઢી આગળ ધપાવવાનું કામ પુસ્તકોએ જ કર્યું છે.
જો પુસ્તકો જ ન હોત તો આજે આપણે જે હજારો વર્ષનો ઇતિહાસ જાણીએ છીએ એ ઇતિહાસ ક્યારનોય સમયના પ્રવાહમાં તણાઈને સુસ્ક થઈ ગયો હોત.
કોઈ પણ વ્યક્તિ જ્યારે નવલકથા લખે એમાં એ પાત્રો કશુંક શિખામણ આપતાં હોય છે, વાર્તા લખે એમાં જીવનનો કશોક સાર હોય છે,
કવિતા લખે કે ગઝલ લખે તો એમાં સર્જકની વેદના અને લાગણી છલકાતી જોવા મળતી હશે,
નિબંધ લખે તો એમાં પ્રકૃતિ કે ધરતીનું ગાન હશે.
એમ કોઈ પણ સાહિત્ય સ્વરૂપ હોય એ સાહિત્ય સ્વરૂપમાં કોઈને કોઈ વિચાર પડેલો છે, સચવાયેલો છે.
સારા પુસ્તકો વ્યક્તિને સમજ આપે છે. જીવનનો સાર, નિચોડ આપે છે. વ્યક્તિનાં જીવનમાં ઉત્કૃષ્ઠ વિચારોનુ રોપણ સારા પુસ્તકો જ કરી શકે. સારા પુસ્તકો વાંચવાથી પહેલાં જે સંકુચિત માનસિકતા હોય એમાં બદલાવ આવે છે. સમાજે, કુટુંબે થોપેલા પૂર્વગ્રહો દૂર થાય છે અને પુસ્તકો પૂર્વગ્રહ યુક્ત બુદ્ધિ અને શક્તિનો સંચાર કરે છે. અને આપણી વૈચારિક અને કલ્પના શક્તિને એક નવો આયામ આપે છે.
આજે તો જે જોઈએ એ વિષય પર અઢળક પુસ્તકો ઉપલબ્ધ છે તો શા માટે આપણે એનો લાભ ન લઈએ ?
મનગમતા વિષય નક્કી કરો અને એ વિષયને લગતા પુસ્તકો વસાવવાનું અને વાંચવાનું આજે જ સરું કરી દો. જે વિષયની આપણે ને ઓછી જાણકારી હોય અથવા હોય જ અહી એવા પુસ્તકો ભરપૂર વાંચો જેથી જ્ઞાનનો ભંડાર અને સંચાર બુદ્ધિમાં થવાનો શરૂ થઈ જશે એનાંથી એ વિષય વિશે જાહેરમાં તમે બોલી શકશો એનાં થકી તમારા આત્મ વિશ્વાસમાં પણ વધારો થતો જોવા મળશે. જ્ઞાન એ દુઃખદ પરિસ્થિતિમાં પણ તમને અડગ રહેતાં શીખવશે અને એ બધું માત્ર સારા અને ઉત્તમ પુસ્તકોના વાંચનથી જ શક્ય બનશે.

                     વાંચન વગરના માણસનું મગજ અને વિચાર શક્તિ અમુક હદમાં સીમિત થઈ જાય છે જ્યારે વાંચન પ્રિય વ્યક્તિ વ્યાપક અર્થમાં વિચારી શકશે એટલું જ નહિ વાંચનથી કલ્પનાશક્તિમાં પણ અસાધારણ વધારો થાય છે. કવિઓ અને લેખકોનાં સાહિત્યમાં વિશેષ રીતે કલ્પના શક્તિ જોઈ શકો છો એ વાંચનનો કમાલ છે. વાંચન એ તમારી કલ્પના શક્તિને પાંખો આપે છે. પુસ્તકમાં કોઈ નવા સ્થળ વિશે તમે ઘરે બેઠા જ વાંચીને માહિતી મેળવી શકો છો. જાણી શકો છો.
ઘણા ખરા વાર્તાકારો કલ્પના શક્તિ નો ભરપુર ઉપયોગ કરી વાર્તા કે નવલકથા લખે છે એ વાંચવામાં સમય ક્યાં નીકળી જાય છે એ ખબર જ નથી પડતી. એટલા તરબોળ થઈ જવાય છે. કોઈ ઐતિહાસિક નવલકથા કે વાર્તા વાંચતી વખતે એમ જ થાય કે વાર્તાનાં પાત્રો આપણી સામે જ જીવંત ઊભા છે. પુસ્તકમાં એટલી તાકાત છે કે તમને એક દુનિયામાંથી બીજી દુનિયામાં લઈ જઈ શકે છે. અને ગમે ત્યારે એ દુનિયામાંથી પાછા પણ લાવી શકે છે. આ પ્રકારનું જાદુ માત્ર પુસ્તકો જ કરી શકે. માણસનાં સ્વસ્થ શરીર માટે જેમ કસરત જરૂરી છે એમ બુદ્ધિ કે મગજનાં વિકાસ માટે સારા પુસ્તકોનું વાંચન જરૂર છે. કેમ બંધ રૂમમાં ખુલ્લી બારી માંથી આવતી હવા રૂમને ફ્રેશ રાખે છે એમ પુસ્તક રૂપી બારી એ જ્ઞાન રૂપી હવાથી બુદ્ધિ રૂપી રૂમને ફ્રેશ રાખે છે.

                          મહાન ખગોળશસ્ત્રી કાર્લ સાગન તેથી જ તો કહે છે કે "પુસ્તકો વગરનો રૂમ બારીઓ વગરનાં રૂમ જેવો છે."
આપણો કોઈ મિત્ર આપણને જ્ઞાન આપે તો બદલામાં કશુંક લેય જ અથવા ક્યારક એ આપણી પાસેથી કશુંક અપેક્ષા રાખે જ. જ્યારે પુસ્તકો તમને કોઈ અપેક્ષા વગર જ્ઞાન આપે છે. ક્યારેય રિસાય પણ નહિ !
પુસ્તકો સમયના બંધન તોડી નાખી છે અને તમને એ વ્યક્તિથી પરિચિત કરાવે છે. એ વ્યક્તિનાં જ્ઞાનથી પરિચિત કરાવે છે જે વર્ષો પહેલાં, યુગો પહેલાં તમારી વચ્ચેથી સહદેહે વિદાય પામ્યો છે. પરંતુ એનાં વિચારો એ પુસ્તકમાં સદાય માટે જીવંત રહે છે જેને તમે ગમે ત્યારે વાંચી શકો છો. કોઈ પણ મહાન વ્યક્તિ જે સહ દેહે આપણી વચ્ચે ના હોય તો એના સાહિત્ય થકી એ મહાપુરુષને બહુ નજીકથી જાણી અને સમજી શકાય છે. આ કેટલી અદભૂત અને આશ્ચર્યજનક વાત.. !!!!
લેખન અને વાંચન કદાચ વિશ્વની મહાન શોધ છે.

                      પુસ્તકો એકાગ્રહતા અને આત્મિશ્વાસ વધારવાનું હાથવગું સાધન છે. અને સમજણ શક્તિ અને વિચારશક્તિ ખીલવે છે. કલ્પના શક્તિ ખીલવે છે. નવો દૃષ્ટિકોણ આપે છે. નવા ધ્યેયો અને વિચારો આપે છે. વળી પુસ્તકો આપણા વ્યક્તિત્વને અપડેટ કરી આપે છે.
ક્યારેક કોઈ લેખકનો લેખ વાંચી અથવા કોઈ કવિની કવિતા કે ગઝલ વાંચીને અથવા કોઈ સર્જકની વાર્તા કે નવલકથા વાંચીને આપણે પણ કવિતા, ગઝલ કે વાર્તા લખવાનો વિચાર આવે જ છે અને ક્યારેય આપણે લખીએ પણ છીએ આપણું લખાણ ભલે સાહિત્યની દ્રષ્ટિએ ખરું નાં ઉતરે પરતું આપણને કશુંક નવું કરવા જે પ્રેરણા મળી એ પુસ્તક વાંચનથી જ મળી એ સહજ સ્વીકારવું પડે ! ઘણાં મિત્રોની એવી ફરિયાદ હોય છે કે વાંચવું તો છે પણ વાંચનનો કંટાળો આવે છે તો એનાં માટે એક ચોક્કસ વ્યવસ્થા ગોઠવી આગળ વધી શકાય છે જેના કારણે વાંચન પ્રત્યે રસ જાગે એવી પ્રવુતિ કરી શકાય.
જેમ કે શરૂઆત આ રીતે પણ કરી શકાય કે,
- સૌ પ્રથમ તો કોઈ મનગમતો વિષય પસંદ કરો.
- ત્યાર બાદ એ વિષયને લગતા પુસ્તકો વસાવો અથવા કોઇ મિત્ર પાસે એ વિષયના પુસ્તકો હોય તો લઈ આવો.
- શરૂઆત નાના અને ઓછા પેજ   વાળા પુસ્તકોથી કરો. જેથી   વાંચવામાં કંટાળા જેવું ના લાગે અને ઓછા સમયમાં વાંચી શકાય
- પછી નક્કી કરો કે રોજ દસ મિનિટ સુધી અથવા રોજ 10 પેજ જરુર વાંચીશ
- નક્કી કરેલાં ધ્યેયને પૂર્ણ કરવા શક્ય એટલો પ્રયાસ કરો.

વાંચનથી ઘણાં ફાયદા થાય છે જે ઉપર મે જણાવ્યા છે તે છતાં ફરી રીપિટ કરું છું. જેથી તમારા ધ્યાને આવે.
- ખુદનાં માટે સમય મળશે
- વાંચવાથી લેખન શક્તિ અને પ્રતિભા વધશે.
- શબ્દ ભંડોળ વધશે અને ભાષા ઉપર પ્રભુત્વ અને પકડ વધશે.
- માનસિક તણાવ દૂર થશે
- રાત્રે સૂતા પહેલાં વાંચન કરશો તો ઊંઘ સારી આવશે.
અને
- સ્પર્ધાતમકતા પરીક્ષાઓ અને અભ્યાસમાં તો ઉપયોગી થશે જ.

                         આમ અન્ય પણ ઘણાં ફાયદા છે પુસ્તકો વાંચવાના પરતું અમુક અશ્લીલ અને અંધશ્રદ્ધા ફેલાવતા પુસ્તકો નુકશાનકારક પણ છે જ. આપણે સારા અને નસરા પુસ્તકો વચ્ચેનો ભેદ ખબર હોવી જોઈએ. જે પુસ્તકો અંધશ્રદ્ધા અને કટ્ટરતા શીખવતા હોય એવા પુસ્તકોથી દૂર રહેવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી એવા પુસ્તકોનો બહિષ્કાર કરવો જોઈએ. ડો. આંબેડકરનો પુસ્તક પ્રેમ જગ પ્રખ્યાત છે. લાખો પુસ્તકો એમણે વાંચેલા અને કેટલાય પુસ્તકો લખેલાં તે છતાં તેમણે અંધશ્રદ્ધા અને અસમાનતા ફેલાવતાં મનુસ્મૃતિ જેવાં પુસ્તકને જાહેરમાં સળગાવીને સ્પષ્ટ કરી દીધું હતું કે ખરાબ પુસ્તકો માનવતાનાં દુશ્મન હોય છે. જેને માનવ મનમાં કદી સ્થાન ન મળવું જોઈએ.
પરતું સારા પુસ્તકોનું વાંચન કરનાર જ્ઞાની પુરુષ સર્વત્ર જગ્યાએ સન્માન પામે છે.
ગુજરાતી સાહિત્યના બહુ મોટા ગજાના કવિ કલાપીએ પોતાનાં પુસ્તક પ્રેમ વિશેનો પ્રેમ વ્યક્ત કરતા કહ્યું હતું કે,
"જીવીશ, બની શકે તો એકલાં પુસ્તકોથી.."
રવીન્દ્રનાથ ટાગોર વાંચનનું મહત્વ સમજાવતા કહે છે કે આંખ સામે રહેલી વસ્તુઓનું જ્ઞાન મેળવવા માટે પણ પુસ્તકો વાંચવા જરૂરી બની જાય છે.
મોન્ટેગ્યું કહે છે જ્યારે તમે કંટાળી જાવ ત્યારે જો તમે પુસ્તક હાથમાં લેશો તો તમને જીવનમાં રસ, કુતુહલ અને નવજીવન પ્રાપ્ત થશે.

                પરતું આજે ભારતની જો વાત કરીએ તો કોલેજો અને યુનિવર્સિટીઓનાં પુસ્તકાલયોનાં કબાટમાં પુસ્તકો ધૂળ ખાતા નજરે પડે છે. નવી પેઢી વાંચન અને પુસ્તકથી વિમુખ થતી જોવા મળે છે. જે દુઃખદ છે. આધુનિક સમયમાં કમ્પ્યુટર અને મોબાઈલ આવી જતાં પુસ્તકો અસ્પૃશ્ય બની ગયાં છે. મોબાઈલમાં પબજી, ફેસબુક અને વો્સએપમાં આજનું યુવાધન મોટા ભાગનો સમય વેડફી રહ્યો છે. અને પુસ્તકો માત્ર પરિક્ષા સમયે જ યાદ આવે છે. તેથી શિક્ષણ વિભાગ, કોલેજ અને યુનિવર્સિટીઓ પુસ્તક પ્રદર્શન, પુસ્તક મેળો જેવા આયોજન કરી નાગરિકો અને યુવાનોને પુસ્તકોની નજીક લાવવાનો પ્રયત્ન કરતાં રહે છે. જોકે આધુનિક સમયમાં પણ પુસ્તક પ્રેમીઓ તો મળી જ રહે છે. ઘણાં મિત્રોનાં ઘરમાં ક્યારેય પુસ્તકાલય જેવો નજારો જોવા મળે છે ત્યારે લાગે છે. પુસ્તક પ્રેમીઓ આજે પણ જીવંત છે. પરતું તે છતાં આજે બજારોમાં ઘણી વાર જોઉં છું કે ચપ્પલ આલીશાન કાચના શો રૂમમાં ગોઠવાયેલા જોવા મળે છે જ્યારે પુસ્તકો નાની દુકાનો, લારીઓ અને ફૂટપાથો પર વેચતા જોવા મળે છે. આવા દ્રશ્યો જે દેશમાં જોવા મળે ત્યાંના નાગરિકોનું બોદ્ધીક પતન થાય છે. એવાં
દેશમાં ડોક્ટર વકીલ અને વૈજ્ઞાનિક ઓછા અને અંધશ્રધ્ધામાં ડૂબેલાં લોકો વધુ જોવા મળે છે.
આપણે આશા રાખીએ કે દેશમાં પુસ્તક અને વાંચનનું મહત્વ વધે એવા સરકારે પ્રયત્નો કરવા જોઈએ...

છેલ્લો થોટ...

પુસ્તકો રોડ પર અને જૂતા શોરૂમમાં વેચાશે ત્યારે સમજી જજો કે લોકોને જ્ઞાનની નહિ પણ જુતાની જરૂરત છે..

Sunday, July 26, 2020

26 જુલાઈ એટલે... ભારતીય સૈન્ય પર ગર્વ લેવાનો દિવસ

લેખન - રાઠોડ રાહુલ
મો.8000739976

                                   2જી મે 1999 નો દિવસ સવારના સમયમાં એક તાશી નામનો ભરવાડ કારગિલની પહાડીઓ પર પોતાની યાર્કને શોધવા ગયો અને અને તેણે જે જોયું એ જોઈ સ્તબ્ધ થઇ ગયો. તે તરત પહાડીઓ પરથી નીચે ઉતરે છે અને બીજા જ દિવસે એટલે કે 2 જી મેં ના દિવસે ત્યાં સેનાના એક જવાનને ખબર આપે છે કે, તેણે કારગિલની પહાડીઓ ઉપર પાકિસ્તાની સેનાના જવાનો જોયાં છે.અને ત્યારથી કારગિલ યુદ્ધનો ઈતિહાસનો આરંભ થાય છે. કારગિલ યુદ્ધ એ આખા દેશનાં ઇતિહાસનું ભયાવહ યુદ્ધ ગણી શકાય. કેમ કે આ યુદ્ધમાં દેશનાં કેટલાય વીર જવાનોઓ પોતાનાં પ્રાણોનું બલિદાન આપી ભારત દેશને પોતાની વીરતાનાં દર્શન કરાવ્યાં હતાં. એ યુદ્ધને આજે 20 વર્ષ જેટલો સમય થયો હોવાં છતાં યુદ્ધના પડઘા હજુ જાણે કારગિલની પહાડીઓ પર સંભળાતા હોય એવો આભાસ આપણે થયાં વિના રહેતો નથી.

           આજે 26 જુલાઈ, એટલે કે  કારગિલ વિજય દિવસ છે. આજથી લગભગ 20 વર્ષ પહેલા ભારતીય સેનાના જવાનોએ પોતાની શક્તિ અને વીરતાના બળે કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાનની સેનાને ધૂળ ચટાડી વિજય મેળવ્યો હતો. અને કારગિલની પહાડીઓ પર તિરંગો લહેરાવ્યો હતો.
1999ના કારગિલ યુદ્ધ સમયે આ જ દિવસ હતો, ત્યારે બોર્ડર પર હુમલાની શરૂઆત કરનાર પાકિસ્તાનને ભારત પાસે ઝૂકવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો. ભારતીય સેનાના જવાનોની વીરતા, સાહસ આગળ પાડોશી દેશની સેનાએ પોતાની હાર સ્વીકારી હતી. આજે કારગિલ વિજય દિવસ પર  કારગિલ યુદ્ધની કેટલીક એવી વાતો જાણીએ જે આપણા માટે ખૂબ મહત્વની અને ઘણી ખરી બાબતો ગૌરવ લેવા જેવી છે.

                               કારગિલનું યુદ્ધ તબક્કા વાર સતત બે મહિના સુધી ચાલ્યું. તેમાં દેશનાં કેટલાય વીરોએ પોતાનાં પ્રાણોનું બલિદાન આપ્યું પરંતુ અંતે તો દુનિયાને પણ ભારતની તાકાતનો અંદાજ આવી જ ગયો. પાકિસ્તાનના સૈનિકોની ઘુસપેઠની માહિતી મળ્યા બાદ 5 મે, 1999 માં રોજ કેપ્ટન સૌરભ કાલિયા સહિતના 6 જવાનો ત્યાં પહોચ્યા હતા કેપ્ટન સૌરભ કાલિયાની સાથે પેટ્રોલિંગ પર નીકળેલી આ ટુકડીમાં અર્જુન રામ, ભંવર લાલ બાગારીયા, ભીકા રામ, મૂળ રામ અને નરેશ સિંહ પણ સામેલ હતાં. કેપ્ટન સૌરભ કાલિયા જલદી પોતાના સાથીઓ સાથે જ્યાં પાકિસ્તાની ઘૂસણખોરો હતાં ત્યાં પહોંચી ગયાં. અહીં કેપ્ટન સૌરભ કાલિયા અને તેમના સાથીઓની સંખ્યા માત્ર 6 હતી જ્યારે ઘાત લગાવીને બેઠેલા દુશ્મનોની સંખ્યા સેંકડોમાં હતી. પાકિસ્તાની ઘૂસણખોરોએ કેપ્ટન સૌરભ કાલિયા અને તેના સાથીઓનું અપહરણ કર્યું. ત્યારબાદ તેમની અને તેમના સાથીઓની નિર્મમ હત્યા કરી નાખી. ત્યારબાદ આ તમામ જવાનોના મૃતદેહ ખૂબ ખરાબ હાલતમાં મળ્યા હતા.

                કેપ્ટન સૌરભ કાલિયા અને અન્ય 6 જવાનોનાં ખૂબ જ ખરાબ હાલતમાં મળેલ મૃત દેહની આ અમાનવીય અને શર્મનાક  ઘટના બાદ કારગિલનાં યુદ્ધનો શંખનાદ વાગી ગયો હતો. ભારત માટે આ યુદ્ધ પડકાર જનક હતું. ભારત માટે આ યુદ્ધ જીતવું ખૂબ જ કપરું હતું. કારણ કે સીમાની લગભગ તમામ ઉપરની પોસ્ટ પર દુશ્મનોનો કબ્જો હતો. આ પરિસ્થિતિ બાદ પણ ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. કારગિલ સેક્ટરમાં 1999 માં ભારતીય અને પાકિસ્તાનના સૈનિકો વચ્ચે લડાઈ શરુ થવાના કેટલાક સપ્તાહ પહેલા જ જનરલ પરવેજ મુશરફે એક હેલિકોપ્ટર દ્વારા LOC પાર કર્યું હતું અને ભારતીય સીમમાં 11 કિમી સુધી અંદર આવીને જિકરિયા મુસ્તકાર નામના સ્થાન પર રાત પણ વિતાવી હતી.

                         કહેવાય છે કે પાકિસ્તાનમાં 1998 માં પરમાણું હથિયારોનું પરીક્ષણ કર્યું હતું અને ત્યારથી જ પાકિસ્તાને કારગિલ યુદ્ધની તૈયારી  કરી લીધી હતી. આ યુદ્ધમાં પાકિસ્તાન સેનાએ પોતાના 5000 જવાનોને કારગિલ પર ચઢાઈ કરવા માટે મોકલ્યા હતા. આ યુદ્ધની મહત્વની વાત એ હતી કે, જયારે પાકિસ્તાનની વાયુસેનાના ચીફને આ ઓપરેશનની માહિતી ન હતી. જયારે આ અંગે પાકિસ્તાનની એરફોર્સના ચીફને જણાવવામાં આવ્યું ત્યારે આં મિશન પર તેઓએ આર્મીને સાથ આપવા માટે ઇનકાર કર્યો હતો.

                         ઉર્દુ ભાષાના એક જાણીતા દૈનિકમાં છપાયેલા એક નિવેદનમાં નવાજ શરીફે આ વાતનો સ્વીકાર કર્યો હતો કે, કારગિલનું યુદ્ધ પાકિસ્તાનની સેના માટે એક આપત્તિ સાબિત થયું હતું,  કારગિલના  ઉંચા પહાડો પર બેસીને પાકિસ્તાન દ્વારા ગોળીબારી કરાઈ રહી હતી ત્યારે ભારતીય વાયુસેનાએ  ફાઈટર પ્લેનનો ઉપયોગ કર્યો હતો. આ કારગિલના યુદ્ધમાં ભારતીય એરફોર્સ દ્વારા મિગ-27 અને મિગ-29 નો પ્રયોગ કરાયો હતો. આં દરમિયાન મિગ-29 ફાઈટર પ્લેન ખુબ મહત્વનું સાબિત થયું હતું, કારણ કે આ વિમાને  પાકિસ્તાનની ચોકીઓ પર R-77 મિસાઈલ દાગવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા અદા કરી હતી. કારગિલનું યુદ્ધમાં ભારતીય વાયુસેનાની ટુકડીઓએ પણ આર્મીની મદદ કરવાનું શરુ કર્યું હતું. આ યુદ્ધમાં વાયુસેનાએ  300 જેટલાં વિમાનો આર્મી માટે આપ્યા હતાં.

                  કારગિલની પહાડીઓનોની ઉંચાઈ સમુદ્રના તટથી અંદાજે 16000 થી 18000 ફૂટ ઉપર છે. આં સ્થિતિમાં ઉડાન ભરવા માટે વિમાનોને અંદાજે 20,000 ફૂટની ઉંચાઈથી ઉડાન ભરવી જરૂરી પડતી હતી જે વિમાન માટે પડકાર જનક સાબિત થતું હતું. કેમ કે ત્યારે આ સ્થિતિમાં ઉપર હવાનું દબાણ 30% થી ઓછું હોય છે ત્યારે આ વિમાનની ઉડાન દરમિયાન વિમાન ચાલકનો દમ ઘુટવાનો પણ જોખમ હોય છે અને વિમાન દુર્ઘટના ગ્રસ્ત થવાનાં ચાન્સીસ વધી જાય છે. તે છતાં આ કપરી પરિસ્થિતિ વચ્ચે પણ જવાનોએ વીરતા આને સાહસનું  ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું. અને પાકિસ્તાનને ઘુટણા ટેકવવા માટે મજબૂર કરી દીધું હતું. આ છે દેશના વીર જવાનોનું સાહસ આ છે એમની તાકાતનો પરચો. આ યુદ્ધમાં આર્ટિલરી દ્વારા 2,50,000 ગોળા અને રોકેટ જેવા હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 3000 થી વધુ તોપો, મોર્ટાર અને રોકેટ લોન્ચરો દ્વારા દરરોજ અંદાજે 5000 બોમ્બ પણ દાગવામાં આવ્યા હતા, તેમજ 17 દિવસોમાં પ્રતિદિન એવરેજ એક મિનિટમાં એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા.

             માનવામાં આવે છે કે આં યુદ્ધ, બીજા વિશ્વયુદ્ધ પછી આ પહેલીવાર કોઈ એક દેશ દ્વારા અન્ય દેશ પર આ પ્રકારે બોમ્બબારી કરવામાં આવી હતી. કારગિલ યુદ્ધમાં સત્તાવાર રીતેની આંકડાકીય માહિતી જોઈએ એ આ યુદ્ધમાં 527 જેટલા ભારતીય સૈન્યનાં જવાનો શહીદ થયાં હતાં. 1,363 સૈનિકો ઈજાગ્રસ્ત થયાં હતાં. જેમાં 1 ભારતીય જેટફાઇટર તોડી પડાયું હતું,1 જેટફાઇટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને અન્ય 1 હેલિકોપ્ટર તોડી પડાયું હતું. જ્યારે પાકિસ્તાનની સંભવિત બાજુની વાત કરીએ તો એમાં 453 જવાનો શહીદ થયાં હતાં.665 થી વધુ જવાનો ઇજાગ્રસ્ત થયાં હતાં.આ યુદ્ધનું કારણ પાકિસ્તાનનાં સૈનિકો અને અન્ય બળવાખોરો દ્વારા ભારતીય સીમા પર ઘૂસપેઠ હતું.

                   આ યુદ્ધમાં પરમવીર યોગેન્દ્ર યાદવે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમને શરીરના અલગ અલગ ભાગોમાં પંદર ગોળીઓ વાગી હતી છતાં તેઓ નિડર થઈને દુશ્મનો સામે લડ્યા હતાં.યોગેન્દ્ર યાદવની વિરતાની વાત કરીએ તો  5 જુલાઈ 1999 ના દિવસે 18 ગ્રેનેડિયર્સના 25 સૈનિકોએ ફરી એ તરફ આગેકૂચ કરી. પાકિસ્તાની સૈનિકોએ તેમના પર પણ ભારે ગોળીબાર કર્યો. પાંચ કલાક સુધી સતત ગોળીબાર ચાલતો રહ્યો હતો.અને 18 ભારતીય સૈનિકોએ પીછેહઠ કરવી પડી હતી. હવે પાછળ સાત ભારતીય સૈનિકો જ રહ્યા હતા.
          'ધ બ્રેવ' પુસ્કતના લેખિકા રચના બિષ્ટ રાવત કહે છે, "સાડા અગિયાર વાગ્યે 10 પાકિસ્તાની સૈનિકો નીચે જોવા માટે આવ્યા હતા કે ભારતીય સૈનિકોમાંથી કોઈ બચ્યું છે ખરું. તે વખતે દરેક ભારતીય સૈનિક પાસે માત્ર 45 રાઉન્ડ ગોળીઓ બચી હતી."

"તેમણે પાકિસ્તાનીઓને નજીક આવવા દીધા. તે લોકોએ ક્રીમ કલરના પઠાણી સૂટ પહેરેલા હતા. તેઓ નજીક પહોંચ્યા કે તરત જ સાતેય ભારતીય સૈનિકોએ ગોળીબાર શરૂ કરી દીધો".
     તેમાં એક હતા બુલંદશહરના રહેવાસી માત્ર 19 વર્ષના જુવાનજોધ ગ્રેનેડિયર યોગેન્દ્રસિંહ યાદવ યાદ કરતા કહે છે, "અમે બહુ નજીકથી પાકિસ્તાનીઓ પર ગોળીઓ ચલાવી. તેમાંથી આઠને અમે પાડી દીધા, પણ બે જણ ભાગી જવામાં સફળ રહ્યા. તેમણે ઉપર જઈને જાણ કરી કે નીચે અમે ફક્ત સાત જણ જ છીએ."
    યોગેન્દ્ર આગળ વાત કરતા કહે છે, "થોડી વારમાં 35 પાકિસ્તાની સૈનિકોએ અમને ચારે બાજુથી ઘેરી લઈને હુમલો કર્યો. મારા છએ છ સાથી જવાનો માર્યા ગયા."
"હું ભારતીય અને પાકિસ્તાની સૈનિકોની લાશો વચ્ચે પડ્યો હતો. પાકિસ્તાનીઓ બધાને જ ખતમ કરી દેવા માગતા હતા એટલે તેઓ લાશો પર પણ ગોળીબાર કરી રહ્યા હતા."
"હું મારી આંખ બંધ કરીને મોતનો ઇંતઝાર કરતો રહ્યો. મારા પગમાં, હાથમાં અને શરીરના જુદા જુદા ભાગોમાં 15 ગોળીઓ વાગી હતી, પણ મારો જીવ હજી ગયો નહોતો."
તે પછી જે કંઈ બન્યું તે કોઈ ફિલ્મની નાટકીય ઘટનાથી ઓછું નહોતું.
યોગેન્દ્ર કહે છે, "પાકિસ્તાની સૈનિકોએ અમારાં બધાં હથિયારો કબજામાં લઈ લીધાં. જોકે મારા ખિસ્સામાં રાખેલો ગ્રેનેડ શોધી ન શક્યા. મેં પૂરી તાકાત એકઠી કરીને ગ્રેનેડ કાઢ્યો, તેની પિન હટાવી અને આગળ જઈ રહેલા પાકિસ્તાની સૈનિકો પર ફેંકી દીધો."
"ગ્રેનેડ એક પાકિસ્તાની સૈનિકની હેલમેટ પર પડ્યો અને તેના ત્યાંને ત્યાં ચીંથરાં થઈ ગયાં. મેં એક પાકિસ્તાની સૈનિકની લાશ પાસે પડેલી પીકા રાઇફલ ઉઠાવી અને ધડાધડ ગોળીબાર શરૂ કરી દીધો. મારા ફાયરિંગમાં પાંચ સૈનિકો માર્યા ગયા."
     તે વખતે જ યોગેન્દ્રને પાકિસ્તાની વાયરલેસનો અવાજ સંભળાયો. તેમાં સંદેશ આપવામાં આવી રહ્યો હતો કે અહીંથી પાછા હટી જાવ અને 500 મીટર નીચે ભારતના એમએમજી બેઝ પર હુમલો કરો. પરંતુ ત્યાં સુધીમાં યોગેન્દ્રના શરીરમાંથી બહુ લોહી વહી ગયું હતું. ગમે તે ઘડીએ બેહોશ થઈ જવાય તેવી સ્થિતિ હતી.
ત્યાં એક પાણીનું નાળું હતું અને તેમાં પાણી વહી રહ્યું. તેઓ નાળામાં કૂદી પડ્યા અને તેમાં તણાતા-તણાતા પાંચ મિનિટમાં 400 મીટર નીચે સુધી પહોંચી ગયા.
ત્યાં રહેલા ભારતીય સૈનિકોએ તેમને નાળામાંથી બહાર કાઢ્યા. લોહી બહુ વહી ગયું હોવાથી હવે યોગેન્દ્ર યાદવની આંખો કશું સ્પષ્ટ જોઈ પણ શકતી નહોતી.
       સીઓ ખુશહાલસિંહ ચૌહાણે તેમને પૂછ્યું કે તમે મને ઓળખી શકો છો ખરા? યાદવે ત્રૂટક શબ્દોમાં કહ્યું કે, 'સાહેબ હું તમારા અવાજને ઓળખું છું, જય હિંદ સાહેબ.'
     યોગેન્દ્ર યાદવે તેમને માહિતી આપી કે પાકિસ્તાની સૈનિકોએ ટાઇગર હિલ ખાલી કરી દીધું છે. તે લોકો હવે આપણા એમએમજી બેઝ પર હુમલો કરવાના છે. આટલું કહ્યું પછી યાદવ બેહોશ થઈ ગયા હતા.
      તેમની માહિતી પ્રમાણે જ થોડી વાર પછી પાકિસ્તાની સૈનિકોએ ત્યાં હુમલો કર્યો હતો પણ ત્યાં સુધીમાં ભારતીય જવાનોએ તૈયારીઓ કરી લીધી હતી.
     બાદમાં યોગેન્દ્રસિંહ યાદવને તેમની અસાધારણ બહાદુરી બદલ સર્વોચ્ચ વીરતા પદક પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા
       આ યુદ્ધમાં પાકિસ્તાન અને ભારતના કેટલાય સૈનિકોનો શહિદ થયાં હતાં.
26 જુલાઈ, 1999 ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનના સેના અને ઘુસપેઠીયાઓને તમામ રીતે પરાસ્ત કર્યા બાદ યુદ્ધ સમાપ્ત કરવાની ઘોષણા કરવામાં આવી હતી, ભારતીય જવાનોને કારગિલની ટોચ પર તિરંગો લહેરાવી પોતાની તાકાતનો પરચમ બતાવ્યો હતો.

માહિતી સ્ત્રોત..
વિકી પીડિયા
ગૂગલ
BBC news

Sunday, July 12, 2020

⚫બહુજન સાહિત્યકાર મોહિન્દર મોર્ય સાહેબ વણોદમાં...



                                                  - રાહુલ, વણોદ
                                                 મો.8000739976

                              સમગ્ર વણોદ "ભીમ દિવાના કમિટી"નાં આગ્રહથી આજ રોજ બહુજન સાહિત્યકાર,સંશોધક એવાં મોહિન્દર મોર્ય સાહેબ વણોદ ગામ પધાર્યા હતાં. અને એમની સાથે બહુજન વિચારધારાને વરેલા અને વિચારધારાને યોગ્ય રીતે સમજીને પચાવનારા માનનીય પ્રિંસ વાઘેલા સાહેબ પણ આવ્યાં હતાં. લગભગ બપોરે અગિયાર વાગ્યાની આસપાસ વાદળછાયું વાતાવરણ હતું તેથી મેં મોર્ય સાહેબને ફોન કરીને કહ્યું કે સાહેબ વરસાદી માહોલ છે. અને એમાંય સાણંદની દ્વિ ચક્રી વાહન લઈને છેક વણોદ આવવું એ જોખમ ભર્યું કામ છે. તેથી આવવાનું મોકૂફ રાખો તો સારું
ત્યાં સાહેબે મને પ્રશ્ન કર્યો કે, આયોજન થઈ ગયું છે બધું ?
          
                        મેં કહ્યું હા સાહેબ, મારા એક મિત્રના ઘરે બેઠક રાખી છે તમે કહ્યું એમ માર્કર પેન-બોર્ડ વગેરે બધું લાવી મૂક્યું છે. ત્યારે સાહેબે જે કહ્યું એ કદાચ કોઈ આંબેડકરી મુવમેન્ટને સમર્પિત વ્યક્તિ જ કહી શકે, એમણે કહ્યું કે, રાહુલ સાહેબ બધી વ્યવસ્થા તમે કરી ચૂક્યાં હોય અને આપણી કમિટીના સભ્યો પણ મને સાંભળવા આતુર હોય તો પછી વરસાદ હોય કે વાવાઝોડું હું જરૂર આવીશ. મિશનમાં ટાઢ તડકો વેઠીને જ વિચારધારાનું વાવેતર કરી શકાય. એમના આ શબ્દો કદાચ એમનો અનુભવ હશે. મોર્ય સાહેબ લગભગ એક વાગ્યાની આસપાસ વણોદ આવી પોહચ્યાં. 

                           કમિટીના મિત્રો તો ત્યાં હાજર જ હતાં. ત્યાર બાદ મેં ભીમ દિવાના કમિટીનાં સભ્યોને મોહિન્દર મોર્ય સાહેબ અને માન્ય પ્રિંસ વાઘેલા સાહેબનો પરિચય આપ્યો. ત્યાર બાદ મોર્ય સાહેબે કમિટીનાં મિત્રો સમક્ષ ખુદનાં સંશોધનો અને કેટલાક બહુજન સાહિત્યકારોનાં સંશોધનોને કેન્દ્રમાં રાખી માનવ ઉત્પત્તિ અને માનવ ઉત્ક્રાંતિ વિશે ખૂબ સરળ સમજૂતી આપી. મોર્ય સાહેબ એ રીતે સમજાવતા હતાં કે ત્યાં બેઠાલા બધાં મિત્રો એમને સાંભળવા વધુ આતુર બન્યાં. ત્યાર બાદ મોર્ય સાહેબે બાબા સાહેબનાં પુસ્તકનો આધાર રાખી પાંચમી સદીમાં અસ્પૃશ્યતાનો ઉદ્દભવ અને અસ્પૃશ્યતા કઈ રીતે ફૂલી ફાલી તે સમજાવ્યું. મોર્ય સાહેબ વ્યવસાયે અને સાહિત્યની  દ્રષ્ટિએ શિક્ષકનો જીવ તેથી સામેના વ્યક્તિ સમક્ષ કઈ રીતે પોતાની વાત મુકવી અને કંઈ રીતે સામેના વ્યક્તિનાં મગજમાં ફિટ કરવી એ સારી રીતે જાણે. વળી સંશોધન વૃત્તિને કારણે કોઈ પણ બાબતનું પછી ચાહે એ રાજકીય બાબત હોય, ધાર્મિક બાબત કે પાલી,હિન્દી કે ગુજરાતી ભાષાનાં અપભ્રંશ શબ્દોનું ઓપરેશન, શોધખોળ અને એનું મૂળ તપાસવાનું હોય એ દરેક બાબતનું ઓપરેશન કઈ રીતે કરવું એ સારી રીતે જાણે. તેથી તેઓ પોતાની વાત મુકતી વખતે વચ્ચે વચ્ચે પોતાની વાતનો સંદર્ભ અને પ્રમાણ આપતાં રહે.

                               તેમણે બુદ્ધની વાત મુકતા કહ્યું કે "ऐत्तो धम्म सनातना" આવું બુદ્ધ કહી ગયાં છે એનો મતલબ થાય કે આ ધમ્મ હું નથી સ્થાપતો હું તો માત્ર આનું સંકલન કરીને વિશ્વ સમક્ષ મુકું છું બાકી આ ધમ્મ સનાતન ધમ્મ છે અને મારી પહેલાં પણ 27 બુદ્ધ થઇ ગયાં કે જેમણે આ ધમ્મને આગળ વધાર્યો છે. ત્યાર બાદ સમ્રાટ અશોકની બુદ્ધ ધમ્મની ક્રાંતિની વાત કરીને છેક થોરવાડ સુધીની ઇતિહાસ યાત્રા સમજાવી જે પરંપરા આજ સુધી આપણાં સમાજ સાથે જોડાયેલી છે. ત્યાર બાદ સામાજિક દુષણો અને બાબા સાહેબની રાજકીય ક્રાંતિ વિશે પણ સમજ આપી. એક વાગ્યાથી શરૂ થયેલ વાતચીતનો દોર છેક પાંચ વાગ્યા સુધી ચાલ્યો. વચ્ચે બસ દસ મિનિટનો ટી(ચા) બ્રેક આવ્યો.

                      બેઠક પૂર્ણ થયા બાદ જય બોધ સાહેબ દ્વારા બેઠકનું સમાપન કરવામાં આવ્યું અને ત્યાર બાદ વણોદ "ભીમ દિવાના કમિટી" તરફથી ફ્રેમમાં મઢેલ બાબા સાહેબનું એક પેઇન્ટિંગ પ્રતીક અને સન્માન રૂપે મોર્ય સાહેબને ભેટ આપવામાં આવ્યું.મોર્ય સાહેબે જે માહિતી અને ઐતિહાસિક તથ્યો જણાવ્યા તે બદલ  વણોદ "ભીમ દિવાના કમિટી" માનનીય મોહિન્દર મોર્ય સાહેબ અને માનનીય પ્રિંસ વાઘેલા સાહેબનો ખૂબ ખૂબ આભાર માને છે.અને સાથે જ સાવડા ગામથી આવેલાં મારા મિત્ર વનરાજ મોર્ય, જયદીપ મોર્ય અને હસમુખ મોર્યનો પણ આભાર માને છે.


Friday, June 26, 2020

દિવાલ (ટૂંકીવાર્તા)


         
                        

                                  લેખન -રાહુલ, વણોદ
                                    મો.8000739976      
    
                     

                                 ઉમેશભાઈ સાંજે દુકાન બંધ કરીને ઘરે આવ્યાં. પણ ઘર સામેનું દ્રશ્ય જોઈને એમના પગ ઘડી ભર થંભી ગયાં. જાણે પગ નીચેથી ધરતી સરકી ગઈ હોય એમ લાગ્યું. આંખો સામેનાં એ દ્રશ્યએ ઉમેશભાઈના હૃદયમાં જાણે ભૂકંપ લાવી દીધો. ઉમેશભાઇને એમની આંખ ઉપર વિશ્વાસ નહતો આવતો. ફળિયામાં ઉમેશભાઈનું અને સામે  મહેશનું ઘર હતું અને વચ્ચે ફળિયાના ભાગમાં મજૂરો આડી દીવાલ ચણતાં હતાં. ઉમેશભાઈ તરત દીવાલ ચણાતી હતી ત્યાં ગયાં અને દીવાલની પેલી બાજુ ઘર હતું ત્યાં સાદ નાખ્યો,
મહેશ... ઓ મહેશ.. બહાર નીકળ તો...!?
ઉમેશભાઈનો અવાજ સાંભળતા જ મહેશ ઘરની બહાર આવ્યો બંડી અને ધોતી પહેરી હતી મહેશે એક હાથે ધોતી ઊંચકી હતી તે બહાર આવ્યો અને બોલ્યો..
શું છે મોટાભાઈ..!? હવે તો શાંતિથી રહેવા દો !!

આ શું છે બધું !!?
ઉમેશભાઈ થોડાં મોટા અવાજે બોલ્યાં.
ત્યાં જ મહેશ ઉદ્ધતાઈથી બોલ્યો, તમે જે જોવો છો એ
ઉમેશ ભાઈ બોલ્યાં, મહેશ બે ભાઈઓનાં ઘર વચ્ચે દીવાલ !!??
ઉમેશભાઇ આગળ બોલે એ પહેલાં જ મહેશ વચ્ચે જ બોલ્યો, હા મોટા ભાઈ આ રોજનો તમારો અને ભાભીનો ત્રાસ વધી ગયો હતો એનાં માટે મેં વચ્ચે દીવાલ બનાવી દીધી હવે નિરાંતે રહેજો અને તમે ચિંતા ના કરતાં આ દીવાલનો ખર્ચ તમારે નથી આપવાનો હું મજૂરોને બધા રૂપિયા ચૂકવી દઈશ.
મહેશ અને ઉમેશ બંને સગા ભાઈ. મહેશ સરકારી ખાતામાં સારી એવી સરકારી નોકરી કરતો હતો. મહેશ ઉમેશભાઈથી નાનો હતો.પિતા દસ વર્ષ પહેલાં જ એક બસ અકસ્માતમાં મૃત્યુ પામેલાં થોડા વર્ષો પછી ઉમેશભાઈની માં પણ બંને ભાઈઓને નોંધારા મૂકીને આ ફાની દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલી ગયેલી. ઉમેશ નાનો હતો ત્યારેથી જ ભણવામાં ઘણો હોંશિયાર પરંતું પિતાના મૃત્યુ બાદ દુકાન અને ઘર ચલાવવાની બધી જવાબદારી ઉમેશ પર આવી ગઈ હતી. બહેન તો હતી નહીં. તેથી માતાના મૃત્યુ બાદ ઉમેશભાઈના ફુઈબા થોડા સમય બંને ભાઈઓને રાંધી આપ્યું. પરંતું ફુઈબા ગયાં પછી દુકાન અને ઘરની જવાબદારી ઉમેશ પર આવી ગઈ. ઉમેશને ઘર, દુકાન અને અભ્યાસ ત્રણેય સંભાળવું મુશ્કેલ લાગતું વળી નાના મહેશનું પણ ધ્યાન રાખવાનું થતું.ઉમેશને બારમુ ધોરણ પાસ કર્યા પછી આગળ અભ્યાસ કરવાની ઈચ્છા હતી પરંતુ જવાબદારીએ એ ઇચ્છાને હંમેશા માટે દબાવી દીધી અને વળી નાના ભાઈ મહેશને પણ હજુ ભણાવવાનો હતો તેથી તેનો ખર્ચ પણ ઉમેશભાઇએ પૂરો પાડવાનો હતો. ઉમેશભાઈની માતાને ટીબીનો રોગ હતો તેઓ જીવનના છેલ્લા બે મહિના પથારી વશ રહેલાં માની સેવા કરવામાં જ ઉમેશભાઇએ ભણવાનો વિચાર માંડી વાળેલો. કેમ કે માં ની સેવા, દુકાન ચલાવવાની અને અભ્યાસ સાથે થાય એ નહોતા.

                              એ દિવસે સખત વરસાદ વરસતો હતો મહેશ શાળાએથી હજુ આવ્યો નહતો.આ ઉપરાંત બાજુ ઉમેશભાઈની માં જીવનનાં છેલ્લા શ્વાસો લઈ રહી હતી. ઉમેશ સમજી ગયો હતો માં હવે ઝાઝો સમય શ્વાસ નહીં લઈ શકે તેથી એ દિવસે સાંજે એ જ મહેશને લેવા માટે શાળાએ ગયો નહીં. વરસાદ ધોમધાર વરસી રહ્યોં હતો. સાથે પવન પણ જોરથી આવીને મહેશના કાચાપાકા મકાનનો દરવાજો થથડાવી જતો હતો. વરસાદ બહાર પણ હતો અને ઉમેશની આંખોમાં પણ, વાવાઝોડું બહાર પણ વૃક્ષોને હલાવી જતું હતું. તો આ બાજુ ઉમેશના હૃદયમાં પણ વેદનાનું વાવાઝોડું આખા શરીરને થથરાવી જતું હતું. ઉમેશની માંએ છેલ્લા શ્વાસ લેતી વખતે ઉમેશનો હાથ જોરથી પકડ્યો અને થરથર કાપતા અવાજે ઉમેશને કહ્યું, બેટા ઉમેશ, હું હવે ઝાઝું નહીં જીવી શકું. મારા મર્યા પછી તારે જ આ ઘર ચલાવવાનું છે. અને તારા નાના ભાઈ મહેશનું ધ્યાન રાખવાનું છે. મને વચન આપ બેટા કે તું તારા નાના ભાઇને હંમેશા તારી સાથે રાખીશ, અને એને ભણાવી ગણાવીને મોટો કરીશ. બેટા તું બહુ સમજુ છો માં ની આટલી વાત તો માનીશ ને !?!
ઉમેશભાઈની માંની અંતિમ ક્ષણોમાં એમના મુખમાંથી નીકળેલા આ શબ્દો જાણે પંદર વર્ષના ઉમેશે હૃદયમાં અંકિત કરી દીધા. માંના આ શબ્દો ઉમેશભાઈ માટે એક દસ્તાવેજ સમાં બની ગયાં અને એમાં રડતી આંખે માં ને વચન આપી જાણે એ દસ્તાવેજ ઉપર ઉમેશે હંમેશા માટે હસ્તાક્ષર કરી દીધા

                    માં તો ગુજરી ગઈ. એ દિવસે વાતાવરણ પણ સાવ શાંત થઈ ગયું પ્રકૃતિ અને પોતાની માં ની સાક્ષીએ મહેશની જીવનભર દેખભાળ રાખશે એવા દસ્તાવેજ પર ઉમેશે હસ્તાક્ષર કર્યા ત્યાં સુધીમાં જાણે એક વાવાઝોડું આવીને ચાલ્યું ગયું. ઘરની બહાર અને નાના ઉમેશનાં હૃદયમાં..!
બંને ભાઈ અનાથ થઈ ગયાં. સગા સંબંધીઓ આવ્યાં બંને ભાઈઓને ખૂબ હિંમત આપી, દિલાસા આપ્યાં. નાનો મહેશ માં માં કરીને ખૂબ રડ્યો. ઉમેશને પણ રડવું આવતું પરંતુ લોકો એને કહેતાં તારે રડવાનું નહીં, તું જ રડીશ તો નાના(મહેશ)નું શું થશે એ વિચાર કર ! લોકોની આ દુહાઈ સાંભળીને ઉમેશ પોતાની વેદના અને દર્દ હૃદયમાં દફન કરી દેતો. આંસુઓને ગમે એમ કરી રોકી દેતો. માં ઉમેશને ખૂબ લાડ કરતી, ઉમેશને ખૂબ વ્હાલી હતી. ઉમેશ પણ પોતાનું સર્વસ્વ પોતાની માં ની અંદર જોતો.પિતાના મૃત્યુ પછી માં એ એ બંને ભાઇને હિંમત આપેલી. સારા સંસ્કાર આપેલાં. નીતિ અને પ્રામાણિકતાનાં પાઠ શીખવ્યા હતાં.નીતિ અને તે પ્રામાણિકતાથી ઉમેશ દુકાન ચલાવતો તેથી ગ્રાહક પણ ઉમેશભાઈના આ ગુણો જોઈને ઉમેશભાઈની દુકાને જ ખરીદી કરવાનો આગ્રહ રાખતાં. ઉમેશને પોતાની માં એ જ સત્ય અને ટેકીલા થવાની ગળથુંથી બાળપણથી જ આપેલી. ઉમેશનાં વ્યક્તિત્વ ઘડતર અને જીવન ઘડતરમાં પોતાની માં નો ફાળો વિશેષ રહેલો હતો.માં બીમાર હતી ત્યારે પોતાની માં ની દવા-દારૂ ઉમેશ જાતે લાવતો અને દવા પીવડાવતો. દુકાનેથી આવીને ઘરનાં નાના મોટા બધા જ કામ ઉમેશ કરતો. મહેશને તે કશું કામ.કરવા દેતો નહીં ઉમેશ વિચાર તો મહેશ હજુ નાનો છે એને શું ખબર પડે કે કામ કઈ રીતે કરાય !? મહેશ કરતાં ઉમેશને પોતાની માં પ્રેત્યે ઘણો લગાવ હતો તેથી મહેશ કરતાં ઉમેશને વધુ દુઃખ થયેલું માં ખોયાનું.પરંતુ પ્રકૃતિનો નિયમ આજ સુધી ભલા કોણ ઉથાપી શક્યું છે !!? જીવન મરણ પ્રકૃતિની દેન છે.

                                  કહેવાય છે કે સમય દરેક દર્દનો ઈલાજ છે. સમય વીતતો ગયો. માં ની ખોટ અને માં ની યાદની વેદનાં ધીમે ધીમે બંને ભાઈઓ પર ઓછી થતી ગઈ.ઉમેશ માં ને હજુય યાદ કારતો પણ હવે રડવું આવતું નહીં. ઉમેશ ઉકાન જતી વખતે ઉમેશ ઘરમાં રાખેલો માં ના ફોટાને પગે લાગીને જતો. ઉમેશે બારમાં ધોરણ પછી ભણવાનું બંધ કરી ઘર, દુકાન અને મહેશને સંભાળી લીધા. ઉમેશભાઈને દુકાનમાંથી ઘર ચાલે એટલી આવક તો આવતી. રાત દિવસ મહેનત કરી થોડા પૈસા ભેગા કરી પાકું મકાન બનાવ્યું. મહેશ પણ ભણવામાં હોંશિયાર બારમું સારા ગુણ સાથે પાસ થયો. તેથી ઉમેશ ભાઇએ પોતાના મોહલ્લામાં મીઠાઈ વહેંચી.સગા સંબંધીઓ કહેતાં કે ઉમેશ હવે કોઇ સારી છોકરી જોઈ પરણી જા. પણ ઉમેશ કહેતો ના, કદાચ મારી વહુ સારી ના હોય તો મહેશનું શું થાય !?પરંતુ સગા સંબંધીઓ અને પાડોશીઓને ઉમેશને લગ્ન માટે દબાણ કર્યું. ઉમેશને પણ જરૂર લાગી કેમ કે ઘરનું કામ અને દુકાનનું કામ એક સાથે થાય એ નહતું. ઉમેશ વ્યસન વગરનો, કોઈ કુટેવ નહીં એટલે છોકરી મળતાં વાર ન લાગી સમાજની જ એક સુશીલ છોકરી સાથે ઉમેશે લગ્ન કરી લીધા.બધા ઉમેશને કહેતાં છોકરી સારી છે,ગુણિયલ છે, સંસ્કારી છે. છોકરીનું નામ લીલાવતી. ઉમેશ એને પ્રેમથી લતા કહીને બોલાવતો.મહેશ ખુશ થઈ ગયો ઘરમાં ભાભી આવી તેથી જે ઘરમાં હજુ તો માતાના મૃત્યુની વેદનાના પડઘા સાંભળતા હતાં એ જ ઘરમાં સુખના ઢોલના પડઘા પડ્યાં.લોકો ક્યારેક છાની છુપી ઇર્ષાભાવથી વાતો પણ કરતાં કે અમલા(ઉમેશ)ને તો સારું  કેવાય ! દુકાનમાં આવક ધમધોકાર આવે છે એનો ભઈ પણ સારું ભણે છે અને ઉંપરથી વહુ પણ સંસ્કારી મળી !

                           ઉમેશે લતા સાથે એ શરતે લગ્ન કર્યા હતાં કે એ મહેશને ક્યારેય મહેણાં તોણા નહીં મારે અને એને સારી રીતે રાખશે. લતા પણ પોતાના માં બાપના સારા સંસ્કાર લઈને આવી હતી. તેથી પોતાનાં કરતા પણ વધુ નાના દિયરનું ધ્યાન વધું રાખતી.મહેશનું ખાવા પીવાનું,કપડાં ધોવાનું બધું લતા કરતી. મહેશ પણ ભાભીની આ સેવા જોઈ ખુશ થતો. આ બધું જોઈ ઉમેશભાઈ બહુ જ ખુશ થતાં. અને પોતાની સ્વર્ગીય માં ના ફોટા સામું જોઈને મનોમન કહેતાં કે, જોયુ ને માં મેં તને વચન આપ્યું હતું ને કે મહેશને હું જીવ કરતાં પણ વધુ સાચવીશ એ વચન હું પૂરું કરી રહ્યો છું ને માં ?
અને ફોટામાંથી જાણે પોતાની માં બધું સાંભળી રહી હોય અને મરક મરક હસીને ઉમેશભાઇને આશીર્વાદ આપતી હોય એમ માની ઉમેશભાઈ મનમાંને મનમાં રાજી થતાં. પરંતુ તેમનું આ સુખ ઝાઝું ટકવાનું નહતું. એ ઉમેશભાઇને ક્યાં ખબર હતી !!?

                           મહેશ બારમાં ધોરણમાં સારા ગુણ સાથે પાસ થયો તેથી લતાએ ઉમેશને કહ્યું કે, મહેશભાઈને શહેર ભણવા મોકલો તો જરૂર એમને સારી નોકરી મળશે એવો મને વિશ્વાસ છે. પોતાની પત્નીની આ વાત માનીને ઉમેશે પોતાના નાના ભાઈ મહેશને નજીકના મોટા શહેરમાં કોલેજના અભ્યાસ માટે મોકલ્યો.ત્યાં હોસ્ટેલમાં મહેશ અને મહેશનો બધો સામાન ઉમેશ મૂકી આવ્યો. અઠવાડિયે દસ દિવસે મહેશ ફોન કરતો અને મહેશ અભ્યાસ માટે જે જરૂર હોય એ પોતાના મોટા ભાઈ ઉમેશને કહેતો. ઉમેશ શક્ય બધી ચીજ વસ્તુઓ મહેશને મોકલતો. ક્યારેક મહેશ ફોન કરીને કહે કે પૈસા જોઈએ છે અને શહેર જનારું કોઈ ના હોય તો ઉમેશ તરત એક દિવસ માટે સ્પેશ્યલ દુકાન બંધ કરી મહેશને પૈસા આપવા શહેર ઉપડી પડતો. ક્યારેક પોતાની પાસે પૈસા ન હોય તો શેઠ પાસે ઉસી પાછીના લઈને પણ મહેશને આપતો. ઉમેશ પાસે પૈસા હોય કે ના હોય પરંતુ એ વાતની મહેશને જરા પણ ખબર ના પડવા દે. લતા અને ઉમેશ ક્યારેક વાતો કરતા કે મહેશને સારી નોકરી મળશે એટલે તેઓ પોતાની બીજી એક દુકાન નાખશે અને પોતાનું ઘર મેડી વાળું બનાવશે.

                              મહેશ ભણવામાં હોંશિયાર તેથી મહેનત સારી. હોસ્ટેલમાં અભ્યાસ માટે સારું વાતાવરણ મળ્યું. કૉલેજથી છૂટીને સમય મળે એટલે પુસ્તકાલય જતો અને વાંચતો અને પૈસા કે પુસ્તકો ખૂટે તો ઉમેશ તરત હાજર કરી દેતો. મહેશની મહેનત અને કિસ્મત રંગ લાવી. ઇન્કમ ટેક્સ વિભાગમાં મહેશને સારા પગારમાં નોકરી મળી ગઈ. આ વાત ઉમેશને ફોન કરીને મહેશે જણાવી. આખા ઘરમાં આનંદ આનંદ થઈ ગયો. લતા તો ખુશ થઈ ગઈ. એમના દિયરને સરકારી નોકરી મળી ગઈ. ઉમેશ અને લતાએ ફરી મોહલ્લામાં મીઠાઈ વહેંચી. ઉમેશનું આ સુખ ઘણાંને ખૂંચતુ પણ એ લોકો ઉમેશનું કશું ખરાબ કરી શકે એમ નહતા. ઉમેશ પોતાની સ્વર્ગીય માં ના ફોટા પાસે ગયો અને કહ્યું, જો માં તને આપેલું વચન હું બરાબર નિભાવું છું ને ! તારા મહેશને આજે સરકારી નોકરી મળી. એ સાહેબ બની ગયો ! આમ બોલતા બોલતા ઉમેશભાઈ ગળગળા થઈ જતાં. એમને માં ની ખોટ હજુ પણ સાલતી..! કદાચ એ વિચાર સાથે કે માં આજે જીવતી હોત તો કેટલી ખુશ થાત !? લતા ઉમેશને હિંમત આપતાં કહેતી, તમે પુત્ર તરીકેની ફરજ તો નિભાવી જ છે સાથે સાથે મહેશના માં બાપ બનીને મોટા ભાઈ તરીકે પણ પોતાની ફરજ નિભાવી છે. તેથી ઓછું ના લગાવો. ઉમેશ જ્યારે પણ દુઃખમાં હોય કે પૈસાની તંગી હોય ત્યારે ત્યારે પણ લતા ઉમેશને હિંમત આપતી.

                             મહેશનું પોસ્ટિંગ શહેરમાં થયું શહેર ગામથી વીસેક કિલોમીટર દૂર મહેશ ગામડે આવી ગયો પોતાના ભાઈ સાથે રહેવા. અને ત્યાંથી નોકરી માટે આવજાવ કરતો. નોકરીમાં પૈસા મળતાં ગયાં. મહેશ પાસે પૈસા વધતા ગયાં એમ એમ અહંકાર અને ઘમંડ પણ વધતા ગયાં. પૈસાનો ભાર ખિસ્સામાં વધતા ભલભલા બદલી જાય છે. મહેશનનો સ્વભાવ ચીડચીડયો થવા લાગ્યો. વાતે વાતે ભાઈ ભાભીને ખરી ખોટી સંભળાવી દેતો. ઘરનું કામ હોવાથી રસોઈમાં બનાવવામાં જરા મોડું થાય તો તરત લતાને સસંભળાવી દેતો, ભાભી તમને ખબર નથી પડતી મારે ઓફીસ જવાનું મોડું થાય છે તો જમવાનું તૈયાર રાખવાનું !? લતા ના છૂટકે ચહેરા પર હાસ્ય લાવીને મહેશને કહેતી, મહેશ સાહેબ હવે ઘરમાં વહુ લાવી દો. હું એકલી કેટલું ઘરનું કામ કરી શકું !!? તમારા ભાઈનું અને તમારું પણ જમવાનું બનાવવાનું ઉપરથી ઘરનું બધું કામ !?
આમ મજાક મજાકમાં લતા દિયરને પોતાની મનની વાત કહી જ દેતી. મહેશ ઉંચા આવજે લતા બોલતો પણ લતા મોટું મન રાખી સાંભળી લેતી લતા એમ વિચારી. પોતાના મનને સમજાવી લેતી કે મહેશભાઈ હજુ નાના છે. એટલે બોલવા ચાલવાની બહુ ખબર ના પડે.

સાંજે ઉમેશ ઘરે આવ્યો. લતાએ પાણી આપ્યું ઉમેશ બેઠો. એટલે. લતાએ વાત માંડી,
સાંભળો છો ?
મહેશભાઈ આજે મન ફાવે એમ મને બોલ્યાં. જમવાનું થોડું લેટ થયું એટલે. હું ઘર કામમાં રોકાયેલી હતી જેથી જમવાનું થોડું મોડું થઈ ગયું હતું એટલે!
ઉમેશે આ સાંભળી લતા સામે જોયું થોડી વાર વિચાર્યું પછી કહ્યું, હું વાત કરીશ મહેશને તું ચિંતા ના કર !
એ દિવસે પ્રથમ વાર ઉમેશભાઇને પોતાના નાના ભાઈ પ્રેત્યે થોડો અણગમો થયો. ઉમેશભાઇએ વિચારી લીધું કે શું કરવાનું છે. રાત્રે આઠેક વાગ્યે મહેશ ઘરે આવ્યો.નાહીને જમવા બેઠો. ઉમેશભાઇ મહેશ સાથે જમવા બેઠા. લતા જમવાનું પીરસી રહી હતી.શાકમાં મરચું થોડું ઓછું લાગતા મહેશ તરત બોલ્યો, ભાભી મરચું કેમ ઓછું છે શાકમાં !? તમને ખબર તો છે મને મોળું શાક નથી ભાવતું !? થોડું તીખું બનાવવું હતું ને !!?
લતા આ સાંભળી રહી હતી. પણ જ્યાં સુધી ઉમેશભાઈ હોય ત્યાં સુધી લતા બોલતી નહીં. લતાને ખબર હતી. કે આ ઉમેશભાઈ મહેશ જવાબ આપશે અને એમ જ થયું,ઉમેશભાઈ બોલ્યાં,
જો મહેશ એ ભાભી છે તારી તારે એમ તોછડાઈથી વાત ન કરાય
મહેશ તરત બોલ્યો, પણ મોટાભાઈ મારે કેટલી વાર કહેવાનું કે શાક તીખું બનાવો. ભાભી સમજતા નથી.
ત્યાં વચ્ચે જ લતા બોલી,મહેશભાઈ આ વર્ષે મરચું જ એવું આવ્યું છે ગમે એટલું નાખીએ તો પણ શાક મોળું થાય છે.આટલી થેલી પુરી થઈ જાય પછી નવું મરચું આવે !
મહેશ આ સાંભળી લતા ઉપર તાડુંક્યો, તો પછી આ થેલી ફેંકી દો, અને સારું મરચું લાવો પૈસા મારી પાસેથી લઈ જાવ ના હોય તો !
ઉમેશભાઈ વચ્ચે બોલ્યાં, સારું મહેશ હવેથી શાક મોળું નહીં થાય બસ.. હવે જમી લે શાંતિથી.
એ જ દિવસે મહેશ તો જમીને સુઈ ગયો પણ. લતા અને ઉમેશ ના ઊંઘી શક્યાં. કદાચ આવનારા તુફાનથી બંને અવગત થઈ ગયાં હતાં. ઉમેશે લતાના માથા ઉપર હાથ. મુક્યો અને કહ્યું બધું સારું થઈ જશે..
બીજા દિવસે સવારે પણ ઓફિસે જતી વખતે મહેશ લતાને સાંભળવાનું ન ચુક્યો,
એ બોલ્યો,
ભાભી મારા પલપલ કલરનું સર્ટ હજુ કેમ લીલું છે મારે આજે ઓફિસે એ પહેરી જવાનું હતું !?
લતા બોલી, મહેશ ભાઈ કાલે થોડો વરસાદ હતો હું ઘર કામમાં હતી અને કપડાં બહાર સુકાતા હતાં. હું બહાર કપડાં લેવા આવી ત્યારે એ ભીના થઈ ગયા હતા.તેથી ઘરમાં સૂકવવા મૂક્યાં હતાં. પણ હજુ સુકાયા નથી.
મહેશ ગુસ્સામાં બોલ્યો,ભાભી તમે કપડાં નથી સુકવી શકતા !?
મેં આજે ઓફિસમાં મારી ફ્રેન્ડને કહયું હતું કે હુ આજે પણ પલપલ રંગનું સર્ટ પહેરીને આવીશ પણ હવે શું !!??
પછી રિસાઈને મહેશ નીકળી ગયો. લતા રડવા જેવી થઈ ગઈ.બપોરે ઉમેશ દુકાનેથી ઘરે જમવા આવ્યો ત્યારે ઉમેશને જમવાનું પીરસતી વખતે લતાનો ચહેરો મુરઝાયેલો લાગ્યો. ઉમેશે કારણ પૂછ્યું પણ લતાએ કહ્યું,કશું નહીં એમ. કહી વાત છુપાવી. લતા જાણતી હતી કે ઉમેશને પોતાનો નાનો ભાઈ મહેશ બહુ વ્હાલો હતો. અને ઉમેશને પોતાની સ્વર્ગીય માને વચન આપેલું કે તે મહેશને જીવનભર સાચવશે. પરંતુ ઉમેશ એટલો પણ ગાંડો નહતો. કે લતાના ચહેરા પાછળનું દર્દ ના કળી શકે !એ બધું સમજી ગયો.

                    બીજા દિવસે મહેશે પોતાના મોટાભાઇને ખુશ ખબરી આપતાં કહ્યું કે,એની જ ઓફિસમાં એક છોકરી છે જે મહેશને ગમે છે એ છોકરી પણ મહેશને પસંદ કરે છે. છોકરી એમનાં સમાજની છે. આ સાંભળી ઉમેશ અને લતા રાજી થઈ ગયાં. ઉમેશે છોકરીના બાપ આગળ વાત નાખી. મહેશને સારી સરકારી નોકરી હતી તેથી છોકરીના માં બાપ રાજી જ હતાં. મહેશના લગ્ન ધામધુમથી થયાં. મહેશ તરફથી અપાતી તકલીફ લતા અને ઉમેશ થોડા દિવસો પૂરતા ભૂલી જ ગયાં. બંનેને એમ હતું કે હવે મહેશ સુધરી જશે.પરંતુ તકલીફ તો હવે જ શરૂ થઈ ઘરમાં નવી વહુ આવી. લતા અને ઉમેશ વહુને સારું રાખતાં. દિવસે ઉમેશ દુકાને જાય અને મહેશ ઓફિસે તેથી બંને દેરાણી જેઠાણી ઘરે જ હોય અને ઘર કામ કરતી હોય પરંતુ મહેશની વહુને લતાની આવડત, જ્ઞાન અને હોશિયારીની ઇર્ષા થતી.લતા મહેશની વહુને ઘર કામ શીખવતી એ પણ મહેશની વહુને ગમતું નહીં. મહેશની વહુને આરામ કરવો અને ઊંઘવું બહુ ગમતું. તેથી લતા વારંવાર ઠપકો આપતી કે આપણે સ્ત્રી જાત એટલે આપણે આવી આરામ અને ઊંઘની આદત ના કેળવાય ! પરંતુ મહેશની વહુ તો આધુનિક જમાનાની, ભણેલી ગણેલી એટલે લતાની આ બધી સલાહ ગમતી નહીં, તેથી મહેશ નોકરીએથી આવે એટલે એનાં કાન ભમભેરના કરતી. અને તે મહેશ આના કારણે લતા અને ઉમેશ સાથે ઝગડતો રહેતો. પરંતુ લતા અને ઉમેશ માત્ર એટલે ચૂપ રહેતા કેમ કે ઉમેશે પોતાની સ્વર્ગીય માં ને વચન આપ્યું હતું. કે તે મહેશને હરહમેશ સાચવશે.

                  પરંતુ દેરાણી જેઠાણીના ઝગડા દિવસે દિવસે વધતા જતા હતાં. મહેશ પણ ઉમેશભાઇને  ના બોલવાનું બોલી જતો. એક દિવસે મહેશે ઉમેશભાઈને લતાની હાજરીમાં કહી જ દીધું કે તે સામે ફળિયામાં નવું મકાન બનાવશે અને એમાં જ રહેશે. આ સાંભળી ઉમેશભાઈનો. ઝાટકો લાગ્યો.એ બોલ્યાં મહેશ તને ભાન છે તું શું બોલે છે !!?
આપણે બે ભાઈઓ છીએ અને એમાં પણ જુદું રહેવાનું લોકો શું વિચારશે !!? અને હું અથવા તારી ભાભી ક્યારેય તને કે વહુને કશું બોલીએ છીએ.તો શું શા માટે જુદા રહેવાનું વિચારે છે !!??
મહેશ એ દિવસે ગુસ્સામાં બોલ્યો,
મોટાભઈ તમને ખબર નથી લતા ભાભી એ મારી વહુને ના બોલવાનું બોલતા હોય છે,
ત્યાં જ આંખોમાં આંસુ સાથે લતા બોલી,મહેશ ભાઈ તમને ખબર હોવી જોઈએ તમે શું બોલો છો !!!??
શું કામ અંજીને(મહેશનું વહુનું નામ અંજુ પણ મહેશ અને ઘરમાં બધા અંજી કહે) કશું કહું !?
પણ સાચું કહુ તો એ તમારા કાન ભરે છે,મારા અને તમારા ભાઈ વિરુદ્ધ !!?આટલું બોલતા.લતા રડી પડી,
પરંતુ મહેશને તો જાણે પોતાના ભાઈ ભાભીની પરવાહ જ ન હોય એમ બોલ્યો,
બસ ભાભી બહુ થયું હું અંજી વિરુદ્ધ એક શબ્દ નહીં સાંભળી લઉં !
ઉમેશભાઈ કશું બોલ્યા નહીં, ઉદાસ ચહેરે દુકાન જતા રહયા જમ્યા વગર જ !
બીજા દિવસે સામે ફળિયામાં મહેશે પોતાનું નવું મકાન બનાવવા ચાલુ કર્યું.મજૂરો આવી ગયાં કામ. શરૂ થયું.ઉમેશ ભાઈ દુકાનેથી આવ્યા આ બધું જોયું પણ કશું જ પ્રતિભાવ આપ્યા વિના ઘરમાં ગયાં. પોતાની સ્વર્ગીય માં ના ફોટા સામે જોઈને રડી પડ્યા. લતાએ ખભે હાથ મૂકી આશ્વાસન આપ્યું.
ઉમેશભાઈ રડતા રડતા બોલ્યા,લતા મને માફ કરજે હું તારું સ્વપ્ન પૂરું ના કરી શક્યો.તું કહેતી હતી ને કે મહેશભાઈને સારી નોકરી મળી જાય પછી આપણે મેડી વાળુ મકાન બનાવીશું. હવે એ શક્ય નથી કેમ. કે મેં દુકાનમાં નફામાં આવેલા બધા પૈસા મહેશને ભણાવવામાં ખર્ચી નાખ્યા. અને મહેશ હોવી પોતાનું અલગ મકાન બનાવે છે તેથી એ આપણા ઘરમાં પૈસા નહીં આપે !?

              લતા ઉમેશભાઈના આંખના આંસુ સાફ કરતા બોલી, મારે ક્યાં જરૂર છે સારા. ઘરમાં રહેવાની, હું તો બસ તમારી સાથે ઝૂંપડીમાં પણ રહી લઇશ, મને ખુશી તો એ વાતની છે કે તમે તમારી માં ને આપેલું વચન પાળી શક્યાં.
ઉમેશભાઈ રડતા રડતા ફરી બોલ્યાં, લતા હું માં ને આપેલું વચન ક્યાં પૂર્ણ. કરી શક્યો છું. જો મહેશ આજે બીજું મકાન બનાવે છે મારાથી અલગ રહેવા માટે.
લતા ઉમેશને સમજાવતી હોય એમ બોલી,ભલે મહેશભાઇ સામે. બીજું. મકાન બનાવીને રહે પણ રહેશે. તો આપણી સામે જ ને તમે ખોટી ચિંતા શુ કામ કરો છો.
આમ દિવસો વીતતાં ગયાં. મહેશનું નવું મકાન બની ગયું.એક દિવસ મહેશ મોટી ગાડી કરી ઘરનું રાચરચિલું પણ લાવ્યો. મોંઘા સોફા સેટ, ફ્રીજ,એલ.ઈ. ડી.ટી.વી., કુલર, વગેરે.લતા પોતાનાં ઘરથી આ બધું જોઈ રહી હતી.એક દિવસ અચાનક ઉમેશભાઈ સાંજના સમયે ઘરે આવ્યાં અને જોયું કે બંને ભાઈઓના ઘરની વચ્ચે દિવાલ ચણાતી હતી. એ દિવસે ઉમેશભાઇએ બે ભાઈના ઘર વચ્ચે દિવાલ ચણવાની ના પાડી તેથી મહેશ ના બોલવાનું ઉમેશભાઈને બોલી ગયો. કે,
હવે આમ પણ તમારે અને મારે  છે શું !?
તમે અને ભાભીએ તો મારું જીવવાનું હરામ કરી નાખ્યું છે. આ દિવાલ ચણી જાય પછી તમારું મોઢું પણ મારે ના જોવું પડે એટલે બનાવડાવી રહ્યોં છું.તમે તમારું કરી ખાવ અને હું મારું !!
મહેશના આ શબ્દો ઉમેશભાઇને તીરની માફક વાગ્યાં. બને ભાઈઓના ઘર વચ્ચે દિવાલ ચણાઈ રહી હતી. આ દિવાલ હવે થોડી જ બાકી રહી હતી. દિવાલ માત્ર બંને ઘર વચ્ચે નહતી બની પણ બને ભાઈઓના હૃદય વચ્ચે બની હતી. ઉમેશભાઈ મહેશને કશું ન કહ્યા વગર ઘરમાં ગયા અને પોતાની માં ના ફોટા સામે. જોઈએ નાના બાળકની માફક રડવા લાગ્યા અને રડતા રડતા કહેવા લાગ્યાં,માં મને માફ કર.. તને આપેલું વચન હું નિભાવી ના શક્યો માં...!!
શું કરું માં...!!?
તું જ કહે માં શુ કરું...!!??
આ બધું લતા બારણા પાછળ રહીને સાંભળી રહી હતી એની. આંખમાં ઉમેશભાઈ. કરતા પણ વધુ આંસુ હતાં. પણ કુદરત સ્ત્રીઓને અવાજ થાય વગર રડવાની ક્યારેક બેસુમાર હિંમત આપી દેતો હોય છે. આ વખતે લતાની હિંમત ના થઈ પોતાના પતિને શાંત કરાવવાની.આખરે. કરાવે પણ કેવી રીતે !!?
ખુદ.લતાના હૃદયમાં આંસુઓનો એક દરિયો હિલોળો લઈ રહ્યો હતો. એ દિવસે એવો જ ધોધમાર વરસાદ વરસી રહ્યોં હતો જેવો થોડા વર્ષો. પહેલાં ઉમેશભાઈની માં મૃત્યુ પામી હતી. ઉમેશભાઈની આંખોમાં આંસુઓનો વરસાદ હતો એવો જ વરસાદ બહાર વરસી રહ્યો હતો. રડતા રડતા ઉમેશભાઈના કાને મહેશનો અવાજ પડ્યો. મહેશ દિવાલ ચણીને ઘરે જતાં મજૂરોને કહી રહ્યો હતો કે,
અલ્યા ભાઈ આ વરસાદમાં દિવાલ પડી તો નહીં જાય ને !!?
ત્યાં એક મજૂર દૂરથી રાડો નાખતા બોલ્યો...
ના મહેશભાઈ..
પરંતુ ઉલટાની વરસાદમાં તો આ દિવાલ મજબૂત થશે પાણી પડવાથી !
દિવાલ મજબૂત થઈ હતી બંને ભાઈઓના ઘર વચ્ચે અને બંને ભાઈનાં હૃદય વચ્ચે પણ...!!!


મારા 25 માં જન્મ દિવસે કરેલ વૃક્ષારોપણ...


                                               લેખન - રાહુલ, વણોદ
                                                 મો.8000739976


સૂર્ય ઉગે છે આથમે છે
ચંદ્ર ઉગે છે આથમે છે.
દિવસ ઉગે,આથમે,
રાત આવે,જાય છે.
માણસ જન્મે છે, મૃત્યુ પામે છે.
આ બધી પ્રાકૃતિક ઘટનાઓ છે. આ ઘટનાઓ કેમ થાય છે ?
શા માટે થાય છે ?
જેના જવાબ આપણી પાસે નથી. પરંતુ એટલું ચોક્કસ છે કે પૃથ્વી છે ત્યાં સુધી આ બધું છે. કદાચ એક સમયે પૃથ્વી હશે .મનુષ્ય નહીં હોય. પરંતુ પ્રકૃતિ નહીં હોય તો મનુષ્ય હશે !!??
નહીં હોય કેમ કે પ્રકૃતિ વગર મનુષ્યનું અસ્તિત્વ શક્ય જ નથી.
માટે આપણે હાલ પૃથ્વી ઉપર જીવી રહ્યાં છીએ તો એ પ્રકૃતિને કારણે. આ પૃથ્વી પર શ્વાસ લઈ રહેલાં દરેક વ્યક્તિ ઉપર પ્રકૃતિનો ઉપકાર છે. એ આપણે ના ભૂલવું જોઈએ. અને એમાંય જન્મ દિવસે તો ખાસ. કેમ કે તમને જીવનદાન આપનાર તત્વ માતા પિતા બાદ પ્રકૃતિ છે. પ્રકૃતિએ આપણેને જીવન આપ્યું પરંતુ પ્રકૃતિને આપણે શું આપ્યું !!?

                    આપણે પ્રકૃતિને આપી પણ શું શકીયે ? હા પ્રકૃતિ કે પર્યાવરણનું સંરક્ષણ અને જાળવણી જરૂર કરી શકીએ.તેથી મારા જન્મ દિવસે પ્રકૃતિનું ઋણ ચૂકવવા માટે દર વર્ષે હું વૃક્ષારોપણ કરું છું. ભારતની સંસ્કૃતિમાં પ્રકૃતિને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. અને એમાં બહુજન સમાજ તો સદીઓથી પ્રકૃતિને ખોળે રમનાર સમાજ રહ્યોં છે.પરંતુ જેમ જેમ આધુનિકતાની હવા ભારતમાં ફેલાઈ એમ એમ બહુજન સમાજ આધુનિકતા તરફ ઢળ્યો અને શહેરીકરણ તરફ વળ્યો તેથી જંગલ અને જમીન સાથેનો નાતો લુપ્ત થતો ગયો.પરંતુ આજે પણ બહુજન સમાજનો એક મોટો વર્ગ(આદિવાસી) પ્રકૃતિ અને જમીન સાથે જોડાયેલો રહ્યોં છે. હું એ નથી કહેતો કે આધુનિકતાનો સ્વીકાર ન હોવો જોઈએ પરંતુ એ આધુનિકતા પ્રકૃતિ અને જમીનના ભોગે હોય તો ચોક્કસ હું વખોડું છું. પ્રકૃતિને પ્રેમ કરવાનું મારા માતૃશ્રી પાસેથી શીખ્યો છું.નાનો હતો ત્યારથી જ મારા મમ્મી ઘરના આંગણામાં જાત જાત ફૂલ છોડ અને વૃક્ષો વાવતાં. આ જોઈ નાનપણથી હું પણ પર્યાવરણ તરફ ઢળ્યો અને ઘરના આંગણામાં નાના નાના ફૂલ છોડ વાવતો. પછી ધીમે ધીમે પ્રકૃતિ પ્રેત્યેનો લગાવ વધતો ગયો. જે આજ સુધી વધતો રહ્યો છે.
   
                        અને તેથી મારા જન્મ દિવસના  દર વર્ષે 100 જેટલા વૃક્ષો વાવવાનો લક્ષ મેં રાખ્યો છે અને એ પૂરો પણ થાય છે. મારા ગામમાં એક આશ્રમ આવેલો છે જેને બધા "રામપીરનો આશ્રમ" તરીકે ઓળખે છે. ત્યાં આશ્રમમાં એક મોટું મેદાન પણ છે ત્યાં દર વર્ષે મારા જન્મ દિવસે વૃક્ષારોપણ કરું છું. પરંતુ દર વર્ષે 100 વૃક્ષો વાવતો એની જગ્યાએ  આ વર્ષે અમુક કારણોસર 50 વૃક્ષો જ વાવી શક્યો. જેમાં દાડમ, સીતાફળ, આસોપાલવ,મીઠો લીમડો અને કેટલાક અન્ય ફળ ફૂલોના છોડનો સમાવેશ કરી શકાય. દર વર્ષે મારો આ નમ્ર પ્રયાસ હોય છે. પ્રકૃતિ અને પર્યાવરણનું ઋણ ચુકવવાનો.
મારું માનવું છે કે જન્મ દિવસની ઉજવણીનાં ભાગ રૂપે કેક અથવા અન્ય બીજો કોઈ ખર્ચ કરીને જન્મ દિવસની ઉજવણી કરવા કરતાં કૈક એવું કાર્ય કરવું જોઈએ જે અન્ય લોકો માટે પ્રેરણારૂપ બને આ પણ એક કારણ છે મારુ જન્મ દિવસે વૃક્ષારોપણ કરવાનું. મારુ માનવું છે કે અન્યને સલાહ આપવા કરતાં આપણે ખુદ એ કાર્ય કરીએ જેથી સમાજમાં આપણે અન્યો માટે પ્રેરણાસ્ત્રોત બનીએ.

      જોકે આજના સમયમાં આ વિચાર  લોકોનાં ગળે ઉતારવો એ અઘરું છે.આપણે પ્રકૃતિ અને પ્રયાવરણના સંરક્ષણ અને સાચવણી માટે એટલા ગંભીર નથી જેટલાં હોવાં જોઈએ. પરંતુ જ્યાંરે ગંભીરતા સમજાશે ત્યારે કદાચ બહુ મોડું થઈ ગયું હશે. મારા અથવા મારી જેવા કેટલાય વ્યક્તિઓના પ્રયાસોથી પ્રકૃતિના સંરક્ષણમાં કશું ઝાઝો ફરક નથી પડવાનો હું જાણું છું. પરંતુ પ્રકૃતિની જાળવણી અને બચાવ માટે જે કામગીરી હું કરી રહ્યોં છું. એ મારા ખુદનાં ગૌરવ માટે પૂરતું છે. મારા આ જન્મ દિવસે વૃક્ષારોપણ માટે મારા પરમ મિત્ર અતુલે મારી ખૂબ મદદ કરી. આભાર દોસ્ત.એ પણ ખરો પ્રકૃતિ પ્રેમી. એનું ભણતર માત્ર ચાર ચોપડી પરંતુ પ્રકૃતિને સારી પચાવી છે. પ્રકૃતિના બધા ગુણો એનામાં છે ઉદારતા, સહનશીલતા, પરોપકારની ભાવના,ક્ષમાશીલતા વગેરે...

        જન્મ દિન નિમિત્તે મને મેસેજ,ફોન દ્વારા અથવા રૂબરૂ મળી શુભેચ્છાઓનો વરસાદ કરનારા મારા સન્માનનીય મિત્રો, સામાજિક કાર્યકર સાથી મિત્રો, સ્વજનો, વડીલો આ બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.મારો સંપર્ક કરવા છતાં જાણે અજાણે કોઈ સાથે આજે મારે વાત ન થઈ શકી હોય અથવા વાત ન કરી શક્યો હોય એના બદલ હું દિલગીર છું.
આપ બધાનો આ પ્રેમભાવ, વ્હાલ અને મૈત્રીભાવ જ મારો આજનો સૌથી મોટો ઉપહાર છે. ખૂબ આનંદ થાય છે કે આપ સૌનો આટલો પ્રેમ મને મળ્યો. અને આ પ્રેમ બસ આમ જ મને અવિરત મળતો રહે તેવી અભ્યર્થના..🙏🏻

જય પ્રકૃતિ..



                                                                                      

Wednesday, June 17, 2020

સુશાંત you are so lucky...

                                             
                               ફિલ્મ અભિનેતા, સુશાંતસિંહ
                                   સરનામું - સ્વર્ગ,


ડિયર સુશાંત,
             
                      દુઃખ સાથે કહેવું પડે છે કે તારે આ પગલું ભરવાની શું જરૂર હતી !!? તું તો આર્થિક રીતે મજબૂત હતો. તારી પાસે ગાડી, બંગલો, ખોરાક બધું જ હતું. સામાન્ય જીવન જરૂરી વસ્તુ હોય એ બધી જ તારી પાસે હતી તે છતાં તે આ પગલું ભર્યું છે એનું દુઃખ સમગ્ર ભારતને છે. તું તો એક પ્રખ્યાત અભિનેતા હતો. તારી ફિલ્મો થકી તે ઘણું મનોરંજન કર્યું છે. તેથી આખો દેશ આજે તારી અણધારી વિદાયથી સ્તબ્ધ છે. તારી આત્મહત્યાના સમાચાર આવતા જ ટીવી અને સોશિયલ મીડિયામાં બધાએ દુખ વ્યક્ત કર્યું છે કેમ કે એક ફિલ્મ અભિનેતા માનસિક તાણમાં આવીને આત્મહત્યા કરી લે એ આંચકાજનક છે સમગ્ર દેશ માટે અને દેશના સમગ્ર લોકો માટે.પરંતુ કોઈ તકલીફ તો એવી જરૂર હશે તને કે જેના કારણે તને આટલી હદે માનસિક તણાવ મહેસુસ થયો હશે એથી તે આ પગલું ભર્યું હશે.

      પરંતુ ડિયર સુશાંત એક વાત કહું તને ખોટું ન લાગે તો...!!?
                    ભારતના લોકોને તારા આત્મહત્યા કરવાં પાછળ જેટલું દુઃખ થાય છે એટલું દુઃખ એ લોકોને ત્યારે કેમ નથી થતું જ્યારે જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોની માનસિક સતામણીને કારણે દેશની પાયલ તડવી જેવી હોનહાર ડોક્ટરે આત્મહત્યા કરવી પડે છે !? એ સાચું છે કે તું દેશનો અભિનેતા હતો અને તે આત્મહત્યા કરી એ વાતનું દુઃખ લોકોને હોય પરંતુ પાયલ તડવી પણ આ દેશની ડોક્ટર હતી ને !? તેણે કેટલાક દર્દીઓની સારવાર કરી હશે અને સાજા કર્યા હશે ત્યારે તેણે કોઈ દર્દીને પૂછ્યું નહિ હોય કે તે કઈ જાતિનો છે કે કયાં ધર્મનો છે. પરંતુ ત્યાં કેટલાક ઉચ્ચ જાતિના જાતિવાદના રોગથી પીડાતાં ડોક્ટરો દ્વારા પાયલ તડવીને જાતિવાચક શબ્દો કહીને એટલી હદે અપમાનિત કરવામાં કે એ તારી જેમ જ માનસિક તાણ અનુભવવા લાગી અને એણે પણ તારી જેમ આત્મહત્યા કરી લીધી. હા માન્યું કે તારા અને પાયલ તડવીના આત્મહત્યા કરવા પાછળના કારણો જુદા છે. પરંતુ માનસિક તણાવ તો બંનેને હતો એ કોમન વાત છે.એક ફિલ્મ અભિનેતા માનસિક તાણ અનુભવીને આત્મહત્યા કરે છે ત્યારે જે લોકો આટ આટલું દુઃખ વ્યક્ત કરે છે એ લોકો દેશની એક ડોક્ટર જાતિવાદથી કંટાળીને માનસિક તાણમાં આવીને આત્મહત્યા કરે છે તે ડોક્ટર પ્રત્યે કેમ એ લોકો આટલું દુઃખ કે સંવેદના જતાવતા નથી..!!?
        જે ડૉક્ટરો દર્દીઓના વિવિધ રોગની સારવાર કરતાં હોય છે એ જ ડૉક્ટરો જાતિવાદના રોગથી પીડાતાં હોય છે. અને એના કારણે પાયલ તડવી જેવી દેશની એક હોનહાર ડોક્ટરને આત્મહત્યા કરવા મજબુર થવું પડે છે. ત્યારે આવા ડૉક્ટરો પ્રેત્યે કેમ એ લોકોને ઘૃણા કે નફરત નથી થતી !?

      એક ફિલ્મ અભિનેતા આત્મહત્યા કરે ત્યારે લોકોને જેટલું દુઃખ થાય છે એટલું દુઃખ દેશની એક ડોક્ટર જાતિવાદથી અપમાનિત થઈને આત્મહત્યા કરે છે ત્યારે કેમ નથી થતું !!?
  આને જાતિવાદ ના કહેવું તો બીજું શું કહેવું !?!

              એક બીજો દાખલો આપું ડિયર સુશાંત તો રોહિત વેમુલા. જે દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં અભ્યાસ કરતો તેજસ્વી વિદ્યાર્થી હતો. તેને પણ જાતિવાદથી કેટલો બધો તો પ્રતાડીત કરવામાં આવ્યો હતો કે એણે પણ તારી જેમ માનસિક તાણ અનુભવી હશે અને તેથી તેણે આત્મહત્યા કરી લીધી ત્યારે કેમ આ લોકોનાં દુઃખ કે સંવેદના નથી છલકાતાં !?
                કોઈ વિદ્યાર્થી પર શિક્ષણનો ભાર લાદવામાં આવે ત્યારે તે  આત્મહત્યા કરે છે ત્યારે દેશનો કહેવતો શિક્ષિત વર્ગ જે બળાપો ઠાલવે છે તે દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં શિક્ષણ મેળવતો એક તેજસ્વી વિદ્યાર્થી જાતિવાદથી પ્રતાડીત થઈને માનસિક તાણમાં આવીને આત્મહત્યા કરવા મજબૂર થાય છે ત્યારે કહેવતો શિક્ષિત વર્ગ કે દેશનાં લોકો કેમ સંવેદના જતાવતા નથી..!!?? તને ખબર છે તારા આત્મહત્યાનાં સમાચાર મળતા જ દેશના ટોચના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે આ એ જ નેતાઓ છે જેણે રોહિત વેમુલાની આત્મહત્યા કરવા પાછળ "કાયરતા" જેવો શબ્દ વાપરી દેશમાં ખદબતતાં જાતિવાદનો લૂલો બચાવ કર્યો હતો. જે વ્યક્તિઓ જાતિવાદનાં અપમાનના ઘૂંટડા પી પી ને આખરે જાતિવાદ સામે લડતાં લડતાં થાકી હારી જાય છે અને અને એટલી હદે માનસિક રીતે એ વ્યક્તિને હેરાન પરેશાન કરવામાં આવે કે અંતે તે આત્મહત્યા કરવા મજબૂર બની જાય છે એ કેટલાં હદનું માનસિક ટોર્ચર હશે !? આ પ્રશ્ન વખતે મૌન સાધી લેનાર આજે ટી.વી.મીડયા અને સોશિયલ મીડિયામાં માનસિક તણાવ અંગે પોતાની મોટી મોટી વાતો અને સૂફીયાણાં સૂચનો ફેંકતા ફરે છે.


 એક વાસ્તવિકતા કહું ડિયર સુશાંત..
       તું નસીબદાર હતો કે તે ફિલ્મ જગતમાં પોતાનું નામ બનાવ્યું અને ફિલ્મ અભિનેતા તરીકે તું મૃત્યુ પામ્યો. તારા મૃત્યુ પાછળ દેશના લગભગ દરેક વ્યક્તિ એ દુઃખ વ્યક્ત કર્યું છે. તુ જો એક ફિલ્મ અભિનેતા ન હોત અને સામાન્ય એસ.સી., એસ.ટી વર્ગથી હોત અને જાતિવાદને કારણે કે જાતિવાદનાં માનસિક તણાવને કારણે તે આત્મહત્યા કરી હોત તો લોકોને આટલું દુઃખ ન થાત જેટલું અત્યારે થાય છે. આ છે ભારતના લોકોને જાતિવાદી ચહેરો..

                      આ કડવું સત્ય છે કે સમાજ કે દેશ માટે બલિદાન આપનાર અથવા જાતિવાદના કારણે માનસિક તાણ અનુભવીને જે આત્માહત્યા કરે છે એના માટે ભારતના લોકો એટલું દુઃખ કે સંવેદના નથી અનુભતાં જેટલું દુઃખ કે સંવેદના એક ફિલ્મ અભિનેતા માટે અનુભવે છે. પણ આ બધું તો સદીઓથી ચાલતું આવ્યું છે.અને કોઈને કશો ફરક પડવાનો નથી.પણ સુશાંત you are so lucky...
                 
                             
             લિ. જાતિવાદથી ખદબદતા ભારતનમાં રહેનાર એક નાગરિક

Monday, June 15, 2020

15 જૂન એટલે "વાયુ દિવસ"- વિચારો શ્વાસ લેવા શુદ્ધ હવા જ નહીં હોય તો..!!??

     
                                                                                     લેખન -રાહુલ, વણોદ
                                                                                     મો.8000739976
                       
                           આજે 15 જૂન એટલે વાયુ દિવસ. આજ સવારમાં મારા whatsapp પર મારા એક મિત્રે "વાયુ દિવસ"ની શુભેચ્છા આપતો એક મેસેજ મને કર્યો આ ઉપરથી આજે વિચાર આવ્યો કે "વાયુ દિવસ"ના ઉપક્રમે વાયુ એટલે કે હવા વિશે લખવું થોડું મને જરૂરી લાગ્યું. મનુષ્યના જીવનને ટકાવી રાખવા સૌથી મહત્વનું  શું છે !!?
 આ પ્રશ્નનો સૌથી સટીક જવાબ એટલે હવા, પાણી અને ખોરાક. પણ તમને એમ પૂછવામાં આવે કે આ ત્રણમાંથી એ મુખ્ય પરિબળ કયું છે જે જીવન ટકાવી રાખવા ખૂબ જરૂરી અને અનિવાર્ય છે તો જવાબ આપણને આ જ મળશે કે "હવા" આજે વાયુ દિન નિમિત્તે હવા અને તેના મહત્વ વિશે જાણીએ અને હવા પ્રદૂષણને કઈ રીતે અટકાવી શકાય અથવા ઓછું કરી શકાય તેના વિશે થોડું લખવાનું મન થયું છે. આપણા જીવનને ટકાવી રાખવા માટે જે પણ પરિબળો અથવા ચીજ વસ્તુઓની આપણેને જરૂર હોય એને આપણે ખુબ સાચવીએ છીએ પરંતુ જેના વગર તમારું મારું અને આપણા સૌનું જીવન શક્ય જ નથી તે હવાને શુદ્ધ રાખવા અથવા હવા પ્રદુષણ અટકાવવા આપણે શું કરીએ છીએ ? આ પ્રશ્ન જ્યારે આપણે આપણી જાતને પૂછીએ ત્યારે આપણેને આપણો અંતરરાત્મા ડંખે એવું નથી લાગતું !!?


                આજનનો મનુષ્ય પૈસા બચાવે છે, પોતાના માલસામાનની પણ સારી જાળવણી કરે છે. પરંતુ તેનું જીવન જે પરિબળો (હવા-પાણી પ્રકૃતિ)ના આધારે ટકી રહ્યું છે તેને બચાવવા કે જાળવણી કરવા કશું કરતો નથી. શ્વાસ લેવા જો હવા જ શુદ્ધ નહીં હોય તો મનુષ્ય જીવન જીવી શકે !!?
બિલકુલ નહીં.. એ તમે અને હું આપણે સૌ સારી રીતે જાણીએ છીએ તે છતાં આપણે હવા પ્રદૂષણ અટકાવવા કશું કરતા નથી તે જગજાહેર છે આ પૃથ્વી ઉપર રહેલા વૃક્ષો જંગલો પશુ પ્રાણીઓ દરેક જીવ પૃથ્વીને જાળવવા કશુંક ને કશુંક યોગદાન આપે છે પરંતુ પૃથ્વી પરનો માનવ એ એક જ એવો જીવ છે જે પૃથ્વી પાસેથી મેળવે તો ઘણું બધું છે પરંતુ આપતો કશું જ નથી. પૃથ્વી પરના જીવ અને જંગલોનું આજનો આધુનિક મનુષ્ય નાશ કરતો આવ્યો છે. જેનો બળાપો ઘણીવાર હું મારી કવિતામાં અને મારા મિત્રો સમક્ષ કાઢતો આવ્યો છું. પરંતુ આજે વાયુ દિવસ નિમિત્તે લખવું છે

     સૌ પ્રથમ તો એ કે હવામાં ફેલાતું પ્રદૂષણ એટલે શું છે ? કઈ રીતે ફેલાય છે ? વગેરે આપણે જોઇશું હવા પ્રદૂષણ એટલે હવામાં ફેલાતાં એવા રજકણો છે જેનાથી વાતાવરણમાં અસ્થિરતા, મંદવાડ કે અવ્યવસ્થા સર્જાય છે. એ રજકણો મનુષ્ય શરીરમાં શ્વાસ માર્ગથી જાય  છે અને શ્વાસ પ્રક્રિયા, હૃદય અને ફેફસાંને ઘાતક અસર કરે છે. બીજી રીતે વાયુ પ્રદુષણ રાસાયણિક પદાર્થ, ગરમી અને પ્રકાશથી પણ ફેલાય છે. હવામાનમાં ફેલાયેલા આ રજકણો મનુષ્ય કે કોઈ જીવના કારણે જ ફેલાય છે એવું નથી હોતું. પરંતુ હવામાનમાં કુદરતી પ્રક્રિયા ચાલતી હોય ત્યારે પણ ફેલાતા હોય છે.

                             પરંતુ આ રજકણો હવામાનમાં જ્યારે નિયત પ્રમાણ વટાવી દે છે ત્યારે તે પ્રદુષણમાં પલટાઈ જાય છે. હવામાં પ્રદૂષણ આધુનિક સમયમાં જ ફેલાયું છે એવું નથી. પરંતુ દરેક યુગમાં હવા પ્રદૂષણ ઓછાવત્તા અંશે થતું રહ્યું છે. જ્યારે પ્રાગ ઐતિહાસિક યુગ કહો કે પથ્થર યુગ હતો ત્યારે પણ મનુષ્ય પર્યાવરણને વત્તા ઓછા પ્રમાણમાં અસર કરતો હતો. જ્યારે બે પથ્થરોના ટકરાવવાથી અગ્નિ ઉત્પન્ન થવાની શરૂઆત થઈ ત્યારથી જ હવા પ્રદૂષણ થવાની પ્રક્રિયાનો આરંભ થઈ ચૂક્યો હતો. પરંતુ કુદરતી પરિબળોને કારણે હવા પ્રદુષણ કંટ્રોલ થઈ જતું હતું પરંતુ સમય જતાં મનુષ્ય જાતિનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ હવા પ્રદૂષણ મોટા પાયે થતું ગયું અને કુદરતી પરિબળો પણ તે પ્રદૂષણને નિયંત્રણ કરવા અસમર્થ બન્યા. પરિણામે પૃથ્વી પર હવા પ્રદૂષણ વધ્યું અને એની માઠી અસરો મનુષ્ય અને પૃથ્વી પરના તમામ જીવોને પડી રહી છે.

                             પ્રાચીન સંસ્કૃતિમાં પણ હવા પ્રદૂષણને વેગ મળતો રહ્યો છે. મનુષ્ય ધાતુથી બનાવવાના સાધનોમાં પાણીનો ખૂબ ઉપયોગ કરવા લાગ્યો ઉપરાંત પ્રાચીન સંસ્કૃતિમાં કોહવાયેલી વનસ્પતિમાંથી બળતણ કરતાં તેનું પ્રમાણ વધવા લાગ્યું અને આવી ઘણી પ્રવૃત્તિઓએ હવા પ્રદૂષણ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. મધ્ય યુગના પ્રારંભે હવા પ્રદૂષણમાં ઘટાડો નોંધાયો હતો તેનું કારણ ઉદ્યોગની પ્રવૃત્તિમાં થયેલો ઘટાડો તેમજ વસ્તીમાં થયેલો ઝડપી ઘટાડો હતો. પરંતુ ત્યાર બાદના સમયમાં ઉદ્યોગોમાં વધારો થયો કારણ કે લોકો નાણાં કમાવવાના હેતુથી ગામડું છોડીને શહેરમાં આવ્યા જેના કારણે ઉદ્યોગને વેગ મળ્યો. અને તેની સાથે સાથે હવા પ્રદુષણને પણ વેગ મળ્યો.

                               હવા પ્રદૂષણ વધવાના બીજા અન્ય ઘણા કારણો પણ જવાબદાર છે. મંદિરમાં થતી આરતી, ધુપ, દીવાથી પણ હવા પ્રદૂષણ વધે છે. ઉપરાંત કેટલીક ધાર્મિક ક્રિયાઓમાં લાકડા તેમ જ કોલસાનું દહન કરવામાં આવે છે. જેનાથી ધૂમાડો ઉત્પન્ન થાય છે. આ ધૂમાડામાં રહેલા રજકણો મનુષ્યના આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. આધુનિક સમયમાં પણ અંધશ્રદ્ધાનું વર્ચસ્વ ઘણું છે. ધાર્મિકતાને કારણે ફેલાયેલી અંધશ્રધ્ધામાં આધુનિકતાની કોઈ અસર નથી. જમાનો બદલાયો હોવા છતાં અંધશ્રદ્ધા અનેક રૂપે ફેલાયેલી છે.

                      ઉપરાંત આધુનિક સમયમાં જ્વલંત, બાંધકામ, ખાણકામ કૃષિ જેવી માનવસર્જિત પ્રવૃતિઓ હવા પ્રદૂષણને વધુ અસર કરે છે. અને સૌથી વધુ મોટર વ્હીકલ દ્વારા બાળવામાં આવતા ઇંધણના ધુમાડાથી ફેલાય છે. ચીન, અમેરિકા, રશિયા, મેક્સિકો અને જાપાન જેવા વિકસિત દેશો હવા પ્રદૂષણ ફેલાવવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. ઉપરાંત મુખ્ય હવા પ્રદૂષણ ફેલાવતા પરિબળોમાં કેમિકલ પ્લાન્ટ, કોલસનું દહન, પાવર પ્લાન્ટ, ઓઈલ રિફાઈનરીઓ, પેટ્રોકેમિકલ પ્લાન્ટ, પરમાણુ કચરાનો નિકાલ જેવી પ્રવૃતિઓ, ભઠ્ઠીઓ, મોટા પ્રમાણમાં ઢોરઢાંખર,  પ્લાસ્ટિક ઉત્પાદન કરતી ફેક્ટરીઓ અને અન્ય ઉદ્યોગોનો સમાવેશ કરી શકાય છે. ઉપરાંત જંગલી પ્રદેશો સાફ કરવા, જંગલો અને વનસ્પતિઓનું  નિકંદન નિકાળવું તેમજ જંતુનાશક દવાઓ અને હાઈડ્રોક્સાઈડનાં ઉપયોગને કારણે પણ કૃષિ વાયુ પ્રદુષણ ફેલાય છે.


                    બીજા વિશ્વયુદ્ધ બાદ સમગ્ર વિશ્વમાં વાયુ પ્રદૂષણે વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. કેમ કે વિશ્વ યુદ્ધ દરમિયાન વાપરવામાં આવેલા શસ્ત્રો, અણુશસ્ત્રોના કારણે કિરણોત્સર્ગી અસર ફેલાઈ હતી. જેની ખૂબ જ ગંભીર અસરો થઇ હતી. આ કારણે લંડનમાં 1952 માં બનેલી "the great smog" આપત્તિને કારણે લંડનમાં ઓછામાં ઓછા આઠ હજાર લોકોના મોત થયા હતા. આ ઉપરથી ચિંતિત થઈ દરેક દેશોએ હવા પ્રદૂષણ અટકાવવા વિવિધ કાયદાઓ ઘડ્યા હતા.
વિશ્વમાં હવા પ્રદુષણ અંગેનો સૌ પ્રથમ ગ્રંથ 9મીથી 13મી સદી દરમિયાન લખાયેલો છે. આ ગ્રંથમાં વાયુ પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, જમીનની દુષિતતા વગેરેનો સમાવેશ કરી એની સમીક્ષા કરવામાં આવી છે. દરિયાઈ કોલસાના ઈધણને કારણે ફેલાતાં ધુમાડાને કારણે હવા પ્રદૂષિત વધ્યું હતું તેથી 1272 માં લંડનનાં કિંગ એડવર્ડ પહેલાએ એની ઉપર પ્રતિબંધ લાદ્યો હતો.


                      આધુનિક સમયમાં ઔદ્યોગિક ક્રાંતિ મોટા પ્રમાણમાં થઈ છે પરંતુ તેની સાથે સાથે હવા પ્રદુષણ પણ વિશ્વમાં ખૂબ મોટા પ્રમાણમાં વધ્યું છે જે ગંભીર ચિંતન અને ચિંતાનો વિષય છે. હવા પ્રદૂષણ સમગ્ર પૃથ્વી પર વસતા જીવો અને ખાસ તો મનુષ્ય ઉપર ખૂબ જ ઘાતક પુરવાર થયું છે. હવા પ્રદૂષણની મનુષ્ય ઉપર શું ગંભીર અસરો થઇ અને હવા પ્રદુષણને રોકવા શું પગલાં ભરવા તે ફરી ક્યારેક લખીશ. તે લેખન મર્યાદાના કારણે અટકાવું છું. પરંતુ સમગ્ર મનુષ્ય જાત પ્રકૃતિ દેન છે તેથી પૃથ્વી પર મનુષ્ય જીવન ટકાવવા માટે પર્યાવરણની જાળવણી કરવી અનિવાર્ય બની છે અને તેના માટે હવા પ્રદૂષણ અટકાવવુ ખુબ જરૂરી બની ગયું છે.

Sunday, June 14, 2020

પ્રથમ વરસાદમાં જ હિંમતનગરનો હાઇવે નંબર 8 ધોવાતાં તંત્રની પોલ ખુલી..

                   
                                                                                          લેખન - રાહુલ, વણોદ
                                                                                          મો.8000739976
     
                        ભારતમાં ભ્રષ્ટાચાર કરવો હવે ફરજિયાત થઇ ગયો છે એવી માનસિકતા દરેક સરકારી વિભાગમાં કામ કરતા સરકારી બાબુઓ રાખતા થઈ ગયા છે. ભ્રષ્ટાચાર કરવો જાણે "સરકારી નોકરી સિદ્ધ અધિકાર" હોય એમ દરેક સરકારી ફાઈલ ગાંધી છાપ વગર આગળ વધતી નથી તે જગજાહેર વાત થઈ ગઈ છે. આમ જનતાને પોતાના કામ માટે મામલતદારથી માંડીને પંચાયતના તલાટી, પટાવાળાને પણ રૂપિયા ખવડાવવા પડતા હોય છે. સામાન્ય ગરીબ માણસનું મકાન પાસ થાય તો પંચાયતના પટાવાળાને પણ પાંચ પચી લીધાં વગર ચાલતું નથી. પરંતુ ભ્રષ્ટાચાર માત્ર રૂપિયામાં જ નથી થતો પરંતુ સરકારી કામકાજ કે રોડ રસ્તા બનાવવા જેવા કામોમાં પણ મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોય છે.

                       કોન્ટ્રાક્ટરો સાવ નિમ્ન કક્ષાનો માલ સામાન રોડ રસ્તા બનાવવા માટે વાપરતા હોય છે. ચોમાસામાં એ રોડ રસ્તા પરનાં પાણીના ખાબોચિયા એ વાતની ચાડી ખાતાં હોય છે. રોડ રસ્તા બનાવવામાં કોન્ટ્રાક્ટરો ઈટ, કપચી, રેતી આ બધુ રોડ બનાવવાનું મટીરીયલ સાવ હલકી ગુણવત્તાનું વાપરે છે જેના કારણે ટૂંક સમયમાં રોડ-રસ્તા તૂટી જાય છે. હાલ ચોમાસુ માંડ શરૂ થયું છે ત્યાં જ ઘણી જગ્યાએ ઠેર ઠેર રોડ રસ્તા તૂટી ગયેલા દેખાય છે અને તેથી તંત્રની પોલ ખૂલી ગઈ છે. હજી તો ચોમાસાની શરૂઆત જ છે માત્ર એક-બે વરસાદમાં જ રોડ ધોવાઇ જાય છે તેથી સ્વાભાવિક રીતે જ તંત્રની કામગીરી પર સવાલો ઊભા થાય છે.

                        આવો જ એક કિસ્સો સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે જોવા મળ્યો હતો. જ્યાં હાઇવે નંબર 8 પર જળાશયો ભરાયા હોય એવો નજારો જોવા મળ્યો હતો. વિકાસની મોટી મોટી વાતો કરતી ગુજરાત સરકારનો વિકાસ હિંમતનગર અને મોતીપુરા સર્કલથી સાબરમતી રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે જોવા મળ્યો હતો. અહીં હાઇવે નંબર 8 પર પ્રથમ વરસાદમાં જ હાઈવે ધોવાઇ ગયો છે અને હાઇવે ઉપર પાણીના ખાબોચિયામાં ગુજરાત સરકારનો વિકાસ છબછબિયાં કરતો જોવા મળ્યો છે. હાઇવે નંબર 8 પર ઠેરઠેર પાણીના ખાબોચીયા ભરાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થયા છે. વાહનચાલકોની ફરિયાદ છે કે રોડ પર ભરાયેલા ખાડા ખાબોચિયામાંથી પોતાનું વાહન પસાર કરતી વખતે ગાડી જાણે "ડિસ્કો" કરતી હોય તેવો અનુભવ થાય છે. આમ હળવા કટાક્ષમાં વાહન ચાલકોએ રોડના બાંધકામ અંગે રોડનાં કોન્ટ્રાક્ટર અને વિકાસશીલ સરકાર પર પ્રહારો કર્યા હતા. તૂટેલા રોડને કારણે ઘણાં વાહન ચાલકોને અકસ્માતનો ભોગ પણ બનવું પડ્યું છે.  સરકારનાં વિકાસના મોટા મોટા દાવા હિંમતનગર ખાતે સાવ પોકળ સાબિત થયા હતા. આમ કેન્દ્ર સરકારની હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની કામગીરી પણ શંકાના દાયરામાં છે.

                         ભારતની સરકાર લોકશાહી સરકાર છે તેથી દેશની સરકાર ટેક્સ રૂપે પ્રજા પાસેથી રૂપિયા ઉઘરાવે છે. અને એ ટેક્સના બદલામાં પ્રજા માટે બાગ બગીચા, રોડ રસ્તા જેવી જાહેર વ્યવસ્થા કરવામાં આવે છે. કરોડો ખરબો પ્રજાનાં રૂપિયા સરકારના ફંડમાં વિકાસના ખર્ચે અર્થે વપરાય છે.પરંતુ વાસ્તવિકતા એ છે કે લાંચિયા કોન્ટ્રાક્ટરો અને લાંચિયા નેતાઓ દ્વારા ટકાવારીના ભાગરૂપે લાંચ લઈને કોન્ટ્રાક્ટરોને ટેન્ડર આપવામાં આવે છે. અને ત્યારબાદ આ કોન્ટ્રાક્ટરો જ હલકી ગુણવત્તા વાળો માલ સામાન રોડ રસ્તા બનાવવા માટે વાપરે છે. પ્રજાના પૈસે જ કોન્ટ્રાક્ટરો અને નેતાઓ પોતાના ખીસ્સા ભરે છે અને ભોળી પ્રજા સાથે છેતરપિંડી કરે છે.

                         હજુ કોરોનાં કહેરમાંથી દેશ બહાર નથી નીકળ્યો ત્યાં ભ્રષ્ટ નેતાઓ દ્વારાખાઉધરું કોન્ટ્રાકટરોને રોડ રસ્તા બનાવવા માટે ટેન્ડર આપવામાં આવે છે. અને તેઓ એમાં કાપતી કરી પ્રજાના પૈસે લીલાલેર  કરે છે. આમ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ નેતાઓ ઉધઈની માફક દેશ અને પ્રજાને કોરી દેશને બરબાદ કરી રહ્યા છે. ત્યારે દેશની જાગૃત પ્રજા અને સરકારએ જવાબદાર તંત્ર, કોન્ટ્રાક્ટરો સામે પગલા લેવા જોઈએ અને અવાજ ઉઠાવવો જોઈએ.તેવી લોક માંગ ઉઠી છે.

                જોકે હાલ તો હાઇવે નંબર 8 ની હાલત જોઈ સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

.

न्याय चाहिए तो शासक बनो -मान्यवर कांशीराम  આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??...